MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
જથ્થાબંધ ફુગાવાનો દર 10.7% સપ્ટેમ્બરમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત ફુગાવાનો દર 10.7 ટકા નોંધાયો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાનો દર 12.41 ટકા હતો, એટલે કહી શકાય કે, જથ્થાબંધ ફુગાવાનો દર માસિક ધોરણે ઘટ્યો છે. સરકારે શુક્રવારે જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે, જથ્થાબંધ ફુગાવો સતત 18 મહિનાથી ડબલ ડિજિટનું લેવલ છોડવાનું નામ નથી લઈ રહ્યો. સપ્ટેમ્બરમાં ફુગાવાનો દર 10.7 ટકા રહેવા પાછળ સરકારે ખાદ્ય ચીજવસ્તુઓ, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, કેમિકલ, બેઝિક મેટલ્સ, ઈલેક્ટ્રિકિસિટી, મિનરલ ઓઈલ તેમજ ટેક્સટાઈલ વગેરેના વધતા ભાવને જવાબદાર ગણાવ્યા છે. સપ્ટેમ્બર માટે રિટેલ ફુગાવો 7.4 ટકા નોંધાયો છે, જે રિઝર્વ બેન્કના કમ્ફર્ટ લેવલથી ઘણો વધારે છે. પરંતુ, આશા રાખી શકાય કે, જથ્થાબંધ ફુગાવો હળવો થયો છે, એટલે રિટેલ મોંઘવારીનો દર પણ આગામી દિવસોમાં ઘટશે.
SBI, HDFCની હોમ લોન ઑફર SBI અને HDFC આપી રહી છે સસ્તામાં હોમ લોન. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને SBI અને HDFCએ સ્પેશિયલ સ્કીમ લૉન્ચ કરી છે અને 8.40 ટકાના દરે હોમ લોન આપવાની જાહેરાત કરી છે. ભારતની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ નવી હોમ લોન પર 0.30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનો અને પ્રોસેસિંગ ફી પણ નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે. SBIએ ટોપ-અપ લોનનો ઈન્ટરેસ્ટ રેટ પણ 0.25 ટકા ઘટાડ્યો છે, એટલે હવે SBIની ટોપ-અપ હોમ લોનનો રેટ 8.80 ટકાથી શરૂ થશે. જો તમારે અન્ય બેન્કની લોન SBIમાં ટ્રાન્સફર કરાવવી હશે, તો તમને SBI 8.40 ટકાના ડિસ્કાઉન્ટેડ રેટનો લાભ આપશે. SBIની આ ઑફર માત્ર 31 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. સૌથી મોટી ખાનગી મોર્ગેજ ધિરાણકર્તા HDFCએ પણ ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને 8.40 ટકાના દરે હોમ લોન આપવાની જાહેરાત કરી છે, પરંતુ તેના માટે તમારો મિનિમમ ક્રેડિટ સ્કોર 750 હોવો જરૂરી છે.
પરાઠા પર 18% GST વસૂલોઃ GAAR ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ એટલે કે GAAR એ પરાઠા અને રોટલીને અલગ-અલગ ગણાવીને પરાઠા પર ઊંચો GST દર વસૂલવાનું કહ્યું છે. એટલે કે, પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે. મૂળ વાત એમ છે કે, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે પરાઠા પર જીએસટીના રેટ અંગે અપીલ કરી હતી. કંપનીએ દલીલ કરી હતી કે પરાઠા અને રોટલીમાં બહુ તફાવત નથી. બંનેને સમાન ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવે છે અને પ્રક્રિયા તથા ઉપયોગ પણ સમાન છે, જેના કારણે પરાઠા પર પણ રોટલીની જેમ 5 ટકા જીએસટી લાગવો જોઈએ. તેની સામે, GAARની અમદાવાદ બેન્ચે કહ્યું છે કે, પરાઠા એ સાદી રોટલીથી અલગ છે, આથી બંનેને એક જ શ્રેણીમાં ના મૂકી શકાય અને રોટલીનો 5 ટકા GST દર પરાઠા પર લાગુ ના થઈ શકે. ઓથોરિટીએ નિર્દેશ આપ્યો છે કે પરાઠાને 18 ટકાની GST શ્રેણીમાં રાખવામાં આવે અને આ દરોના આધારે જ તેના પર ટેક્સ વસૂલવામાં આવે. આ નિર્ણયને પગલે, હવે હોટેલમાં અને રેસ્ટોરન્ટમાં પરાઠા મોંઘાં થઈ જશે.
લેધર-ફૂટવેર ઉદ્યોગને પણ PLI સ્કીમનો લાભ ચામડાં અને ફૂટવેર ઉદ્યોગને પણ પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ યોજના હેઠળ આવરી લેવાની દરખાસ્તને સરકારે મંજૂરી આપી છે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફૂટવેર અને લેધર સેક્ટર માટે 2,600 કરોડ રૂપિયાની PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી, લેધર સેક્ટરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલી પર્યાવરણીય ચિંતાઓ દૂર થવાથી રોકાણમાં વધારો થશે. રોકાણ વધશે એટલે આ ઉદ્યોગમાં વધુ લોકોને રોજગારી મળશે. સરકારને મળેલી દરખાસ્ત અનુસાર, લેધર ફૂટવેર અને એસેસરીઝ સેક્ટર આગામી 3 વર્ષમાં 3.25 લાખ નવી નોકરીઓનું સર્જન કરવા સક્ષમ છે. તમને જણાવી દઈએ કે, સરકારે માર્ચ 2020માં PLI સ્કીમ શરૂ કરી હતી, જેનો હેતુ સ્થાનિક સ્તરે ઉત્પાદનને વેગ આપવાનો અને આયાત બિલમાં ઘટાડો કરવાનો છે. આ સ્કીમ હેઠળ સરકાર વિવિધ સેક્ટરને પ્રોત્સાહન પેકેજ આપે છે.
ઈક્વિટાસે સેવિંગ એકાઉન્ટ, FD, RDના વ્યાજ દર વધાર્યાં ઈક્વિટાસ સ્મૉલ ફાયનાન્સ બેન્કે સેવિંગ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટના વ્યાજના દર વધાર્યાં છે. બેન્ક હવે, સેવિંગ એકાઉન્ટ પર 3.5 ટકાથી 7 ટકાની રેન્જમાં વ્યાજ ચૂકવશે. સીનિયર સીટિઝનને અડધો ટકો વધુ વ્યાજનો લાભ મળશે. બેન્ક હવે FD પર 3.5 ટકાથી 7.5 ટકાની રેન્જમાં વ્યાજ ચૂકવશે. જો તમે 888 દિવસની મુદત માટે FD કરશો, તો બેન્ક તમને વર્ષે 7.5 ટકા ઈન્ટરેસ્ટ રેટ ચૂકવશે અને સીનિયર સીટિઝનને 8 ટકા વ્યાજ આપશે. ઈક્વિટાસે રિકરિંગ ડિપોઝિટ પર મહત્તમ 7.40 ટકા વ્યાજ ચૂકવવાનો નિર્ણય લીધો છે. જો તમે બે કરોડ રૂપિયાથી ઓછી રકમ 30 મહિના અને 36 મહિના માટે રિકરિંગ ડિપોઝિટમાં મૂકશો, તો બેન્ક તમને 7.4 ટકા વ્યાજ ચૂકવશે.
RBL બેન્કે લૉન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ RBL બેન્કે નવું ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે. આ ક્રેડિટ કાર્ડનું નામ છે ‘બુકમાયશો RBL બેન્ક પ્લે ક્રેડિટ કાર્ડ’. તમે આ કાર્ડનો ઉપયોગ કરીને બૂક માય શો એપ પરથી મૂવી ટિકિટ કે વેબ સીરિઝ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, ડ્રામા વગેરેની ટિકિટ બૂક કરાવશો તો, 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે, આ ક્રેડિટ કાર્ડ મૂવીલવર્સ માટે કામનું છે. આ કાર્ડમાં તમને અન્ય કેટલાક બેનિફિટ પણ મળશે. જેમ કે, તમે ક્રેડિટ કાર્ડ દ્વારા મિનિમમ 500 રૂપિયાનું ફ્યુઅલ ભરાવશો, તો સરચાર્જ નહીં ચૂકવવો પડે. આ કાર્ડ ખરીદતાં પહેલાં તેના ચાર્જ પણ જાણી લેવા જરૂરી છે. તમને જણાવી દઈએ કે, આ ક્રેડિટ કાર્ડનો વાર્ષિક મેઈન્ટેનન્સ ચાર્જ 500 રૂપિયા પ્લસ જીએસટી છે.
HDFC બેન્કે FD વ્યાજ દરમાં વધારો કર્યો HDFC બેન્કે ફિક્સ્ડ ડિપૉઝિટના વ્યાજ દર વધાર્યાં છે. જો તમે HDFC બેન્કમાં 3 વર્ષ 1 દિવસથી લઈને 5 વર્ષ માટે FD કરાવશો, તો તમને બેન્ક 6.10 ટકાનો સૌથી વધુ ઈન્ટરેસ્ટ રેટ આપશે. 1 વર્ષે પાકતી FD પર બેન્ક તમને 5.70 ટકા લેખે વ્યાજ ચૂકવશે. તમે મિનિમમ 7 દિવસની પણ FD કરાવી શકો છો, જેના પર 3 ટકા લેખે વ્યાજ મળશે. HDFC બેન્ક સીનિયર સીટિઝનને 5 વર્ષ સુધીની FD પર રેગ્લુયલર સીટિઝન કરતાં અડધો ટકો વધુ વ્યાજ આપે છે, પરંતુ જો સીનિયર સીટિઝન 5 વર્ષ કરતાં વધુ મુદતની FD કરાવે તો, બેન્ક તેમને 0.75 ટકા વધુ વ્યાજ આપે છે.
શ્રીરામ સિટી યુનિયન ફાયનાન્સે FDના રેટ 8.8% કર્યાં શ્રીરામ સિટી યુનિયન ફાયનાન્સે ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટ વધારીને 8.8 ટકા કર્યા છે. જે ગ્રાહકો તેમની વર્તમાન FD રિન્યુ કરાવશે, તેમને આ કંપની 0.25 ટકા વધુ ઈન્ટરેસ્ટ રેટ આપશે જ્યારે સીનિયર સીટિઝનને 0.50 ટકા વધુ ઈન્ટરેસ્ટ રેટ મળશે. જો કોઈ મહિલા FD કરાવશે, તો કંપની 0.10 ટકા વધુ વ્યાજ ચૂકવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો