MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
ફાગણમાં અષાઢી માહોલ ફાગણ ફોરમતો આયો… અને કમોસમી વરસાદ પણ લાયો…. છેલ્લાં બે દિવસથી હવામાનમાં આવેલા પલટાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસો જેવો માહોલ સર્જાયો છે, જેથી ખુલ્લામાં મૂકેલો પાક બગડી ગયો છે અને ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. સુરેન્દ્રનગરના પાટડીમાં રવિવારે પરોઢિયે જ ગાજવીજ અને ભારે પવન સાથે કરા પડ્યા છે. ઉતરતા શિયાળે રવિ પાક તૈયાર થવા ટાણે જ કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતો, હાથમાં આવેલ કોળિયો કુદરતે ઝૂંટવી લીધો હોવાની લાગણી અનુભવી રહ્યાં છે. કાલા કપાસનું રૂ નીચે પડીને જમીન સાથે ચોંટી ગયું છે જ્યારે એરંડાની કૂપણો બળી ગઈ છે. વલસાડના ઉમરગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા કેરી અને શાકભાજી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. આ વરસાદથી રાયડો, કપાસ, ઘઉં, ચણા, જીરું, બટાકા જેવા પાક પર અસર પડી છે અને ભાવ વધી જવાની વાતો થઈ રહી છે. શનિવારથી હવામાનમાં ઓચિંતો પલટો આવ્યો હોવાથી ઈડર પંથકના ખેડૂતોએ તમાકુ, બટાટા, રાયડો, ઘઉં અને ચણાની કાપણી પુરજોશમાં ચાલુ કરી દીધી છે. બારડોલીના વાંકાનેર ગામે અને સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા છે. વડોદરામાં ભારે પવન ફૂંકાયો છે, તો તાપીના વ્યારા અને વાલોડ સહિતના વિસ્તારમાં ઝાપટાં પડ્યા છે. રાજકોટથી લઈને ગીર અને કચ્છ-ભૂજના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે જ્યારે અમરેલીના ધારી, દલખાણીયા, સરસિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
ટેક્સટાઈલ સ્ટોક્સમાં ફાયદો થવાની શક્યતાઃ એનાલિસ્ટ્સ 2022માં કપાસના ભાવ 50 હજાર રૂપિયાના ઓલ-ટાઈમ હાઈ લેવલે હતા, જે હવે 40 ટકા ઘટી ગયા છે. અત્યારે એક ખાંડી કપાસનો ભાવ 29,000 રૂપિયા છે. કપાસના ભાવની સાથે સાથે નૂરભાડાં પણ ઘટ્યા હોવાથી ટેક્સટાઈલ કંપનીઓના શેર્સ માટે તેજીનો માહોલ સર્જાયો છે. સ્ટોક માર્કેટના એનાલિસ્ટ્સનું કહેવું છે કે, આ સાનુકૂળ પરિબળોને લીધે આગામી મહિનાઓમાં ટેક્સટાઈલ કંપનીઓના માર્જિનમાં વધારો થશે. ઈલારા સિક્યોરિટીઝના એનાલિસ્ટ્સનું કહેવું છે કે, તેઓ લાંબા ગાળા માટે અરવિંદ, KPR મિલ્સ અને વર્ધમાન ટેક્સટાઈલ્સ જેવી કંપનીઓના શેર માટે પોઝિટિવ છે. છેલ્લાં 1 વર્ષમાં ડોલર ઈન્ડસ્ટ્રીઝ, બોમ્બે ડાઈંગ અને વેલસ્પન ઈન્ડિયા જેવા ટેક્સટાઈલ સ્ટોક્સમાં કરેક્શન આવ્યું છે, એટલે આવા સ્ટોક્સનું વેલ્યુએશન કમ્ફર્ટ ઝોનમાં છે.
સરકારે તુવેર પર લાગતી કસ્ટમ્સ ડ્યૂટી નાબૂદ કરી સરકારે હોળી પહેલાં ખુશખબર આપી છે. સરકારે તુવેર દાળ પર લાગતી 10 ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી નાબૂદ કરી છે. પાક વર્ષ 2022-23માં તુવેરના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ હોવાથી, સરકારે આયાતને પ્રોત્સાહન આપવા માટે આ ડ્યૂટી દૂર કરી છે. તુવેર પરથી કસ્ટમ્સ ડ્યૂટી દૂર થવાથી, તેના ભાવને અંકુશમાં રાખવામાં પણ મદદ મળશે. તુવેર દાળ ખરીફ સીઝનનો પાક છે. કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, જુલાઈ 2022થી જૂન 2023 દરમિયાન, તુવેર દાળનું ઉત્પાદન ઘટીને 38.9 લાખ ટન થયું હતું, જે અગાઉ 43.4 લાખ ટન હતું.
હાઈવેઝ પર લાગતો ટોલ ટેક્સ વધવાની ધારણા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસવેનો ઉપયોગ કરવા માટે વધારે ખર્ચ કરવો પડશે. દેશમાં હાઈવેઝનું સંચાલન કરતી સંસ્થા આવતા મહિનાથી ટોલ ટેક્સ વધારવાની છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા એટલે કે, NHAI પહેલી એપ્રિલથી ટોલ પ્લાઝા પર ટેક્સના રેટમાં 5 ટકાથી 10 ટકાની રેન્જમાં વધારો કરે તેવી શક્યતા છે. કાર અને હળવા વાહનો પર લાગતા ટોલ પ્લાઝા ટેક્સ રેટમાં 5 ટકા વધારો કરવામાં આવે તેવી ધારણા છે જ્યારે હેવી વ્હિકલ્સ પર લાગતો ટેક્સ 10 ટકા વધારવામાં આવશે. ટેક્સના રેટ વધારવાથી NHAIની આવકમાં વધારો થશે પરંતુ વાહનમાલિકનો ખર્ચ વધી જશે.
PFના વ્યાજ દર 8%ની આસપાસ રહેવાની ધારણા ચાલુ વર્ષ માટે પીએફનો વ્યાજ દર 8 ટકાની આસપાસ રહેવાની ધારણા છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે, EPFOના બોર્ડની બેઠક 25 અને 26 માર્ચે મળવાની છે. આ બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ માટે પીએફના વ્યાજ દરનો નિર્ણય લેવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22 માટે પીએફનો વ્યાજ દર 8.1 ટકા હતો, જે છેલ્લાં ચાર દાયકામાં સૌથી નીચો દર છે. એક તરફ બેન્કો એફડી જેવી ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટના વ્યાજ દર વધારી રહી છે ત્યારે પીએફના વ્યાજ દર 8 ટકાની આસપાસ રહેશે તો, સબ્સક્રાઈબર્સને અસર પહોંચશે.
2014થી માથા દીઠ આવક બમણી થઈઃ NSO સરકારી સંસ્થા NSOએ દાવો કર્યો છે કે, 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી ભારતની પર કેપિટા ઈનકમ ડબલ થઈ ગઈ છે. 2014-15માં પર કેપિટા ઈનકમ 86,000 રૂપિયા હતી, જે 2012-23માં વધીને 1.72 લાખ રૂપિયા થઈ ગઈ છે. પરંતુ જાણીતા અર્થશાસ્ત્રી જયતી ઘોષે NSOના ડેટા સામે શંકા વ્યક્ત કરી છે. ઘોષનું કહેવું છે કે, ફુગાવાના દરને ગણતરીમાં લઈએ તો, વાસ્તવમાં માથાદીઠ આવક માત્ર 35 ટકા વધીને 98,000 રૂપિયા થઈ છે. તેમનું કહેવું છે કે, ટોચનાં 10 ટકા લોકોની આવકમાં જ વધારો થયો છે જ્યારે મધ્યમ વર્ગની આવક તો વાસ્તવમાં ઘટી છે.
બેન્ક ઑફ બરોડાએ હોમ લોનના વ્યાજ દર ઘટાડ્યા લોનના વ્યાજ દર વધી રહ્યાં છે ત્યારે સરકારી ધિરાણકર્તા, બેન્ક ઑફ બરોડાએ હોમ લોન તેમજ કન્ઝ્યુમર લોનના રેટમાં ઘટાડો કર્યો છે. હરીફોને તગડી સ્પર્ધા આપવા માટે આ બેન્કે હોમ લોનના ઈન્ટરેસ્ટ રેટ ઘટાડીને સાડા આઠ ટકા કર્યા છે, પરંતુ આ રેટ માત્ર 31 માર્ચ સુધી માન્ય છે. એટલું જ નહીં, બેન્કે હોમ લોન પર લાગતો પ્રોસેસિંગ ચાર્જ પણ ઝીરો કરી દીધો છે.
મહિલાઓને રોકાણ માટે ગોલ્ડ નહીં રિયલ એસ્ટેટ ગમે છે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારૉકના સરવે અનુસાર, મહિલાઓમાં સોનાનું આકર્ષણ ઘટી રહ્યું છે. સરવેમાં ભાગ લેનારી માત્ર 8 ટકા મહિલાએ ગોલ્ડમાં રોકાણની ઈચ્છા દર્શાવી હતી જ્યારે 65 ટકા મહિલાએ રોકાણ માટે રિયલ એસ્ટેટ પર પસંદગી ઉતારી હતી. સરવેમાં સામેલ મહિલાઓ એફોર્ડેબલ હોમ્સમાં રોકાણ કરવા નથી માંગતી. મોટા ભાગની મહિલાઓએ 90 લાખ રૂપિયા સુધીનું મૂલ્ય ધરાવતી પ્રોપર્ટીઝમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એનારોકના અધિકારી જણાવે છે કે, છેલ્લાં 1 દાયકામાં રિયલ એસ્ટેટમાં મહિલાઓ સક્રિયપણે રોકાણ કરી રહી છે. મહિલાઓ ખાસ કરીને મોટા ઘર અને રેડી-ટુ-મૂવ પ્રોપર્ટીઝ પસંદ કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો