Money9 Gujarati:
બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા માટે કડક નિયમો લાગુ થવાની દિશામાં હિલચાલ થઈ છે. મેહુલ ચોક્સી, વિજય માલ્યા, જતીન મહેતા જેવા વિલફુલ ડિફૉલ્ટર ભવિષ્યમાં ફરી બેન્કોને ચૂનો ચોપડી ના શકે તે માટે નવા નિયમોનો એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ વિલફુલ ડિફૉલ્ટર (Wilful Defaulter) સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરી છે.
RBIએ તૈયાર કર્યો ડ્રાફ્ટ
આ દરખાસ્તમાં RBIએ વિલફુલ ડિફૉલ્ટર્સને નવેસરથી લોનની મંજૂરી આપવાના પોતાના અગાઉના વલણમાં પાછી પાની કરી છે. અગાઉ RBIએ એવું કહ્યું હતું કે, વિલફુલ ડિફૉલ્ટર્સને નવેસરથી લોન આપવા અંગે બેન્કનું મેનેજમેન્ટ વિચારણા કરીને નિર્ણય લઈ શકે છે. હવે રિઝર્વ બેન્કે સૂચિત નિયમોમાં સ્પષ્ટતા કરી છે કે, કોઈ વ્યક્તિ અથવા કંપની વિલફુલ ડિફૉલ્ટરની યાદીમાં સામેલ હોય તો કોઈ પણ બેન્ક તેમને લોન નહીં આપે. રિઝર્વ બેન્કે આ ડ્રાફ્ટ નિયમો અંગે તમામ હિતધારકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. સૂચનો સોંપવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે.
રાઈટ ટુ ઈન્ફર્મેશન (RTI) કાયદાનો ઉપયોગ કરીને મળેલી 31 માર્ચ, 2023 સુધીની મળતી માહિતી પ્રમાણે, 369 મોટા ડિફોલ્ટર્સ પાસે ભારતની કોમર્શિયલ બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓના 1.39 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ પૈસા ફસાયેલા છે. સૌથી મોટો ડિફોલ્ટર છે મેહુલ ચોક્સી. ભારત છોડીને ભાગી ગયેલા મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ પાસેથી બેન્કોએ 8,065 કરોડ રૂપિયા લેવાના નીકળે છે.
વિલફુલ ડિફૉલ્ટરની વ્યાખ્યા
નવા સૂચિત નિયમોમાં જણાવ્યા પ્રમાણે, કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી 25 લાખ રૂપિયા અથવા તેના કરતાં વધારે રકમની ચૂકવણી ના કરે અને ડિફૉલ્ટ થાય તો તેને વિલફુલ ડિફૉલ્ટર (જાણીજોઈને પૈસા ના ચૂકવનાર) માનવામાં આવશે. જે વ્યક્તિ પોતાની મરજીથી 1 કરોડ રૂપિયાથી વધુ રકમની ચૂકવણી ના કરે તો તેને લાર્જ ડિફૉલ્ટર (Large Defaulter) માનવામાં આવશે.
વિલફુલ ડિફૉલ્ટરને લોન નહીં મળે
નવા ડ્રાફ્ટ નિયમોમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ બેન્ક વિલફુલ ડિફૉલ્ટરને વધારાનું ઋણ નહીં આપે, પછી ડિફૉલ્ટર કોઈ કંપની હોય કે વ્યક્તિ. જો કોઈ વ્યક્તિ વિલફુલ ડિફૉલ્ટર હોય અને તે કોઈ કંપનીમાં પ્રમોટર, ડિરેક્ટર અથવા ઉચ્ચ અને પ્રભાવશાળી હોદ્દો ધરાવતી હોય તો તે કંપનીને પણ લોન નહીં મળે. જો કંપનીએ લોન લેવી હશે તો તેણે આ વિલફુલ ડિફૉલ્ટર વ્યક્તિને દૂર કરવી પડશે. રિઝર્વ બેન્કના ડ્રાફ્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વિલફુલ ડિફૉલ્ટર લોનની શરતોમાં પણ ફેરફાર નહીં કરાવી શકે.
ડ્રાફ્ટ નિયમોમાં શું છે
વિલફુલ ડિફૉલ્ટરની યાદીમાંથી વ્યક્તિ અથવા કંપનીનું નામ રદ થાય તો યાદીમાંથી જે તારીખે નામ રદ થયું હોય ત્યારથી આગામી એક વર્ષ સુધી તેને કોઈ પણ બેન્કમાંથી લોન નહીં મળે. એટલું જ નહીં, વિલફુલ ડિફૉલ્ટરની યાદીમાંથી બહાર થયેલી વ્યક્તિને આવતા પાંચ વર્ષ સુધી નવી કંપની શરૂ કરવાની કે નવો કારોબાર સ્થાપવા માટે કોઈ પણ બેન્ક પાસેથી કોઈ પણ પ્રકારનું ઋણ નહીં મળી શકે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો