Money9 Gujarati:
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પૉલિસી કમિટી (MPC)ની બેઠક 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટની વચ્ચે મળી રહી છે. આ બેઠકમાં પણ મુખ્ય વ્યાજના દર યથાવત્ રાખવામાં આવે તેવી અપેક્ષા છે. જોકે, કમિટીની બેઠકમાં શાકભાજીની કિંમત અને ખાસ તો ટામેટાં અને ડુંગળીનો ફુગાવો કેન્દ્રસ્થાને રહેશે, કારણ કે તેમના કારણે ખાદ્ય ફુગાવો માથું ઊંચકશે અને દેશમાં છૂટક મોંઘવારીનો દર RBIના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી જશે. દેશનાં 15 અર્થશાસ્ત્રીના સરવેમાં સંકેત આપવામાં આવ્યો છે કે, MPC આ વખતની બેઠકમાં પણ રેપો રેટ 6.5 ટકાએ યથાવત્ રાખશે, એમ ધી ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
રેપો રેટ એક એવો વ્યાજ દર છે જેના આધારે RBI દ્વારા કમર્શિયલ બેન્કોને ધિરાણ આપવામાં આવે છે. RBIએ છેલ્લે 8 ફેબ્રુઆરીએ આ રેટ 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કર્યો હતો, પરંતુ ત્યારપછીની બેઠકમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. RBIએ એપ્રિલ-2022થી ફેબ્રુઆરી 2023ની વચ્ચે રેપો રેટ 4 ટકાથી વધારીને 6.5 ટકાએ પહોંચાડી દીધો છે, જેની પાછળનો ઈરાદો માર્કેટમાં લિક્વિડિટી વધારવાનો અને ફુગાવાને અંકુશમાં રાખવાનો છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના સાઉથ એશિયા ઈકોનોમિક રિસર્ચના હેડ અનુભૂતિ સહાયે જણાવ્યું હતું કે, “આ વખતની MPCની બેઠકમાં ફુગાવાનું મેનેજમેન્ટ અંકુશમાં રહેશે તેવા પ્રબળ સંકેત છે કારણ કે, ફુગાવો વધવાની શક્યતા છે. કમિટી દ્વારા ફુગાવાની આગાહીમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે, પરંતુ ચોમાસું પૂરું ન થાય ત્યાં સુધી ચિત્ર અસ્પષ્ટ રહેશે અને સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે.”
રિટેલ ફુગાવાનું લેવલ RBIને પરેશાન કરી રહ્યું છે. જોકે, તેની પાછળનું કારણ સપ્લાય સાઈડથી છે, પરંતુ લિક્વિડિટીની કોઈ સમસ્યા નથી. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત રિટેલ ફુગાવાનો દર માર્ચથી મે મહિનામાં ઘટીને 4.25 ટકાએ પહોંચ્યો હતો, પરંતુ જૂન મહિનામાં વધીને 4.81 ટકા થયો હતો. ફુગાવો વધવામાં ટામેટાંની મોંઘવારીએ વિલનની ભૂમિકા ભજવી હતી પરંતુ તેની પૂરેપૂરી અસર જુલાઈના ફુગાવાના આંકડામાં જોવા મળશે. જુલાઈમાં રિટેલ ફુગાવાનો દર 6 ટકાને પાર થઈ જવાની શક્યતા છે અને મોટા ભાગનાં અર્થશાસ્ત્રી માને છે કે, જુલાઈનો ફુગાવો 6 ટકથી 6.5 ટકાની રેન્જમાં રહેશે. જો આવું થશે તો, RBIના 2થી 6 ટકાના કમ્ફર્ટ ઝોનની બહાર ફુગાવો પહોંચી જશે. જોકે, MPCની છેલ્લી બેઠક બાદ RBIના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે, તેઓ 4 ટકાના ટાર્ગેટને વળગી રહેશે.
તાજેતરમાં RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટામેટાંના ભાવમાં વધારો થવાથી દેશનાં તમામ રસોડાનું બજેટ બગડી ગયું છે. દેશનાં મુખ્ય ટામેટાં ઉત્પાદક રાજ્યોમાં ખરાબ હવામાન તેમજ પેસ્ટ એટેકને પગલે ટામેટાંના સપ્લાય પર અસર પડી છે અને ડિમાન્ડ સાથે સમતોલન ખોરવાયું છે.” જોકે, માત્ર ટામેટાં જ નહીં, પરંતુ ડુંગળીને લઈને પણ ચિંતાના વાદળ ઘેરાઈ રહ્યાં છે. એનાલિસ્ટ્સને લાગે છે કે, ડિમાન્ડ-સપ્લાયનું બેલેન્સ બગડ્યું હોવાથી આગામી દિવસોમાં ડુંગળી મોંઘી થશે. ઓગસ્ટના અંત સુધીમાં ડુંગળીના ભાવ વધવા લાગશે અને સપ્ટેમ્બરના પ્રારંભિક દિવસોમાં તેમાં નોંધપાત્ર વધારો થશે. અમુક રાજ્યોમાં એક કિલો ડુંગળીના ભાવ 60થી 70 રૂપિયા થઈ જવાની ધારણા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો