નવરાત્રિ વખતે 30 રૂપિયે કિલો મળતી ડુંગળી 60 રૂપિયાની થઈ ગઈ છે. ડુંગળીની મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 31 માર્ચ, 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારને અપેક્ષા છે કે, માર્ચ આવતા-આવતા ડુંગળીનો સપ્લાય વધી જશે અને સરકારી ગોદામો ભરાઈ જશે, એટલે ડુંગળીની કિંમત નીચે પહોંચી જશે. સરકારે ઓગસ્ટમાં ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લાદી હતી, છતાં નિકાસ ઘટી નહોતી. પછી 28 ઓક્ટોબરે નિકાસનું લઘુતમ મૂલ્ય 800 ડૉલર કર્યું હતું. છતાં ડુંગળીની મોંઘવારીએ મચક આપી નથી. આથી, સરકારે હવે છેક 31 માર્ચ 2024 સુધી નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે.
દાળની બેફામ મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકારે પીળા વટાણાની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ, 10 વર્ષ બાદ ભારતમાં પીળા વટાણાની આયાત કરવા માટે ડ્યુટી નહીં ચૂકવવી પડે. અત્યાર સુધી 50 ટકા ડ્યુટી ભરવી પડી હતી, પરંતુ સરકારે આ ડ્યૂટી હવે નાબૂદ કરી દીધી છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે અને તે માર્ચ 2024 સુધી અમલી રહેશે. દેશમાં દાળનો સપ્લાય વધે અને ભાવ અંકુશમાં રહે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ સરકારે મસૂર અને તુવેર પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટી પણ 31 માર્ચ, 2024 સુધી નાબૂદ કરી હતી. અડદની આયાત પર ડ્યૂટી લાગતી નથી અને હવે વટાણા પણ ડ્યુટી મુક્ત થવાથી અન્ય દાળની માંગ હળવી થશે.
હોસ્પિટલમાં અને શૈક્ષણિક સંસ્થામાં 5 લાખ સુધીનું પેમેન્ટ UPI દ્વારા કરી શકશો. સરકારે હોસ્પિટલમાં સારવાર માટે અને શૈક્ષણિક સંસ્થામાં એડમિશન ફી ભરવા માટે UPI પેમેન્ટની 1 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી છે. આ અંગેના નિયમો આગામી દિવસોમાં જાહેર થશે. અત્યારે મૂડીબજારમાં એસેટ મેનેજમેન્ટ કંપનીને, બ્રોકર્સને કે મ્યુચ્યુઅલ ફંડ્સને પેમેન્ટ કરવા માટે તેમજ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે, ઋણ ચૂકવવા માટે, EMI, વીમાના હપ્તા UPIથી ભરવાની મર્યાદા 2 લાખ રૂપિયા છે. RBIની રિટેલ ડાયરેક્ટ સ્કીમમાં કે IPOમાં અરજી કરવા માટે UPIથી પેમેન્ટની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા છે.
ભારતનું વિદેશી હૂંડિયામણ વધીને 604 અબજ ડૉલર થયું છે. છેલ્લાં 4 મહિનામાં પહેલીવાર વિદેશી હૂંડિયામણ 600 અબજ ડૉલરની ઉપર ગયું છે. છેલ્લે 11 ઓગસ્ટે વિદેશી મુદ્રા ભંડાર 600 અબજ ડૉલરની ઉપર ગયું હતું. ઓક્ટોબર 2021માં ભારતનું વિદેશી હુંડિયામણ 642 અબજ ડૉલરના સર્વોચ્ચ સ્તરે નોંધાયું હતું, પરંતુ ત્યારથી સતત ઘટીને 580 અબજ ડૉલરે પહોંચી ગયું હતું. વિદેશી હૂંડિયામણમાં વધારો થવાથી રિઝર્વ બેન્કને રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે ડૉલર વેચવાનો અવકાશ મળી રહેશે.
દર વર્ષની પહેલી ફેબ્રુઆરીએ સરકાર બજેટ જાહેર કરે છે અને તેના પર આખા દેશની નજર હોય છે. પરંતુ આવતા વર્ષની પહેલી ફેબ્રુઆરીએ કોઈ મોટી જાહેરાત થવાની શક્યતા નથી. ખુદ નાણામંત્રીએ જણાવ્યું છે કે, આ વખતનું બજેટ વોટ ઓન એકાઉન્ટ હશે કારણ કે સરકાર ચૂંટણીની તૈયારીમાં લાગી જશે. નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, ચૂંટણી વખતે વોટ ઓન એકાઉન્ટમાં કોઈ મોટી જાહેરાત થતી નથી. તેથી, તમારે નવી સરકાર આવે ત્યાં સુધી રાહ જોવી પડશે અને જુલાઈ 2024માં આગામી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.
શુગર કંપનીઓના શેર્સમાં સતત બે દિવસથી ધોવાણ થઈ રહ્યું છે. દાલમિયા ભારત સુગર, શ્રી રેણુકા શુગર, બજાજ હિન્દુસ્તાન શુગર, બલરામપુર ચીની મિલ્સ, દ્વારકેશ શુગર ઈન્ડસ્ટ્રીઝ, ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓના શેર્સ 7 ડિસેમ્બરે સાડા સાત ટકા સુધી તૂટ્યા હતા અને 8 ડિસેમ્બરે પણ તેમાં 10 ટકા સુધીના ગાબડાં પડ્યા છે. શુગર શેર્સ તૂટવાનું કારણ છે સરકારનો નિર્ણય. સરકારે શુગર મિલ્સને ઈથેનોલનું ઉત્પાદન કરવા માટે શેરડીના રસનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપી છે. ખાંડના ભાવ અંકુશમાં રહે તે માટે સરકારે ઈથેનોલના ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપી છે અને આ કારણસર શુગર કંપનીઓના શેર પર દબાણ ઊભું થયું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો