MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટ્યો સોમવારે છૂટક મોંઘવારીમાં નજીવો ઘટાડો જાહેર થયા બાદ, મંગળવારે જથ્થાબંધ મોંઘવારીમાં પણ ઘટાડાની જાહેરાત થઈ છે. હોલસેલ પ્રાઈસ આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં ઘટીને 3.85 ટકા નોંધાયો છે. ગયા વર્ષના ફેબ્રુઆરીમાં હોલસેલ ફુગાવાનો દર 13.43 ટકા હતો અને ચાલુ વર્ષના જાન્યુઆરીમાં 4.73 ટકા હતો. આમ, ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારીમાં ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ મેન્યુફેક્ચર્ડ ગૂડ્ઝ, ફ્યુઅલ અને પાવર પ્રાઈસમાં થયેલો ઘટાડો છે. જથ્થાબંધ ફુગાવાનો દર સતત નવમા મહિને ઘટ્યો છે. જથ્થાબંધ મોંઘવારી ઘટવાથી છૂટક મોંઘવારીનો દર હજુ પણ નીચે જવાની શક્યતા છે.
રેપો રેટ 0.25% વધવાનો અંદાજ મોંઘવારીને હજુ પણ નીચે લઈ જવા માટે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજના દરમાં વધારો કરવામાં આવે તેવી ધારણા છે. આવતા મહિને રિઝર્વ બેન્કની પૉલિસી બેઠક મળવાની છે, જેમાં રેપો રેટ 0.25 ટકા વધારવામાં આવે તેવી ધારણા છે. DBS ગ્રૂપના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ચાવીરૂપ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો થવાનો અંદાજ છે. ત્યારબાદ જૂન-જુલાઈમાં ચોમાસું કેવું રહે છે, તેના આધારે આગામી રણનીતિ ઘડવામાં આવશે. જો વ્યાજ દર વધશે તો રૂપિયાનું ધોવાણ અટકશે, પરંતુ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન મોંઘી થશે અને માંગ પર અસર પડી શકે છે.
ઈ-સત્યાપન હેઠળ 68,000 કરદાતાની પસંદગી ઈનકમ ટેક્સ વિભાગે 2019-20માં ફાઈલ થયેલા ઈનકમ ટેક્સ રિટર્નમાં ખોટી આવક બતાવનારા લોકોને એક મોકો આપ્યો છે. ઈનકમ ટેક્સ વિભાગે આવા 68 હજાર લોકોનો સંપર્ક કર્યો છે. ઈનકમ ટેક્સ વિભાગની ઈ-સત્યાપન યોજના હેઠળ, કરદાતાની પસંદગી કરવામાં આવી છે. આ યોજના હેઠળ, કરદાતાએ કરેલી આર્થિક લેવડદેવડ અને ફાઈલ થયેલા રિટર્ન વચ્ચે જો અસમાનતા હોય તો, તેની જાણકારી આપવામાં આવે છે. જો કરદાતાને લાગે કે, ઈ-સત્યાપનમાં જણાવેલી અસમાનતા સાચી છે, તો તે સ્પષ્ટતા કરીને ઈનકમ ટેક્સ વિભાગને જવાબ મોકલી શકે છે.
કોટક મહિન્દ્રા AMCએ લૉન્ચ કર્યું સિલ્વર ETF કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીએ સિલ્વર ઈટીએફ ફંડ ઑફ ફંડ લૉન્ચ કર્યું છે. આ એક ઓપન-એન્ડેડ ફંડ ઑફ ફંડ સ્કીમ છે, જેના દ્વારા કોટક સિલ્વર ઈટીએફના યુનિટમાં રોકાણ કરવામાં આવશે. આ સ્કીમમાં સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 27 માર્ચ છે. જે ઈન્વેસ્ટર્સ લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગે છે, તેમના માટે આ ફંડ સારું સાબિત થઈ શકે છે. આ ફંડમાં રોકાણ કરવા માટે તમારે ડિમેટ એકાઉન્ટ પણ નહીં ખોલાવવું પડે. છેલ્લાં 4 મહિનામાં ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડમાં પહેલીવાર નેટ રોકાણ નોંધાયું છે. ફેબ્રુઆરી 2023માં ગોલ્ડ ઈટીએફમાં 165 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ થયું છે. ફેબ્રુઆરી અગાઉના સતત 3 મહિના સુધી ગોલ્ડ ઈટીએફમાં ચોખ્ખું વેચાણ થયું હતું. ગોલ્ડના ભાવમાં કરેક્શનને પગલે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધ્યું છે.
ટૂંક સમયમાં શરૂ થશે લિથિયમ બ્લૉકની હરાજી ભારતને તાજેતરમાં લિથિયમનો બહુ મોટો જથ્થો હાથ લાગ્યો હતો અને સરકાર ટૂંક સમયમાં લિથિયમ બ્લૉકની હરાજી કરવાની છે. લિથિયમને કારણે ઈલેક્ટ્રિક વાહનોની કિંમત ઘટી શકે છે કારણ કે, ઈલેક્ટ્રિક વાહનોમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. ભારતમાં લિથિયમની તંગી હોવાથી આપણે બીજા દેશોમાંથી ઉપકરણોની આયાત કરવી પડે છે. પરંતુ હવે ભારતમાં જ કાચો માલ મળવા લાગશે તો, આયાત ઓછી થશે અને ઈલેક્ટ્રિક વાહન બનાવવાનો ખર્ચ ઘટી જશે. જેથી ગ્રાહકોને સસ્તામાં ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનો મોકો મળશે.
બેન્કો વધારી રહી છે લોનના વ્યાજ દર SBIએ તેના બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ એટલે કે, BPLR વધારી દીધા છે. SBIની લોનના રેટ 15 માર્ચની અસરથી વધારવામાં આવ્યા છે. SBIએ બેઝ રેટ 9.40 ટકાથી વધારીને 10.10 ટકા કર્યા છે. બેન્કે BPLR 14.15 ટકાથી વધારીને 14.85 ટકા કર્યા છે. જોકે, માર્જિનલ કૉસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે, MCLRમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. અન્ય એક ધિરાણકર્તા, IDBI બેન્કે વિવિધ મુદતના MCLR વધાર્યા છે. બેન્કે થ્રી-યર MCLR 9.5 ટકા કર્યા છે. આ ઉપરાંત, બેન્કે બે કરોડથી વધુ રકમની એફડીના વ્યાજ દર વધારીને 7.61 ટકા કર્યા છે.
સૂર્યોદય SFBએ મહિલાઓ માટે લૉન્ચ કર્યું નવું બચત ખાતું સૂર્યોદય સ્મૉલ ફાયનાન્સ બેન્કે મહિલાઓ માટે એક નવું સેવિંગ એકાઉન્ટ લૉન્ચ કર્યું છે. આ એકાઉન્ટનું નામ છે સૂર્યોદય બ્લૉસમ વિમેન્સ સેવિંગ એકાઉન્ટ. આ એકાઉન્ટ ખોલાવનાર મહિલાને બેન્ક મહત્તમ 7 ટકા વ્યાજ ચૂકવશે. બેન્ક દ્વારા બચત ખાતામાં મૂકેલી થાપણ પર દર મહિને વ્યાજ ચૂકવવામાં આવશે. એટલું જ નહીં, બચત ખાતું ખોલાવનાર મહિલાને રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ પણ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો