Money9 Gujarati:
લોનધારકો લોનનો હપ્તો ભરવાનું ચૂકી જાય અથવા કોઈ નિયમનો ભંગ કરે તો બેન્કો મનફાવે તેવા ચાર્જ વસૂલે છે. પરંતુ 2024ની 1 જાન્યુઆરીથી બેન્કોએ કેટલો દંડ વસૂલવો તેના નિયમ લાગુ થઈ જશે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ 18 ઓગસ્ટે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે અને નવા નિયમો આવતા વર્ષથી લાગુ કરવાની સૂચના આપી છે. બેન્કો નક્કી થયેલા વ્યાજ દર ઉપરાંત વધારાના વ્યાજ દર લગાવીને દંડની વસૂલાત કરતી હોવાનું સામે આવ્યું હોવાથી રિઝર્વ બેન્ક લોનધારકોની વહારે આવી છે અને બેન્કો તથા નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC)ને લોન પર કમ્પાઉન્ડિંગ પીનલ ઈન્ટરેસ્ટ વસૂલતી અટકાવી છે.
બેન્કો અને NBFC પોતાની આવક વધારવા માટે ‘દંડાત્મક વ્યાજ’ (penal interest)નો ઉપયોગ કરતી હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈને RBIએ ચિંતા વ્યક્ત કરી છે. રિઝર્વ બેન્કે એક સર્ક્યુલર બહાર પાડીને આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુધારેલા નિયમ જાહેર કર્યાં છે. નવા નિયમ હેઠળ, ધારો કે કોઈ લોનધારક હપ્તો ભરવાનું ચૂકી જાય તો બેન્કો માત્ર યોગ્ય દંડાત્મક ચાર્જ વસૂલી શકશે.
રિઝર્વ બેન્કે શુક્રવારે બહાર પાડેલા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, 1 જાન્યુઆરી, 2024થી બેન્કો અને લોન આપતી સંસ્થાઓ દંડાત્મક વ્યાજ નહીં વસૂલી શકે. ધારો કે, લોનધારક લોનના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેની પાસેથી માત્ર દંડાત્મક ચાર્જ વસૂલી શકાશે. તેની પાસેથી દંડાત્મક વ્યાજ નહીં વસૂલી શકાય. અત્યાર સુધી તો બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દંડાત્મક વ્યાજની ઉપર પણ વ્યાજ લાગુ કરતી હતી, પરંતુ આવતા વર્ષથી તેમની આ પ્રેક્ટિસનો અંત આવશે અને લોનધારકોએ દંડ પેટે વધારે પડતા ચાર્જ નહીં ચૂકવવા પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો