MONEY9: દેશમાં ઘઉં, ચોખા જેવા અનાજની અછતની સમસ્યા હેઠી બેસે તેની પહેલાં તો કઠોળ અને તેલીબિયાંની સમસ્યાએ માથું ઊંચક્યું છે. આ સમસ્યાએ 17 ઓગસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું. સરકારે 17 ઓગસ્ટે પાક વર્ષ 2021-22 માટેના ચોથા એડવાન્સ એસ્ટિમેટની જાહેરાત કરી એટલે ખબર પડી કે, ઘઉં તથા ચોખાનું ઉત્પાદન તો વધશે પરંતુ કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન ઘટવાની બીક છે.
ઘઉંનું ઉત્પાદન વધવાનો અંદાજ સરકારે ઘઉંના ઉત્પાદનમાં 4 લાખ ટન વધારો થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ચાલુ વર્ષે 10.68 કરોડ ટન ઘઉંના ઉત્પાદનનો અંદાજ છે. સરકારે તો ઘઉંના ઉત્પાદનમાં વધારો થવાનું મૂલ્યાંકન અગાઉ કરી લીધું હતું અને આ ચોથા એસ્ટિમેટમાં તેનો ચોક્કસ આંકડો જાહેર કર્યો છે. ચોથા એસ્ટિમેટના આંકડા દર્શાવે છે કે, ઘઉંના ઉત્પાદનમાં જેટલો ઘટાડો થવાની આશંકા હતી, તેટલો ઘટાડો વ્યક્ત કરવામાં આવ્યો નથી.
ચોખાનું ઉત્પાદન પણ વધશે ચોખાની વાત કરીએ તો, આ મોરચે રાહતના સમાચાર છે કારણ કે, ચોખાનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક 13 કરોડ ટન કરતાં વધુ રહેવાનો અંદાજ છે.
તેલીબિયાંનું ઉત્પાદન ઘટવાનો અંદાજ જોકે, તેલીબિયાંના મોરચે સરકારે અગાઉ જે અંદાજ આપ્યો હતો, તે હવે ઘટાડ્યો છે. ખાસ તો, સોયાબીનના ઉત્પાદનના અંદાજમાં 8 લાખ ટનથી પણ વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. આ જ કારણસર, તેલીબિયાંના કુલ ઉત્પાદનનો અંદાજિત આંકડો 385 લાખ ટનથી ઘટાડીને 377 લાખ ટન કરવામાં આવ્યો છે.
કઠોળ, કપાસની સ્થિતિ કઠોળ અને કપાસની સ્થિતિ પણ આવી જ છે. આ બંનેના ઉત્પાદનના અંદાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. કઠોળનું ઉત્પાદન 277 લાખ ટન થવાનો અંદાજ હતો, જે હવે ઘટાડીને 276 લાખ ટન કરવામાં આવ્યું છે. કપાસની વાત કરીએ તો, કપાસની ઊપજના અંદાજમાં 3 લાખ ગાંસડીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
વાવેતરમાં થયો છે ઘટાડો હવે મીટ મંડાઈ છે નવા વાવેતર પર… તો ખરીફ સીઝનમાં જે વાવેતર થયું છે, તેના આંકડા ઉત્સાહ વધારવાની જગ્યાએ નિરાશા વધારે તેવા છે. ચોખાનો વાવેતર વિસ્તાર લગભગ 44 લાખ હેક્ટર ઘટ્યો છે અને તેલીબિયાં તથા કઠોળનો વાવેતર-વિસ્તાર પણ ગયા વર્ષ કરતાં ઘટ્યો છે. ઓછામાં પૂરું વાવણીની સીઝન પણ પૂરી થવાની તૈયારીમાં છે. એટલે કે, સ્થિતિ સુધરવાની આશા આથમી ગઈ છે અને ખરીફ પાકનું ઉત્પાદન ઓછું થવાની ચિંતાનો ઉદય થયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો