Money9 Gujarati:
સરકારી બેન્કો સપ્તાહમાં માત્ર 5 દિવસ માટે ખુલ્લી રહે તેવી શક્યતા છે. એટલું જ નહીં, સરકારી બેન્કોના કર્મચારીઓનો પગાર ઓછામાં ઓછો 15 ટકા વધી શકે છે. આ બંને નિયમ થોડાક દિવસોમાં લાગુ થવાની શક્યતા છે, કારણ કે, બેન્કોના વિવિધ યુનિયન અને ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બંને પક્ષ સમજૂતી કરાર કરશે તો તેને અંતિમ મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવશે. જો મંત્રાલય પણ મંજૂરીની મહોર મારશે તો સરકારી બેન્કો સપ્તાહમાં માત્ર 5 દિવસ માટે ખુલ્લી રહેશે અને તેના કર્મચારીઓનો પગાર પણ 15થી 20 ટકા વધી જશે.
પબ્લિક સેક્ટર બેન્કો (PSB)ના કર્મચારીઓને 15 ડિસેમ્બર સુધીમાં ખુશખબર મળવાની શક્યતા છે. ઈતિહાસમાં પહેલીવાર પગારવધારાની વાટાઘાટ 15 ટકાની ઑફરથી શરૂ થઈ છે અને પગારમાં 15 ટકાથી 20 ટકા વધારો થવાની અપેક્ષા છે. ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA)ના સભ્યના જણાવ્યા પ્રમાણે, સપ્તાહમાં 5 દિવસ કામની જાહેરાત પગાર વધારાના નોટિફિકેશનની સાથે થઈ શકે છે અથવા તો IBA કે સરકાર દ્વારા જાહેરાત થયા પછી તરત થઈ શકે છે.
સરકારી બેન્કોના કર્મચારીઓના વર્તમાન વેજ એગ્રીમેન્ટ (wage agreement)ની તારીખ 1 નવેમ્બર 2022એ પૂરી થઈ હતી. ત્યારથી IBA અને બેન્ક કર્મચારીઓના યુનિયનો નવા વેજ એગ્રીમેન્ટ માટે વાટાઘાટ કરી રહ્યાં છે.
જુલાઈ 2020માં લગભગ 8,50,000 બેન્ક કર્મચારીઓના પગારમાં 15 ટકા વધારો થયો હતો. નાણા મંત્રાલયના સૂત્રોના મતે, વેજ રિવિઝન અને કામ કરવાના દિવસોમાં ફેરફારનો નિયમ પ્રાદેશિક ગ્રામ્ય બેન્કોને પણ લાગુ થશે.
સરકારી બેન્કના કર્મચારીઓ સપ્તાહમાં 5 દિવસ કામ કરશે તો તેમના કામના કલાકોમાં પડનારી ઘટ પૂરી કરવા માટે આ 5 દિવસોમાં કામના કલાક વધારવામાં આવશે, એમ IBAના સૂત્રએ જણાવ્યું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો