Money9 Gujarati:
October Trade Data: નિકાસ કરતાં આયાત વધવાને કારણે ભારતની માલસામાનની વેપાર ખાધ ઓક્ટોબરમાં 31.46 અબજ ડૉલરે પહોંચી છે. ઓક્ટોબર 2022માં વેપાર ખાધ 26.3 અબજ ડૉલર નોંધાઈ હતી, આમ વાર્ષિક ધોરણે વેપાર ખાધમાં 18 ટકા જેટલો વધારો થયો છે અને ખાધ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે.
કેમ વધી ગઈ વેપાર ખાધ?
વૈશ્વિક સ્તરે માંગ ઘટવાને કારણે ભારતની નિકાસ સતત ઘટી રહી છે તેમજ આયાતમાં પણ ઘટાડો નોંધાયો છે. જોકે, નિકાસ કરતાં આયાતનું પલડું ભારે થઈ રહ્યું છે, જેના કારણે ભારતની રાજકોષીય ખાધ પણ દબાણનો સામનો કરી રહી છે, કારણ કે, ભારતીય રૂપિયો સતત નબળો પડીને ઓલ-ટાઈમ લો લેવલે પહોંચી ગયો છે અને આપણે મોંઘા ભાવે આયાત કરવી પડે છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી પણ ભારતનું એનર્જી બિલ વધી ગયું છે, જેના કારણે આપણી આયાતમાં વધારો નોંધાયો હોવાનું સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ભારતે ગોલ્ડની આયાત પણ વધારે કરી હોવાથી આયાતનો આંકડો વધારે આવ્યો છે.
ચીન સૌથી મોટો આયાતકાર
ભારતનાં ટોપ-5 આયાતકાર દેશમાં ચીને મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત સૌથી વધુ આયાત ચીનમાંથી કરે છે અને ઓક્ટોબરમાં પણ ચીન સૌથી મોટો આયાતકાર દેશ બની રહ્યો છે. ત્યારબાદ રશિયા, UAE, અમેરિકા અને સાઉદી અરેબિયામાંથી મહત્તમ આયાત થઈ હતી.
નિકાસ કરતાં આયાતનું પલડું ભારે
15 નવેમ્બરે સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ઓક્ટોબરમાં નિકાસ 6.21 ટકા વધીને 33.57 અબજ ડૉલર થઈ હતી જ્યારે આયાત વધીને 65.03 અબજ ડૉલર રહી હતી. ગયા વર્ષના ઓક્ટોબરમાં નિકાસ 31.6 અબજ ડૉલર જ્યારે આયાત 57.91 અબજ ડૉલર નોંધાઈ હતી.
અંદાજ કરતાં વધી વેપાર ખાધ
ભારતની વેપાર ખાધ ઓક્ટોબરમાં 20.50 અબજ ડૉલર થવાનો અંદાજ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો હતો, પરંતુ ખાધ 10 અબજ ડૉલર વધારે છે. આમ, અંદાજ અને વાસ્તવિક આંકડા વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળ્યો છે.
સર્વિસિસની આયાત-નિકાસ
ભારત દ્વારા થતી સર્વિસિસ નિકાસ ઓક્ટોબરમાં 28.70 અબજ ડૉલર થઈ હતી જ્યારે સપ્ટેમ્બરમાં 29.37 અબજ ડૉલર હતી જ્યારે સર્વિસિસની આયાત 14.32 અબજ ડૉલર રહી હતી, જે સપ્ટેમ્બરમાં 14.91 અબજ ડૉલર હતી.
ચાલુ વર્ષમાં આયાત-નિકાસ બંને ઘટ્યા
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં નિકાસ 7 ટકા ઘટીને 244.89 અબજ ડૉલર થઈ છે જ્યારે આયાત 8.95 ટકા ઘટીને 391.96 અબજ ડૉલરે પહોંચી છે.
સોનાની આયાત વધી
વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે માંગ ઘટવાથી ભારતના વેપાર પર અસર પડી છે. ભારતે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન 29.48 અબજ ડૉલરનું સોનું આયાત કર્યું હતું, જે ગયા વર્ષનાની સરખામણીએ 5.5 ટકા વધારે છે. ભારતે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન, બાસમતી ચોખાની નિકાસમાં 14 ટકા વધારો નોંધાવ્યો છે અને 2.59 અબજ ડૉલર બાસમતી ચોખાની નિકાસ કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો