2024માં લોકસભા ચૂંટણી પહેલાં ખાદ્ય મોંઘવારીને હળવી કરવા માટે કેન્દ્ર સરકાર મેટ્રો રેલવે સ્ટેશન પર સસ્તા ભાવે ખાદ્ય ચીજવસ્તુઓ વેચશે. શરૂઆત દિલ્હીથી થશે. દિલ્હીના વિવિધ મેટ્રો સ્ટેશન્સ ખાતે રિટેલ સ્ટોર ખોલવામાં આવશે. સરકાર આ સ્ટોરમાં સસ્તા ભાવે ડુંગળી, કઠોળ, ઘઉંનો લોટ અને અનાજ જેવી ખાદ્ય વસ્તુઓ સસ્તા ભાવે વેચશે. દિલ્હીમાં પ્રોજેક્ટ સફળ થશે તો અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, બેંગાલુરુ સહિતના શહેરોમાં સ્ટોર ખોલવામાં આવશે. મેટ્રો રેલવે સ્ટેશન પર શરૂ થનારા સ્ટોરની માલિકી અને સ્ટોરનું સંચાલન સરકારી કંપની નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા કરશે. છૂટક ફુગાવાનો દર હળવો થયો છે, પરંતુ ખાદ્ય ફુગાવો હજુ પણ ઊંચા સ્તરે છે અને તેમાં વધારો થવાની શક્યતા છે.
2024 શરૂ થશે એટલે મ્યાનમારથી તુવેર દાળ અને અડદ દાળનો જથ્થો ભારત આવી પહોંચશે. જાન્યુઆરીમાં 4 લાખ ટન તુવેર દાળ અને ફેબ્રુઆરીમાં 10 લાખ ટન અડદ દાળનો જથ્થો ભારત આવી પહોંચશે. દાળની મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સરકારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મ્યાનમારથી દાળની આયાતનો નિર્ણય લીધો છે. તુવેર અને અડદ પર લાદવામાં આવેલી સ્ટોક લિમિટ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તુવેર દાળ સતત મોંઘી થઈ છે. સપ્ટેમ્બરમાં તુવેરની મોંઘવારીનો દર 37 ટકા હતો. ઓક્ટોબરમાં તુવેરની મોંઘવારીનો દર 41 ટકા, ચણાનો ફુગાવો 11 ટકા અને મગનો ફુગાવો 12.75 ટકા રહ્યો હતો, જેના લીધે ઓક્ટોબરમાં કઠોળનો ફુગાવાનો દર 19 ટકાના ઊંચા સ્તરે રહ્યો હતો. તુવેરનો વાવેતર વિસ્તાર ઘટ્યો હોવાથી આ વર્ષે ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે.
ભારતીય રૂપિયો સતત ઘટી રહ્યો છે. અમેરિકન ડૉલર સામે રૂપિયો 83.41ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. UAE દિરહામ સામે પણ રૂપિયો 22.727ની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. રૂપિયાનું મૂલ્ય ઘટવાથી આયાતી માલસામાન અને સેવાઓ મોંઘી થઈ રહી છે. આયાતી મોંઘવારીને કારણે ભારતમાં ફુગાવો પડકારજનક બની શકે છે. ડૉલર સામે એશિયાના અન્ય ચલણ મજબૂત થયા છે, પરંતુ ભારતીય રૂપિયો ઘટ્યો છે, કારણ કે, ભારતનાં આયાતકારોમાં ડૉલરની ડિમાન્ડ વધી છે. રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે RBI 8 ડિસેમ્બરની બેઠકમાં શું કરે છે, તેના પર ફોરેક્સ ટ્રેડર્સની નજર છે. કરન્સી એક્સપર્ટ કહે છે કે, રૂપિયો 83.40થી 83.60ની રેન્જમાં રહેવાની શક્યતા છે.
એપ્રિલથી ઓક્ટોબર 2023 દરમિયાન, 1.51 લાખ કરોડ રૂપિયાની GST ચોરી પકડાઈ છે. નાણા મંત્રાલયે સંસદમાં આપેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 20230-24ના ઓક્ટોબર સુધીમાં પકડાયેલી દોઢ લાખ કરોડ રૂપિયાની કરચોરીમાંથી 18,541 કરોડ રૂપિયાની રિકવરી થઈ છે. સરકારે 154 લોકોની ધરપકડ પણ કરી છે. કુલ કરચોરીમાંથી 56 ટકા કરચોરી માત્ર મહારાષ્ટ્રમાંથી પકડાઈ છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 84,413 કરોડ રૂપિયાની, ત્યારબાદ હરિયાણામાંથી 13,795 કરોડની અને ગુજરાતમાંથી 12,067 કરોડની કરચોરી પકડાઈ છે. નાણાકીય વર્ષ 2022-23માં કુલ 1.32 લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી.
દિવાળીના મહિનામાં વાહનોનું વિક્રમજનક વેચાણ થયું છે. ઓટોમોબાઈલ ડીલર્સના સંગઠને જાહેર કરેલા આંકડા પ્રમાણે, નવેમ્બરમાં ઓટો સેલ્સ વાર્ષિક ધોરણે 18 ટકા વધ્યું છે અને કુલ 28.54 લાખ વાહનો વેચાયા છે. તેમાં 22.47 લાખ ટુ-વ્હીલર છે જ્યારે 3.6 લાખ પેસેન્જર વ્હિકલ્સ છે. બાઈક, સ્કૂટર સહિતના ટુ-વ્હીલરના વેચાણમાં માસિક ધોરણે સૌથી વધુ 49 ટકા જ્યારે વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો થયો છે. પેસેન્જર વ્હિકલમાં સૌથી વધુ વેચાણ મારુતિ, હ્યન્ડેઈ અને ટાટા મોટર્સે નોંધાવ્યું છે જ્યારે કમર્શિયલ વ્હિકલ્સનું મહત્તમ વેચાણ મહિન્દ્રા અને ટાટા મોટર્સે નોંધાવ્યું છે. સૌથી વધુ ટુ-વ્હીલર હીરો મોટોકોર્પે અને હોન્ડા મોટરસાઈકલે વેચ્યા છે. જોકે, ટ્રેક્ટરનું વેચાણ ઘટ્યું છે. ગયા વર્ષના નવેમ્બરમાં 78 હજારથી વધુ ટ્રેક્ટર વેચાયા હતા, પરંતુ આ વખતે 62 હજારથી પણ ઓછા ટ્રેક્ટર વેચાયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો