Money9 Gujarati:
દેશની બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી ડેફિસિટ (તરલતાની અછત) 4 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. એડવાન્સ ટેક્સની ચૂકવણી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી, એટલે બેન્કિંગ સિસ્ટમમાંથી નોંધપાત્ર રકમ બહાર નીકળી ગઈ હોવાનું રોઈટર્સના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત, કંપનીઓએ GSTનું પેમેન્ટ પણ પ્રથમ પખવાડિયામાં કરવાનું હોય છે, જેના કારણે બેન્કિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ લિક્વિડિટી ઘટી છે.
કેટલી છે લિક્વિડિટી?
18 સપ્ટેમ્બર સુધીના આંકડા પ્રમાણે, લિક્વિડિટીની ઘટ વધીને 1.47 લાખ કરોડ રૂપિયા (17.67 અબજ ડૉલર) થઈ ગઈ છે, જે 23 એપ્રિલ, 2019 પછી સૌથી વધારે છે. રિઝર્વ બેન્કની માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી સર્વિસમાંથી બેન્કોએ સંયુક્ત રીતે 1.97 લાખ કરોડ રૂપિયા ઉછીના લીધા છે અને સ્પેશિયલ ડિપોઝિટ ફેસિલિટી હેઠળ લગભગ 46,724 કરોડ રૂપિયા મૂક્યા છે. RBIએ જણાવ્યું છે કે, તેણે સોમવારે 1.5 લાખ કરોડનો લિક્વિડિટી સપોર્ટ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં લિક્વિડિટી પ્લસમાં હતી અને તેનું લેવલ 2.8 લાખ કરોડ રૂપિયાના 13 મહિનાના ઊંચા સ્તરે હતું. પરંતુ ઓગસ્ટના ત્રીજા સપ્તાહથી લિક્વિડિટી પ્લસમાંથી માઈનસમાં જતી રહી હતી. ચાલુ વર્ષના માર્ચના અંત બાદ પહેલીવાર લિક્વિડિટી માઈનસમાં જવાનું શરૂ થયું હતું અને હવે તે ઘટીને 4 વર્ષની ટોચે પહોંચી છે.
કયા પરિબળ છે જવાબદાર?
બેન્કિંગ સિસ્ટમમાંથી લિક્વિડિટી ખેંચાઈ જવા પાછળ બે પરિબળ જવાબદાર છે – એક છે એડવાન્સ ટેક્સની ચૂકવણી અને બીજું છે GST એક જ પખવાડિયામાં આ બંનેની ચૂકવણી થવાથી લિક્વિડિટી ઘટી છે. ઓછામાં પૂરું ઈન્ક્રીમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો (ICRR) નિયમનું પાલન કરવા માટે બેન્કોના નોંધપાત્ર નાણાં લોક થઈ ગયા છે. એડવાન્સ ટેક્સ પેમેન્ટ અને GST પેમેન્ટને લીધે બેન્કિંગ સિસ્ટમમાંથી 2.5 લાખ કરોડ રૂપિયા ઓછા થવાની અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, શિડ્યુઅલ્ડ કોમર્શિયલ બેન્કોએ 10 ટકા ICRR નિયમનું પાલન કરવું પડે છે. RBIએ 8 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, ICRRની જરૂરિયાતને તબક્કાવાર રીતે પાછી ખેંચવામાં આવશે, જેના લીધે બેન્કિંગ સિસ્ટમમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા ઉપલબ્ધ થશે. આવું થશે તો લિક્વિડિટીના મોરચે અને ઈન્ટરેસ્ટ રેટમાં રાહત મળશે. RBI 23 સપ્ટેમ્બરે I-CRR હેઠળ 25 ટકા ફંડ્સ છૂટું કરે તેવી અપેક્ષા છે જ્યારે બાકીનું 50 ટકા ફંડ 7 ઑક્ટોબરે છૂટું કરી શકે છે.
અર્થશાસ્ત્રી શું કહે છે?
અમેરિકન ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે અને 83ના સ્તરને પાર થઈ ગયો છે, આથી RBI રૂપિયાનો ઘસારો અટકાવવા માટે દરમિયાનગીરી કરશે તો લિક્વિડિટી પર વધુ અસર પડશે, એમ IDFC ફર્સ્ટ બેન્કના અર્થશાસ્ત્રી ગૌરુ સેનગુપ્તા કહે છે.
કોટક મહિન્દ્રા બેન્કના ચીફ ઈકોનોમીસ્ટ ઉપાસના ભારદ્વાજ કહે છે કે, RBI નજીકના ગાળા માટે લિક્વિડિટી ટાઈટ રાખે તેવી ધારણા છે. RBIનો ઈરાદો શોર્ટ-ટર્મ રેટ્સ ઊંચા રાખવાનો છે કારણ કે, રૂપિયો દબાણમાં છે અને ફુગાવાનું દબાણ પણ વધારે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો