Money9: ડિસેમ્બરમાં રિટેલ ઇન્ફ્લેશન 5.72 ટકાની એક વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયા બાદ હવે ડિસેમ્બરમાં જથ્થાબંધ ભાવ આધારીત ફુગાવો પણ 22 મહિનાની નીચી 4.95 ટકાની સપાટીએ આવી ગયો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારીત ફુગાવો છેલ્લા એક વર્ષમાં 3 ગણો ઘટી ગયો છે. કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ સોમવારે જણાવ્યું કે ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટવા પાછળનું કારણ ફૂડ પ્રોડક્ટ્સ, ક્રૂડ પેટ્રોલયમ અને કુદરતી ગેસ, ટેક્સટાઇલ અને કેમિકલ્સ વગેરેના ભાવોમાં થયેલો ઘટાડો છે. ડિસેમ્બરમાં ખાદ્યચીજોનો ફુગાવો -1.25 ટકા હતો.
મારુતિની ગાડીઓ મોંઘી
દેશની અગ્રણી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ તેની ગાડીઓની કિંમતમાં 1 ટકા સુધીનો વધારો કર્યો છે. સોમવારથી આ ભાવવધારો લાગુ થઇ ગયો છે. મારુતિએ તેની દરેક મોડલની કિંમતમાં વધારો કર્યો છે. ડિસેમ્બરમાં કંપનીએ કહ્યું હતું કે તે ઇનપુટ કોસ્ટમાં વધારો થવાના કારણે ગાડીઓની કિંમતમાં વધારો કરશે. આ ઉપરાંત સરકાર દ્વારા ઉત્સર્જનના નવા ધોરણો લાગુ પડવાથી પણ કંપનીને ભાવ વધારવાનું કારણ મળ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીએ બીજી વાર ભાવ વધારો કર્યો છે. અગાઉ એપ્રિલ 2022માં પણ કંપનીએ ગાડીઓ મોંઘી કરી હતી.
ફાસ્ટેગ નથી તો ડબલ ચાર્જ
જો તમારું ફાસ્ટેગ ચાલતું ના હોય તો તમારે દરેક ટોલ પ્લાઝા પર ડબલ ટોલ ચુકવવો પડે છે. ટોલ પ્લાઝા પર ફોલ્ટી ફાસ્ટેગના કેસમાં વધારો નોંધાયો છે. NHAIએ નાગરિકોને સુચના આપી છે કે તેમણે હાઇવે પર જતા પહેલાં ચેક કરી લેવું જોઇએ કે તેમનું ફાસ્ટેગ કામ કરે છે કે નહીં? જો ફાસ્ટેગ કામ ના કરતું હોય તો તેમણે હેલ્પલાઇન નંબર 1033 પર જાણ કરવી, નહીં તો NHAI નાગરિકો પાસેથી ડબલ ચાર્જ વસુલવાનું ચાલુ રાખશે. જોકે, જે લોકોને ચાર્જ કપાઇ ગયો છે તે રિફંડ મળશે કે નહીં તેની NHAIએ કોઇ સ્પષ્ટતા કરી નથી.
મધ્યમવર્ગની તકલીફોની અમને ખબર
કેન્દ્રીય બજેટ પહેલાં જ નાણામંત્રી નિર્મલા સિથારામને કહ્યું છે કે મિડલ ક્લાસ કેવી તકલીફ ભોગવી રહ્યો છે તેની તેમને ખબર છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે મધ્યમ વર્ગ પર કોઇ નવો ટેક્સ લાદ્યો નથી. તેમણે કહ્યું કે, રૂ. 5 લાખ સુધીની આવક પહલેથી જ ટેક્સ ફ્રી છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતની આવક બમણી કરવા માટે કટિબદ્ધ છે અને સરકારે તે માટે પગલાં લીધા છે. ટેક્સમાં રાહત અંગે તેમણે જણાવ્યું હતું કે, દેશની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લઇને વચનો આપવામાં આવ્યા છે અને તેમાં પૂરી પારદર્શીતા છે. સરકારને કોમન મેન પરનું ટેક્સનું ભારણ ઘટાડવા માટે ઘણા સૂચનો મળ્યા છે. જેમાં કર મુક્તિની મર્યાદા વર્તમાનની અઢી લાખથી વધારીને પાંચ લાખ કરવાના સુચનનો પણ સમાવેશ થાય છે.
બેન્કોની સ્થિતિ સુધરી
નાણા પ્રધાને જાહેર બેન્કોની સુધરી રહેલી નાણાકીય સ્થિતિ અંગે પણ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે સરકારની સ્ટ્રેટેજીથી સરકારી બેન્કોને બેઠી થવામાં મદદ મળી છે. તેમની NPA છે અને તેમની નાણાકીય સ્થિતિ ખુબ જ સુધરી છે. નાણાકીય વર્ષ 2022માં સરકારી બેન્કોનો કુલ નફો રૂ. 66 હજાર કરોડને પાર થઇ ગયો છે. તેમણે કહ્યું કે, સરકારી બેન્કોએ નાણાકીય વર્ષ 2016થી લઇને 2020 સુધીના પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. પરંતુ કોવિડ બાદ સરકારી પગલાંને કારણે જાહેર બેન્કોને મદદ મળી હતી અને તેમણે અદભૂત દેખાવ નોંધાવ્યો છે.
મકાનોની કિંમત વધશે
બિલ્ડરોની સર્વોચ્ચ બોડી ક્રેડાઇના એક રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષે એટલે કે 2023માં મોટાભાગના ડેવલપર્સ મકાનોની કિંમતમાં વધારો કરશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક ક્વાર્ટરથી માંગમાં વધારો થવા અને ઇનપુટ કોસ્ટમાં વધારો થવાના કારણે મકાનોની કિંમતમાં વધારો થયો છે. 2022માં રેકોર્ડ સંખ્યામાં મકાનોનું વેચાણ થયું હતું. પ્રોપર્ટીનું વેચાણ તેના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
SIP દ્વારા રોકાણના રેકોર્ડ તૂટ્યા
મ્યુચ્યુઅલ ફંડના એસોસિએશન એમ્ફીના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2022માં SIP દ્વારા રોકાણના તમામ રેકોર્ડ તુટી ગયા છે. ડિસેમ્બરમાં અત્યાર સુધીનું સૌથી વધુ 13 હજાર 573 કરોડ રૂપિયાનું રોકાણ એસઆઇપી દ્વારા થયું છે. ગયા વર્ષે પણ મોટી સંખ્યામાં એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ આવ્યું હતું. જે 31 ટકા વધીને 1.5 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. નિષ્ણાંતો પણ ચાલુ વર્ષે એસઆઇપીમાં ધરખમ વધારો જોઇ રહ્યા છે. તેમના મતે એસઆઇપી દ્વારા રિટેલ રોકાણકારો મોટી સંખ્યામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે.હાલમાં દેશમાં કુલ 6.12 કરોડ એસઆઇપી એકાઉન્ટ છે. તો મ્યુચ્યુઅલ ફંડની કુલ એયુએમ 40 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઇ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો