Money9 Gujarati:
ભારતની બેન્કો ગ્રાહકો પાસેથી જામીન લીધા વગર દે ધનાધન લોન આપી રહી છે અને તેના કારણે બેન્કોના માથે જોખમની તલવાર લટકી રહી છે. રિઝર્વ બેન્કે પણ તાજેતરમાં બેન્કોને અનસિક્યૉર્ડ લોન આપવા સામે ચેતવી હતી અને તકેદારી રાખવાની સૂચના આપી હતી. હવે વૈશ્વિક ફાયનાન્સ કંપની UBSએ ભારતની બેન્કિંગ સિસ્ટમ સામે ચિંતા વ્યક્ત કરી છે. UBSએ તેના તાજા રિપોર્ટમાં નોંધ્યું છે કે, ભારતની બેન્કોએ આપેલી અનસિક્યોર્ડ રિટેલ લોન પર NPAનું જોખમ વધ્યું છે. લોનના ચક્કરમાં ફસાયેલા લોકો વધુ લોન લઈ રહ્યાં છે અને બેન્કો તેમને લોન આપીને પોતાનું જોખમ વધારી રહી છે. આથી, બેન્કોની નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) વધવાની શક્યતા છે, એમ UBSએ જણાવ્યું છે.
બેન્કોના માથે તોળાતું જોખમ
ભારત એશિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને બેન્કોએ વિસ્તરતા અર્થતંત્રમાં તેમનો અનસિક્યૉર્ડ ડેટ પોર્ટફોલિયો પણ વિસ્તાર્યો છે. કોવિડ મહામારી બાદ લોકોમાં ખર્ચ કરવાનું પ્રમાણ વધી ગયું છે અને લોકોની વધતી માંગને પહોંચી વળવા માટે બેન્કોએ પોતાની તિજોરી ખુલ્લી મૂકી દીધી છે.
UBS જણાવે છે કે, જૂન-2023 સુધી SBIની કુલ લોનમાં અનસિક્યૉર્ડ લોનનો હિસ્સો 11.1 ટકા થયો છે જ્યારે એક્સિસ બેન્કની કુલ લોનમાં અનસિક્યૉર્ડ લોનનો હિસ્સો 10.7 ટકા છે. RBI પણ અનસિક્યૉર્ડ રિટેલ લોન પર ચાંપતી નજર રાખી રહી છે. RBIના ગવર્નર શક્તિકાંતા દાસે તાજેતરમાં જણાવ્યું હતું કે, રિટેલ લોન સેક્ટરમાં તણાવ વધવાના સંકેત મળ્યાં છે, આથી આ સેક્ટર પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ.
RBI કડક બનશે
UBSએ બેન્કિંગ સેક્ટર માટે પોતાનું રેટિંગ ન્યુટ્રલ કરી દીધું છે. UBSએ જણાવ્યું છે કે, અનસિક્યૉર્ડ લોનનું પ્રમાણ વધવાથી RBI દ્વારા બેન્કો પર વધારે કડક નિયમો લાગુ થઈ શકે છે. રિટેલ લોનમાં નબળી પ્રોફાઈલ ધરાવતા લોકોનું પ્રમાણ વધ્યું છે, જે ચિંતાજનક છે.
RBIના આંકડા અનુસાર, 25 ઓગસ્ટ 2023 સુધીમાં ક્રેડિટ કાર્ડના બાકી લેણાંની રકમ વાર્ષિક ધોરણે વધીને 2.18 લાખ કરોડ રૂપિયા થઈ છે. 2022ની 25 ઓગસ્ટે આ લેણાંનો આંકડો 1.68 લાખ કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન પર્સનલ લોનની બાકી લેણાંની રકમ 26 ટકા વધી છે.
UBSએ જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2022-23માં જેટલા લોકોએ નવી લોન લીધી હતી તેમાંથી 23 ટકા લોકોના માથે તો પહેલેથી લોન બોલે છે. અગાઉ 2018-19માં આવા લોકોની સંખ્યા 12 ટકા જ હતી. આમ એક કરતાં વધારે રિટેલ લોન લેનારા લોકોની સંખ્યા 2022-23માં વધીને 9.43 ટકા થઈ છે, જે 2017-18માં 3.9 ટકા જ હતી.
બેન્કોના રેટિંગ ઘટાડ્યા
UBSએ ચાલુ નાણાકીયવર્ષ માટે પોતાના કવરેજ હેઠળ ભારતીય બેન્કોનો અંદાજિત ક્રેડિટ ખર્ચ 0.05 ટકાથી 0.10 ટકા વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ક્રેડિટ ખર્ચ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને UBSએ SBIને આપેલું Buy રેટિંગ ઘટાડીને Sell કર્યું છે જ્યારે એક્સિસ બેન્કને આપેલું Buy રેટિંગ ઘટાડીને neutral કર્યું છે. UBSએ SBIના શેરનો ટાર્ગેટ પ્રાઈસ 740 રૂપિયાથી ઘટાડીને 530 રૂપિયા કર્યો છે જ્યારે એક્સિસ બેન્કના શેરનો ટાર્ગેટ પ્રાઈસ 1,150 રૂપિયાથી ઘટાડીને 1,100 રૂપિયા કર્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો