Money9 Gujarati:
ગયા નાણાકીય વર્ષમાં NRIએ ભારતમાં 26 ટકા વધુ પૈસા મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા હતા, જે 2021-22માં મોકલેલા 89.1 અબજ ડૉલરની તુલનાએ 26 ટકા વધારે છે. કમાવવા માટે પરદેશ ગયેલા લોકો જે પૈસા માદરે વતન મોકલે તેને ઈનવર્ડ રેમિટન્સ (Inward Remittance) કહે છે. ભારતમાં સિંગલ વર્ષમાં આટલું બધું રેમિટન્સ આવ્યું નથી.
2022-23માં આવ્યું સૌથી વધુ રેમિટન્સ
વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2017-18માં ભારતમાં 69.1 અબજ ડૉલર મોકલ્યા હતા. ત્યારબાદ 2018-19માં 76.4 અબજ ડૉલર, 2019-20માં 83.2 અબજ ડૉલર, 2020-21માં 80.2 અબજ ડૉલર, 2021-22માં 89.1 અબજ ડૉલર અને 2022-23માં 112.5 અબજ ડૉલર મોકલ્યા હોવાની માહિતી RBIના ડેટા પરથી મળે છે. 2022-23માં આવેલું રેમિટન્સ છેલ્લાં 5 વર્ષમાં ભારતમાં આવેલા રેમિટન્સમાં સૌથી વધારે છે.
ચાલુ વર્ષે રેમિટન્સ ઘટશે કે વધશે?
ચાલુ નાણાકીય વર્ષે પણ ભારતમાં 100 અબજ ડૉલરથી વધુ રેમિટન્સ આવવાની ધારણા છે. જોકે, 2022ની સરખામણીએ 2023માં રેમિટન્સ ઘટી શકે છે, કારણ કે, વૈશ્વિક અર્થતંત્રોમાં મંદીનો માહોલ છે. 2022માં તો માઈગ્રન્ટ વર્કર્સના પગાર વધ્યા હતા, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વર્લ્ડ બેન્કને અપેક્ષા છે કે, આ વખતે દક્ષિણ એશિયામાં ફોરેન રેમિટન્સનો વૃદ્ધિ દર ધીમો પડશે અને માત્ર 0.3 ટકા વધારો નોંધાશે, કારણ કે યુરોપ અને અમેરિકા સહિતનાં દેશોની આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી રહી છે. ખાસ તો આઈટી કર્મચારીઓની કમાણી પર અસર પડવાની સંભાવના છે.
કયા દેશનો કેટલો હિસ્સો
ભારતમાં આવતા આ ઈનવર્ડ રેમિટન્સમાં સૌથી વધુ હિસ્સો અમેરિકા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE)નો રહ્યો છે. આ સિવાય બ્રિટન, સિંગાપોર, સાઉદી અરેબિયા, કુવૈત, ઓમાન, કતાર, હોંગ કોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પણ ભારતમાં સારા એવા પૈસા મોકલવામાં આવે છે.
રેમિટન્સનો ફાયદો
રેમિટન્સ હંમેશા એક બફર તરીકે કામ કરે છે. ભારતે જ્યારે પણ બાહ્ય આંચકાનો સામનો કરવો પડે છે ત્યારે રેમિટન્સથી મદદ મળે છે. ખાસ તો જ્યારે વેપાર ખાધ વધે તેવા સમયે રેમિટન્સ કામમાં આવે છે. નિકાસ કરતાં આયાત વધારે હોય ત્યારે વેપાર ખાધ વધી જાય છે. જુલાઈ 2023માં ભારતની વેપાર ખાધ 20 અબજ ડૉલરથી વધી ગઈ હતી. રૂપિયો પણ નબળો પડી રહ્યો છે. ભારતે ક્રૂડ ઓઈલ સહિતની ઘણી ચીજવસ્તુની આયાત કરવી પડે છે અને ડૉલર મોંઘો થવાથી ભારતનો આયાત ખર્ચ વધી ગયો છે. આવી સ્થિતિમાં રેમિટન્સ વધવાથી ભારતને રાહત મળી છે. ભારતની તિજોરીમાં રહેલું વિદેશી હૂંડિયામણ 603 અબજ ડૉલરની આસપાસ છે.
વિકસિત દેશોને રેમિટન્સથી ઘણો ફાયદો થાય છે. અર્થતંત્રના વિકાસમાં અને દેશની GDPમાં રેમિટન્સનું યોગદાન ફળે છે. 2022માં ભારતમાં જે રેમિટન્સ આવ્યું તેનો હિસ્સો જીડીપીના 3.2 ટકા જેટલો હતો. 2022-21માં ભારતમાં ઠલવાયેલું રેમિટન્સ જીડીપીના 2.75 ટકા હતું. ઓછી આવક ધરાવતા દેશોને ગરીબી સામેની લડાઈમાં રેમિટન્સથી મદદ મળી રહે છે અને લોકોનું જીવનધોરણ ઊંચું લઈ જવામાં પણ મદદ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો