ડુંગળી સસ્તી થવાની શક્યતા છે. એક કિલો ડુંગળીની કિંમત જાન્યુઆરી 2024 સુધીમાં 40 રૂપિયાની નીચે પહોંચી જશે. અત્યારે એક કિલો ડુંગળી 50થી 60 રૂપિયાના ભાવે મળે છે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે જણાવ્યું છે કે, ડુંગળીનો ભાવ 60 રૂપિયાની ઉપર જવાનો નથી. અત્યારે સમગ્ર દેશની રાષ્ટ્રીય સરેરાશ કિંમત 57.02 રૂપિયા છે અને જાન્યુઆરી સુધીમાં તે 40 રૂપિયાની નીચે પહોંચી જશે. સરકારે ડુંગળીની મોંઘવારીને અંકુશમાં લેવા માટે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. માર્ચ 2024 સુધી આ પ્રતિબંધની જાહેરાત બાદ ડુંગળીની ખેડૂતો રોષે ભરાયા છે.
સરકારી ગોદામોમાં ઘઉંનો જથ્થો 7 વર્ષના તળિયે પહોંચી ગયો છે. 1 ડિસેમ્બર સુધીના આંકડા પ્રમાણે, સેન્ટ્રલ પુલમાં 190 લાખ ટન ઘઉંનો જથ્થો પડ્યો છે. ઘઉંની મોંઘવારીને અંકુશમાં લેવા માટે સરકારે ઓપન માર્કેટમાં ઘઉંનું વેચાણ વધાર્યું હોવાથી ઘઉંના સ્ટૉક પર અસર પડી છે. ઘઉંનું વાવેતર ઘટ્યું છે બરાબર તેવા સમયે જ સરકારી ગોદામોમાં ઘઉંનો જથ્થો ઘટી રહ્યો છે. 8 ડિસેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે, દેશનાં કુલ 249 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંની ખેતી થઈ છે. 2022ના 8 ડિસેમ્બર સુધીમાં 251 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. જો સરકારી જથ્થો ઘટતો જશે તો, ઘઉંની આયાત કરવાનો વારો આવી શકે છે.
શેરબજારની તેજીને પગલે અનેક કંપનીઓ IPO લાવી રહી છે. તેની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ નવી-નવી સ્કીમ પણ લૉન્ચ કરી રહી છે. ચાલુ વર્ષે 80થી પણ વધારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લૉન્ચ થઈ છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની નવી સ્કીમ લૉન્ચ કરે તેને ન્યુ ફંડ ઑફર એટલે કે, NFO કહે છે. રોકાણકારોએ આ NFOમાં 30 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે રોકાણ કર્યું છે. AMFIના તાજા આંકડા પ્રમાણે, નવેમ્બરમાં 12 ઓપન-એન્ડેડ NFO આવ્યા હતા, જેમાં રોકાણકારોએ કુલ 2,136 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 2 ક્લોઝ-એન્ડેડ NFO પણ આવ્યા હતા, જેમાં 447 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં ઉચ્ચક રોકાણની સાથે સાથે SIP દ્વારા પણ રોકાણ કરી રહ્યાં છે અને પહેલીવાર નવેમ્બરમાં 17 હજાર કરોડ રૂપિયાથી વધુ રોકાણ SIP દ્વારા નોંધાયું છે. ભારતના મ્યુચ્યુઅલ ફંડ્સ કુલ 49 લાખ કરોડ રૂપિયાની એસેટનું મેનેજમેન્ટ કરી રહ્યાં છે.
રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ખોબા ભરી-ભરીને રોકાણ કરી રહ્યાં છે. નવેમ્બર મહિનાના તાજા આંકડા દર્શાવે છે કે, ઈક્વિટી સ્કીમ્સમાં સૌથી વધુ રોકાણ સ્મોલ કેપ અને મિડ કેપ સ્કીમ્સમાં નોંધાયું હતું. રોકાણકારોએ સ્મોલકેપ સ્કીમ્સમાં લગભગ 3,700 કરોડ રૂપિયા જ્યારે મિડકેપ સ્કીમ્સમાં 2,666 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સૌથી ઓછું રોકાણ ELSSમાં નોંધાયું છે. ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમમાં માત્ર 104 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું છે. ટેક્સ બેનિફિટ મળતો હોવાથી રોકાણકારો આ સ્કીમમાં પૈસા નાખતા હતા, પરંતુ નવું ટેક્સ રેજિમ લાગુ થયું હોવાથી અને 80Cમાં કરકપાતની મર્યાદા માત્ર દોઢ લાખની હોવાથી ELSSનું આકર્ષણ ઘટી ગયું છે. આ ઉપરાંત, ફોકસ્ડ ફંડ કેટેગરીમાં પણ માત્ર 143 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું છે.
નોકરિયાતના પગારમાંથી કપાતા PFના પૈસા ક્યાં જાય છે… ખબર છે..? લોકસભામાં પૂછાયેલા એક સવાલના લેખિત જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રી રામેશ્વિરસ તેલીએ જણાવ્યું છે કે, એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર સુધીમાં 27,105 કરોડ રૂપિયા ETFમાં એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોક્યા છે. EPFOને 2015ના ઓગસ્ટમાં ETFમાં રોકાણ કરવાની છૂટ મળી હતી. EPFO ડાયરેક્ટ કોઈ કંપનીના શેર ખરીદી શકતું નથી, આથી તે ETF દ્વારા શેરબજારમાં રોકાણ કરે છે. EPFO પાસે કુલ 18.30 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ છે, જેમાંથી 8.70 ટકા ETFમાં રોક્યા છે અને બાકીનો 91.30 ટકા હિસ્સો ડેટ રોકાણનો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો