MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
રિલાયન્સની કેબલ કંપનીઓ બેઝ પ્લાનમાંથી સ્ટારની ચેનલો દૂર કરશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ત્રણ કેબલ કંપનીએ ગ્રાહકોને પહેલી એપ્રિલથી તેમના બેઝિક પ્લાનમાંથી સ્ટારની ચેનલો દૂર કરવાની જાણકારી આપી છે. ડેન નેટવર્ક્સ, હેથવે કેબલ અને GTPLએ બેઝિક પ્લાનમાંથી સ્ટારની ચેનલો બંધ કરવાની સૂચના આપી છે, જેના કારણે 2 કરોડ સબ્સક્રાઈબર્સને અસર પડશે અને તેમણે 15 ટકાથી 20 ટકા વધુ પૈસા ખર્ચ કરવા પડશે. IPLની મેચોના ટીવી પ્રસારણના અધિકાર ડિઝની સ્ટાર પાસે છે જ્યારે ડિજિટલ મીડિયા રાઈટ્સ રિલાયન્સની કંપની Viacom18 પાસે છે, એટલે શક્યતા છે કે, રિલાયન્સનો ઈરાદો આ ગ્રાહકોને જિયોના ડિજિટલ પ્લેટફોર્મ તરફ ખેંચવાનો છે. રિલાયન્સ તેની જિયોસિનેમા ઓટીટી એપ પર IPLની મેચો ફ્રીમાં બતાવવાની છે, એટલે, દર્શકો વધુ ખર્ચ કરીને મોંઘા પેક ખરીદવા કરતાં જિયોની એપ પર જઈને મેચ જોવા પ્રેરાઈ શકે છે. પરંતુ ગ્રાહકો ભેગા મળીને ફરિયાદ કરશે તો, ટેલિકોમ માર્કેટના નિયમનકારે આ મુદ્દે દરમિયાનગીરી કરવી પડશે. ગ્રાહકોને પોતાની મરજી મુજબની ચેનલ જોવાનો અધિકાર છે. ગ્રાહકો કેબલ ઓપરેટર્સને અને ડીટીએચ કંપનીને પોતાની ઈચ્છા મુજબની ચેનલ જોવાની માંગણી કરી શકે છે અને જો ગ્રાહકો ભેગા મળીને ટ્રાઈને ફરિયાદ કરે કે, તેમના બેઝ પ્લાનમાંથી ચેનલ દૂર કરવામાં આવી છે, તો ટ્રાઈ આ મામલે દરમિયાનગીરી કરી શકે છે.
CNG અને PNGના ભાવ વધવાની શક્યતા CNG અને PNGના ભાવ વધવાની શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારની કંપની મહાનગર ગેસ લિમિટેડના MD આશુ સિંઘલે જણાવ્યું છે કે, ગેઈલની નેચરલ ગેસ પાઈપલાઈન્સના ઈન્ટીગ્રેટેડ ટેરિફમાં વધારો થવાનો છે અને તેના કારણે CNGની કિંમતમાં કિલોએ 1 રૂપિયાનો વધારો થઈ શકે છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસના નિયમનકારે ગેઈલના ટેરિફમાં 45 ટકા વધારો મંજૂર રાખ્યો છે, જે 1 એપ્રિલ 2023થી લાગુ પડશે. ગેઈલના ટેરિફ વધશે એટલે, તેની પાસેથી ગેસનો સપ્લાય મેળવતી શહેરી ગેસ વિતરણ કંપનીઓનો ખર્ચ વધી જશે.
એપ્રિલ મહિનાથી કાર, બાઈક, સ્કૂટર મોંઘા થશે મારુતિ એપ્રિલ મહિનામાં તેની કારની કિંમતમાં વધારો કરશે. મારુતિએ જણાવ્યું છે કે, કાચો માલ મોંઘો થયો છે અને નવા નિયમોનું પાલન કરવાથી ખર્ચ વધી રહ્યો છે. એપ્રિલ મહિનાથી પ્રદૂષણ ઓછું કરવાના કડક નિયમો લાગુ થવાના છે, જેનું પાલન કરવા માટે કંપનીઓએ વધુ ખર્ચ કરવો પડશે અને આ ખર્ચનું ભારણ હળવું કરવા માટે ઓટોમોબાઈલ કંપનીઓ ભાવ વધારવા લાગી છે. હોન્ડા કાર્સ ઈન્ડિયા તેની એન્ટ્રી લેવલની કોમ્પેક્ટ સેડાન અમેઝની કિંમત 12,000 રૂપિયા સુધી વધારવાની છે. જોકે, હોન્ડા તેની મિડ-સાઈઝ સેડાન સિટીની કિંમતમાં વધારો નહીં કરે. અગાઉ ટાટા મોટર્સે પણ તેના કમર્શિયલ વ્હિકલના ભાવ પાંચ ટકા સુધી વધારવાની જાહેરાત કરી છે. ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ પણ પહેલી એપ્રિલથી તેના મોટરસાઈકલ અને સ્કૂટર્સના અમુક મોડેલના ભાવમાં 2 ટકા સુધીનો વધારો કરશે.
એપ્રિલ મહિનામાં 15 દિવસ માટે બેન્કોમાં રહેશે રજા એપ્રિલ મહિનામાં અડધો મહિનો બેન્કો બંધ રહેશે, જ્યારે ગુજરાતમાં કુલ 10 દિવસ બેન્કો બંધ રહેશે. એપ્રિલ મહિનામાં પાંચ રવિવાર આવે છે. એટલે પાંચ રજા તેની થઈ… આ ઉપરાંત, બીજો અને ચોથો શનિવાર હોવાથી બે દિવસ બેન્કો બંધ રહેશે. પહેલી એપ્રિલે નાણાકીય વર્ષના વાર્ષિક ક્લોઝિંગને કારણે બેન્કો બંધ રહેશે. ગુજરાતમાં 4 એપ્રિલે મહાવીર જંયતિની અને 14 એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિની રજા રહેશે. આમ, ગુજરાતમાં કુલ 10 દિવસ બેન્કો બંધ રહેશે. સમગ્ર દેશની વાત કરીએ તો, પાંચ એપ્રિલે બાબુ જગજીવન રામના બર્થડે નિમિત્તે હૈદરાબાદ-તેલંગાણામાં બેન્કો બંધ રહેવાની છે. સાતમી એપ્રિલે ગુડ ફ્રાઈડે નિમિત્તે કેટલાક રાજ્યોમાં રજા રહેશે જ્યારે 15 એપ્રિલે કેરળ, બંગાળ અને હિમાચલ પ્રદેશના સ્થાનિક તહેવારને લીધે તેમજ 18, 21 અને 22 એપ્રિલે અમુક રાજ્યોમાં બેન્કો બંધ રહેવાની છે.
બેન્કિંગ કટોકટીને પગલે સરકારે બોલાવી ખાસ બેઠક અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટીથી દુનિયાભરની બેન્કો અને સરકારો ગભરાઈ ગઈ છે. ભારતની બેન્કો આવી કટોકટી સામે કેટલી સક્ષમ છે, તેની સમીક્ષા કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે 25 માર્ચ 2023 શનિવારના રોજ એક ખાસ બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકારી બેન્કોને બોલાવવામાં આવી છે. માર્ચ-એન્ડિંગ નજીક છે એટલે આ બેઠકમાં સરકારી બેન્કોએ સમગ્ર વર્ષમાં કેવું પ્રદર્શન કર્યું છે, તેની પણ સમીક્ષા થશે. સરકાર બેન્કોના અધિકારીઓ સાથે ચર્ચા કરીને જાણવાનો પ્રયાસ કરશે કે, તેમની સ્થિતિ કેવી છે અને કોઈ નવા નિયમ લાગુ કરવાની જરૂર છે કે નહીં.
જૂનું સોનું વેચવાનું પ્રમાણ વાર્ષિક ધોરણે 25% વધ્યું સોનાના ભાવ રેકોર્ડ લેવલે પહોંચતાની સાથે જ, જૂનું સોનું વેચનારા સક્રિય થઈ ગયા છે. જ્વેલરી અને ગોલ્ડ રિફાઈનિંગ માર્કેટના એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર, સોનાનો ભાવ 60 હજારને પાર થયો ત્યારથી જૂનું સોનું વેચવાનું પ્રમાણ વાર્ષિક ધોરણે 25 ટકા વધી ગયું છે. દક્ષિણ ભારતમાં જૂનું સોનું વેચીને નવું સોનું લેનારા વધ્યા છે જ્યારે કેટલાક લોકો રોકડા માંગી રહ્યાં છે. ઉત્તર ભારતમાં તો આ ટ્રેન્ડ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે, કોલેજમાં એડમિશન લેવા માટે ફી ભરવાની હોવાથી ઉત્તરનાં રાજ્યોમાં ફેબ્રુઆરી અને માર્ચમાં જૂનું સોનું વેચવાનું પ્રમાણ વધી જાય છે અને આ વખતે સારો ભાવ મળતો હોવાથી જ્વેલર્સને ત્યાં સોનું વેચવાવાળાની લાઈનો લાગી છે. માર્ચ-એન્ડિંગ હોવાથી લોકો ટેક્સ-સેવિંગ સ્કીમમાં રોકાણ કરવા માટે પણ સોનું વેચી રહ્યાં છે એમ કેટલાક CAનું કહેવું છે.
રિલાયન્સ સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે ખોલશે હોટેલ્સ અને રિસોર્ટ્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હોટેલ્સ, રિસોર્ટ્સ અને લોજિંગ ફેસિલિટી ડેવલપ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. રિલાયન્સે આ ડેવલપમેન્ટ માટે નવી કંપની રિલાયન્સ SOU પણ સ્થાપી છે અને આ કંપની દ્વારા તે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં પ્રવેશ કરશે. રિલાયન્સ નર્મદા નદી પર હાઉસબોટમાં લોજિંગ ફેસિલિટી ડેવલપ કરવા માંગે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દેશનાં મહત્ત્વનાં પ્રવાસન સ્થળ તરીકે સ્થાન મેળવ્યું છે અને ચાર વર્ષમાં લગભગ 1 કરોડ લોકોએ તેની મુલાકાત લીધી છે. ગયા વર્ષે ટાટા ગ્રૂપની કંપની ઈન્ડિયન હોટેલ્સે પણ જિન્જર અને વિવાન્તા બ્રાન્ડની હોટેલ્સ સ્થાપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ સાથે કરાર કર્યા હતા. કેવડિયામાં અન્ય કંપનીઓ પણ હોટેલ્સ સહિતની સુવિધાઓ વિકસાવી રહી છે, જેના લીધે જમીનોના ભાવ ઊંચકાયા છે અને ઘણા લોકોને રોજગારીની તક મળી છે.
માવઠાને કારણે ઈસબગુલના ખેડૂતોને ફટકો ગુજરાતમાં કમોસમી વરસાદની નકારાત્મક અસર પડવાનું શરૂ થઈ ગયું છે. હોળીથી શરૂ થયેલા છૂટાછવાયા માવઠાએ જોર પકડ્યું હોવાથી, ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. માવઠા સામે સૌથી નબળા ગણાતા ઈસબગુલના ખેડૂતોએ ખોટના ખાડામાં ઊતરવાનો વારો આવ્યો છે. તેની સાથે સાથે ઈસબગુલના ભાવ પણ 10 ટકા વધી ગયા છે. છેલ્લાં પખવાડિયામાં 1 ક્વિનટ્લ ઈસબગુલના ભાવ 34,775 રૂપિયાથી વધીને 38,000 રૂપિયાને પાર થઈ ગયા છે. સમગ્ર દેશમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં ઈસબગુલની ખેતી થાય છે. ખેતરોમાં વાવવામાં આવેલા ઈસબગુલને ગંભીર નુકસાન પહોંચ્યું છે અને જો ખેડૂતો આ પાકને વાઢવા માટે ખેડૂતોને મંજૂરી આપે તો, મજૂરીનો ખર્ચ પણ નીકળે તેમ નથી. માવઠાને લીધે ઈસબગુલ ઉપરાંત, ઘઉં, જીરું, વરિયાળી, કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે.
Hurun Global Rich Listમાં મુકેશ અંબાણી નવમા ક્રમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એક માત્ર ભારતીય છે કે જેમણે Hurun Global Rich Listમાં વિશ્વના ટોચના 10 અબજોપતિમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. Hurun Global Rich Listમાં મુકેશ અંબાણી નવમા ક્રમે છે. અંબાણીએ સતત ત્રીજા વર્ષે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં 20 ટકાનો ઘટાડો થવા છતાં તેમણે 82 અબજ ડોલરની સંપતિ સાથે વિશ્વના ટોપ-ટેન ધનિકોમાં નવમો ક્રમ હાંસલ કર્યો છે. ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં બીજા ક્રમે ધકેલાયા છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં મુકેશ અંબાણી પ્રથમ ક્રમે છે. અદાણીની સંપત્તિમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. અદાણી ગયા વર્ષથી દર સપ્તાહે સરેરાશ 3,000 કરોડની સંપતિ ગુમાવી રહ્યા છે અને અત્યારે તેમની સંપત્તિ 53 અબજ ડોલર છે. જાન્યુઆરીમાં હિન્ડનબર્ગના અહેવાલ બાદ અદાણીની સંપત્તિમાં 60 ટકા સુધીનો ઘટાડો થયો છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો તે પહેલાં ગૌતમ અદાણી વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ હતા.
સિમેન્ટ કંપનીઓ એપ્રિલમાં ભાવ વધારે તેવી શક્યતા સિમેન્ટ કંપનીઓ એપ્રિલમાં ભાવવધારો કરે તેવી શક્યતા છે. કંપનીઓએ ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધાર્યાં હતા, પરંતુ વર્ષનો ટાર્ગેટ પૂરો કરવા માટે ડિસ્કાઉન્ટ અને ઈન્સેન્ટિવ આપવા પડ્યા હોવાથી આ ભાવવધારો સરભર થઈ ગયો હતો. 2023ના શરૂઆતના બે મહિનામાં સિમેન્ટના ભાવમાં થેલીએ 10 રૂપિયાથી 20 રૂપિયાની રેન્જમાં વધારો થયો હતો. અત્યારે 50 કિલોની સિમેન્ટની થેલીની કિંમત તેના ગ્રેડિંગ અનુસાર રૂ.330થી રૂ410ની વચ્ચે છે. મોતીલાલ ઓસવાલ ફાયનાન્શિયલ સર્વિસિસે જણાવ્યું છે કે, ઈંધણ માટે પેટકોકનો ઉપયોગ કરતી સિમેન્ટ કંપનીઓની તુલનાએ જે કંપનીઓ આયાતી કોલસાનો ઉપયોગ કરે છે તેમને ફાયદો થશે કારણ કે, કોલસાના ભાવ ઘટ્યા છે. ઈંધણ ખર્ચ નીચે જવાથી અને ભાવમાં વધારો થવાથી સિમેન્ટ કંપનીઓને માર્જિન સુધારવામાં મદદ મળશે. જોકે, માંગ પર ગંભીર અસર પડવાની શક્યતા ઓછી છે, કારણ કે, કંપનીઓ આકરો ભાવવધારો કરે તેવી શક્યતા નથી.
BSNL FY27માં નફો કરતી થશે તેવી ધારણા: ટેલિકોમ વિભાગ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, દેવા તળે દબાયેલી BSNL, નાણાકીય વર્ષ 2026-27માં નફો રળે તેવી અપેક્ષા છે. પરંતુ આવતા નાણાકીય વર્ષમાં તેની ખોટ વધીને 7,700 કરોડ રૂપિયાને પાર થઈ જશે. ટેલિકોમ વિભાગે એમ પણ જણાવ્યું છે કે, BSNLએ આવતા નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં AGR પેટે બાકી નીકળતા 33,111 કરોડ રૂપિયા સરકારને ચૂકવવાના છે. કંપનીને સરકાર તરફથી 1.08 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ મળ્યું છે અને આથી, કંપની AGRની રકમ ચૂકવવા માટે સક્ષમ છે. જો BSNL નફો કરતી થશે તો, ટેલિકોમ સેક્ટરમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને ફાયદો થશે, કારણ કે અત્યારે ટેલિકોમ માર્કેટમાં માત્ર બે કંપનીનો દબદબો છે.
બેન્કોની સ્પેશિયલ FD સ્કીમ પૂરી થવાની નજીક કેટલીક બેન્કોએ જાહેર કરેલી સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમનો લાભ લેવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. જો તમે પણ સ્પેશિયલ FD સ્કીમનો લાભ લેવા માંગતા હોવ તો સાંભળો આ ખબર. પંજાબ એન્ડ સિંદ બેન્ક સ્પેશિયલ FD સ્કીમ પર સૌથી વધુ ઈન્ટરેસ્ટ રેટની ઓફર કરી રહી છે. આ બેન્ક ગ્રાહકને 8 ટકા વ્યાજ આપે છે. આ ઉપરાંત, SBI તેની 400 દિવસની અમિત કલશ FD સ્કીમ પર 7.10 ટકા વ્યાજની ઓફર કરે છે. ઈન્ડિયન બેન્ક તેની શક્તિ 555 ડેઝ એફડી સ્કીમ પર 7 ટકા વ્યાજ આપી રહી છે. આ તમામ સ્કીમમાં સીનિયર સીટિઝનને અડધો ટકો વધુ વ્યાજનો લાભ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો