Money9 Gujarati:
સરકારે 27 જૂન, મંગળવારે જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી તુવેરનો આયાતી જથ્થો સ્થાનિક બજારમાં નહીં પહોંચે ત્યાં સુધી રાષ્ટ્રીય બફર સ્ટોકમાંથી ધીમે ધીમે બજારમાં વેચવામાં આવશે. ખાદ્ય મંત્રાલયે અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, સરકારે નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF)ને સરકારે સૂચના આપીને જણાવ્યું છે કે, મિલિંગ માટે તુવેરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે યોગ્ય મિલર્સને ઓનલાઈન હરાજી દ્વારા તુવેરનો જથ્થો વેચવામાં આવે.
સરકાર કોમોડિટીની કિંમતને અંકુશમાં રાખવા માટે પોતાની પાસે બફર સ્ટોક રાખે છે અને જરૂર પડે ત્યારે આ જથ્થામાંથી બજારમાં વેચાણ કરે છે. મંત્રાલયે જણાવ્યું છે કે, ધીમે ધીમે તુવેરના જથ્થાની હરાજી કરવામાં આવશે અને ગ્રાહકોને વાજબી કિંમતે તુવેરનો પૂરતો જથ્થો મળી રહે તેને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અનુસાર તુવેરનો જથ્થો બજારમાં વેચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સંગ્રહખોરી અને ગેરકાયદેસર સટ્ટાને રોકવા અને ગ્રાહકો સુધી વાજબી કિંમતે તુવેર પહોંચાડવા માટે સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 લાગુ કરીને 2 જૂન, 2023ના રોજ તુવેર અને અડદ પર સ્ટોક મર્યાદા લાદી હતી. આ આદેશ હેઠળ 31 ઓક્ટોબર 2023 સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે તુવેર અને અડદની સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે.
દરેક પ્રકારના કઠોળ માટે સંગ્રહની મર્યાદા લાગુ થઈ છે, જે અંતર્ગત જથ્થાબંધ વિક્રેતાઓ માટે 200 MT, છૂટક વિક્રેતાઓ માટે 5 MT, મોટી ચેઈનના છૂટક વિક્રેતા માટે 5 MT જ્યારે ડેપો માટે 200 MT જ્યારે મિલરો માટે છેલ્લા 3 મહિનાના ઉત્પાદન અથવા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના 25 ટકા, આ બંનેમાંથી જે વધારે હોય તેના માટે સંગ્રહ મર્યાદા લાદવામાં આવી છે. આ સંસ્થાઓએ સ્ટોકની સ્થિતિ પણ જાહેર કરવી ફરજિયાત છે.
ગ્રાહક બાબતોના વિભાગ અને રાજ્ય સરકારો દ્વારા પોર્ટલ પર સ્ટોક લિમિટ ઓર્ડરના અમલીકરણ અને સ્ટોકની જાહેરાતની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. આ સંદર્ભમાં, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC) અને રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન (SWCs) ના ગોડાઉનમાં વિવિધ એકમો દ્વારા રાખવામાં આવેલા સ્ટોકનો ડેટા, માર્કેટ પ્લેયર્સ દ્વારા બેંકો પાસે ગીરવે મુકવામાં આવેલ સ્ટોક વગેરે અને સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલ પર જાહેર કરાયેલ જથ્થાની તપાસ કરવામાં આવે છે. રાજ્ય સરકારો પોતપોતાના રાજ્યોમાં કઠોળની કિંમતો પર સતત નજર રાખી રહી છે અને સ્ટોક મર્યાદાના આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવા માટે સ્ટોકિંગ સંસ્થાઓની સ્ટોરેજ સ્થિતિની સતત ચકાસણી પણ કરી રહી છે એમ ખાદ્ય મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે.
ભારતમાં કઠોળનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ભારતમાં કઠોળનો વપરાશ પણ સૌથી વધારે છે, આથી કઠોળના મોટા ગ્રાહક તરીકે ભારત આગળ છે. કઠોળની માંગને પહોંચી વળવા માટે ભારતે દર વર્ષે આયાત કરવી પડે છે. ભારતમાં ખાસ કરીને ચણા, મસૂર, અડદ, કાબુલી ચણા અને તુવેરની આયાત કરવામાં આવે છે.
તુવેરની વાત કરીએ તો, બે મહિના અગાઉ તુવેરની છૂટક કિંમત કિલોએ રૂ.140થી રૂ.170ની વચ્ચે હતી. ગઈ દિવાળીએ એક કિલો તુવેરની છૂટક કિંમત રૂ.125ની આસપાસ હતી. અંદાજ છે કે, ચાલુ વર્ષે ભારતમાં તુવેરનું ઉત્પાદન 30 ટકા જેટલું ઓછું થશે. જુલાઈ 2022થી જૂન 2023 સુધીમાં તુવેરનું ઉત્પાદન 37 લાખ ટન રહેવાનો અંદાજ છે જ્યારે અગાઉના વર્ષે 42 લાખ ટન ઉત્પાદન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, ઘઉંની કિંમતને અંકુશમાં રાખવા માટે અગાઉ પણ સરકારે આવો જ નિર્ણય લીધો હતો. જાન્યુઆરી 2023માં સરકારે પોતાના બફર સ્ટોકમાંથી ઘઉંનો જથ્થો બજારમાં ઠાલવ્યો હતો. ચાલુ વર્ષની શરૂઆતમાં ઘઉંની કિંમત આસમાને હતી અને તેના કારણે ઘઉંનો લોટ, તૈયાર રોટલી, ઘઉંમાંથી બનતા બિસ્કિટ અને બ્રેડ જેવી ચીજવસ્તુના ભાવ વધી ગયા હતા. આથી, સરકારે પોતાના વખારોમાંથી લાખો ટન ઘઉં ઓપન માર્કેટમાં વેચ્યા હતા.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો