MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
ડિસેમ્બરમાં CPI આધારિત ફુગાવો 5.72% થયો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત ફુગાવો ફરી ઘટ્યો છે. ડિસેમ્બર મહિના માટે ફુગાવાનો દર 5.72 ટકા જાહેર થયો છે. નવેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 5.88 ટકા હતો. આમ, સતત ત્રીજા મહિને છૂટક મોંઘવારીનો દર ઘટ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફુગાવાનો દર બે ટકાથી છ ટકાની રેન્જમાં રાખવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ફુગાવાનો દર આ રેન્જની અંદર પહોંચ્યો છે, પરંતુ 4 ટકાના મીડિયમ-ટર્મ ટાર્ગેટની ઉપર છે. છૂટક મોંઘવારીનો દર સતત 39 મહિનાથી આ ટાર્ગેટની ઉપર છે. મોંઘવારીનો આ દર આગામી બજેટ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. એટલું જ નહીં, રિઝર્વ બેન્ક મોંઘવારીને હજુ નીચે લઈ જવા માટે વ્યાજ દરમાં વધારો કરવાનું જાળવી રાખે તેવી પણ શક્યતા છે.
વધુ 10 દેશોનાં NRI પણ UPIનો ઉપયોગ કરી શકશે હવે ભારતીયો વધુ 10 દેશોમાં પણ ડિજિટલ પેમેન્ટ માટે UPIનો ઉપયોગ કરી શકશે. NPCIએ જે 10 દેશોને સામેલ કર્યાં છે, તેમાં સિંગાપોર, અમેરિકા, કેનેડા, યુએઈ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, કતાર, ઓમન, સાઉદી અરેબિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે. આમ, હવે આ દેશોમાં વસતા NRI ભારતમાં રહેતા તેમના પરિવારને સરળતાથી પૈસા મોકલી શકશે. જોકે, તેમની પાસે પણ NRE અથવા તો NRO એકાઉન્ટ હોવું જરૂરી છે. તમારે સૌપ્રથમ તમારા UPIને તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરવું પડશે. એટલું જ નહીં, તમારું ઈન્ટરનેશલ સિમ કાર્ડ પણ બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક હોવું જરૂરી છે. આ નિર્ણયથી વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને, ત્યાં વસતા ભારતનાં પરિવારોને અને કામકાજ અર્થે ગયેલા ભારતીયોને ફાયદો થશે.
રાંધણ તેલ ફરી મોંઘું થવાની શક્યતા ખાદ્ય તેલ ફરી મોંઘું થવાની શક્યતા છે. સરકારે જણાવ્યું છે કે, આવતા નાણાકીય વર્ષથી ક્રૂડ સોયાબીન ઓઈલ પર ફરી આયાત જકાત લાદવામાં આવશે. તેના કારણે દેશમાં ખાદ્ય તેલના ભાવ વધી શકે છે. સરકારે મોંઘવારીમાં રાહત આપવા માટે અગાઉ વિવિધ પ્રકારની ડ્યૂટી અને સેસ નાબૂદ કર્યા હતા, જેથી ખાદ્ય તેલની કિંમત નીચે લઈ જવામાં મદદ મળી હતી. અત્યારે સોયાબીન ઓઈલનું એક લિટર પેકેટ 160 રૂપિયામાં મળે છે. જો તેના પર ઈમ્પોર્ટ ડ્યૂટી લાદવામાં આવશે, તો ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવા તૈયાર રહેવું પજશે.
ABSL AMCએ લૉન્ચ કર્યું મલ્ટિ-એસેટ અલોકેશન ફંડ આદિત્ય બિરલા સન લાઈફ AMCએ મલ્ટિ-એસેટ અલોકેશન ફંડ લૉન્ચ કર્યું છે. આ ફંડ ઈક્વિટીઝમાં, ડેટમાં અને ગોલ્ડ-સિલ્વરમાં રોકાણ કરશે. તેનો NFO 11 જાન્યુઆરીથી ખુલ્યો છે અને સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી છે. આ સ્કીમ ઈક્વિટીમાં રોકાણ માટે ફ્લેક્સિ-કેપ સ્કીમ જેવો અભિગમ અપનાવશે અને તમામ પ્રકારનાં સેક્ટર્સની કંપનીઓમાં રોકાણ કરશે. ખાસ તો લાર્જકેપ્સમાં વધુ રોકાણ કરશે. ડેટ માટે બૉન્ડ પર પસંદગી ઉતારવામાં આવશે. ટકાવારીમાં જોઈએ તો, આ સ્કીમ 65 ટકા રોકાણ BSE ટુ-હન્ડ્રેડ કંપનીઓમાં, 25 ટકા રોકાણ ક્રિસિલ શૉર્ટ-ટર્મ બોન્ડ ફંડ ઈન્ડેક્સમાં, પાંચ ટકા રોકાણ ગોલ્ડમાં અને પાંચ ટકા રોકાણ સિલ્વરમાં કરશે. આ સ્કીમના રિસ્કોમીટરનો કાંટો ”વેરી હાઈ” ઈન્ડિકેટ કરે છે, એટલે કે તેમાં જોખમ ઘણું વધારે છે.
કૉર્પોરેટ બૉન્ડ્સમાં પણ ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થઈ શકશે સ્ટોક્સ અને કોમોડિટીમાં તો વાયદામાં વેપાર થાય છે અને ટૂંક સમયમાં કોર્પોરેટ બોન્ડ્સમાં પણ ફ્યુચર કોન્ટ્રાક્ટ્સમાં ટ્રેડિંગની શરૂઆત થઈ જશે. સેબીએ કરેલી જાહેરાત પ્રમાણે, રોકાણકારો ટૂંક સમયમાં કોર્પોરેટ બોન્ડ્સમાં પણ ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ ટ્રેડિંગ કરી શકશે. આ બોન્ડ સરકારી કંપનીઓના અને સરકારી સિક્યોરિટીઝ વગેરેના હશે. રોકાણકારો ટૂંક સમયમાં કોર્પોરેટ ડેટ સિક્યોરિટીઝના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં પણ ટ્રેડિંગ કરી શકશે. જે કોર્પોરેટ બોન્ડને ડબલ A+ રેટિંગ મળ્યું હશે, માત્ર તેનું જ લિસ્ટિંગ થશે. આવું કરવાથી તમારા રોકાણની સલામતી વધી જશે. સ્ટોક એક્સચેન્જો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટની છેલ્લી બંધ કિંમત અથવા મૂળ કિંમતના 5 ટકા પર પ્રાઇસ બેન્ડ સેટ કરશે. રોકાણકારો સોમવારથી શુક્રવાર સુધીના તમામ કામકાજના દિવસોમાં સોદા કરી શકશે. ટ્રેડિંગનો સમય સવારે 9:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો રહેશે.
….તો exit load નહીં લાગે સેબીએ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે. કોઈ કારણસર તમારે લૉક-ઈન પીરિયડ પહેલાં જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકેલા યુનિટ રીડિમ કરવા પડે તો, એગ્ઝિટ લોડ ચૂકવવો પડે છે. પરંતુ સેબીએ કરેલી જાહેરાત અનુસાર, જો કોઈ મ્યુચ્યુઅલ ફંડનો મેનેજર તમારી સ્કીમને અધવચ્ચે છોડીને જતો રહે અથવા તેની ટ્રાન્સફર થઈ જાય તો, રોકાણકારે એગ્ઝિટ લોડ ચૂકવવો નહીં પડે. પરંતુ આ લાભ માત્ર પ્રથમ 30 દિવસ પૂરતો મર્યાદિત છે. એટલે કે, ફંડ મેનેજરે નોકરી છોડી તે તારીખથી 30 દિવસની અંદર તમે યુનિટ રીડિમ કરશો, તો તમારે એગ્ઝિટ લોડ નહીં ભરવો પડે. એસેટ મેનેજમેન્ટ કંપનીએ પણ રોકાણકારોને સત્તાવાર માહિતી આપવી પડશે અને જણાવવું પડશે કે, તેની સ્કીમમાં કેવા પ્રકારના ફેરફાર થવાના છે. આ માહિતી મળ્યા પછી, જો તમને લાગે કે તમારે યુનિટ રીડિમ કરી લેવા છે અને એગ્ઝિટ લોડ નથી ચૂકવવો, તો તમે પ્રથમ 30 દિવસમાં આ કવાયત કરી શકશો અને એગ્ઝિટ લોડ ભરવામાંથી મુક્તિ મેળવી શકશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો