ચૂંટણી પરિણામ બાદ શેરબજારમાં અને અદાણી ગ્રૂપના શેર્સમાં જોરદાર તેજી આવી છે. 4 ડિસેમ્બરે સોમવારે અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીના શેર્સ 10 ટકા સુધી ઉછળ્યા છે. ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 7.1 ટકા વધીને પચ્ચીસોને પાર થઈ ગયો હતો જ્યારે અદાણી પોર્ટ્સનો શેર 6.1 ટકા વધીને 879 રૂપિયાએ પહોંચી ગયો હતો. સૌથી વધુ ઉછાળો અદાણી ગ્રીનમાં સાડા નવ ટકાનો આવ્યો હતો. સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સનો શેર 7.4 ટકા, ACCનો શેર 6.3 ટકા, અદાણી પાવરનો શેર સાડા પાંચ ટકા જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 5.40 ટકા વધ્યો હતો. 2024માં મોદીની જીત નિશ્ચિત હોવાના સંકેત મળતાંની સાથે જ અદાણીના શેર્સમાં તેજીવાળા સક્રિય થઈ ગયા છે.
દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી કંપનીએ પાર્કિંગ ભાડું વધારવાની યોજના બનાવી છે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું છે કે, એરપોર્ટ પર લાંબા સમયથી પાર્કિંગ જગ્યા રોકીને ઊભેલા વિમાનો માટે એરલાઈન્સ પાસેથી વધારે ભાડું વસૂલવામાં આવશે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 295 પાર્કિંગ સ્લોટ છે, જેમાં બંધ થઈ ગયેલી એરલાઈન ગો ફર્સ્ટના 23 વિમાન, ઝૂમ એરના 5 અને જેટ એરવેઝના 3 વિમાન લાંબા સમયથી જગ્યા રોકીને ઊભા છે. આ ઉપરાંત, ઈન્ડિગો, સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા સહિતની એરલાઈન્સના 64 વિમાન પણ પાર્કિંગ સ્પેસ રોકીને ઊભા છે કારણ કે, આ વિમાનો ઉડાન ભરવાને લાયક નથી. જો એરલાઈન્સ પર ભાડાંનો બોજ વધશે તો આ બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે અને હવાઈ ટિકિટ મોંઘી થઈ શકે છે.
ચીનમાથી ભારતમાં ઠલવાઈ રહ્યું છે લાખો ટન સ્ટીલ. ભારતની કંપનીઓ અને વેપારીઓ ચીનથી લાખો ટન સ્ટીલ મંગાવી રહ્યાં છે. સ્ટીલ મંત્રાલયના આંકડા પ્રમાણે, એપ્રિલથી ઓક્ટોબર 2023 દરમિયાન ભારતે 11 લાખ ટનથી પણ વધારે સ્ટીલની આયાત ચીનથી કરી છે. વાર્ષિક ધોરણે આયાત 50 ટકા વધીને છેલ્લાં છ વર્ષની ટોચે પહોંચી છે. ગયા વર્ષના એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન આપણે ચીનથી સાડા સાત લાખ ટન સ્ટીલની આયાત કરી હતી જ્યારે એપ્રિલથી ઓક્ટોબર 2021માં 4.9 લાખ ટન અને 2020માં 5.1 લાખ ટન સ્ટીલ ચીનથી આયાત કર્યું હતું. કોરોના પહેલાંના વર્ષમાં આપણી આયાત 8.8 લાખ ટન હતી. ચીનનું એક ટન સ્ટીલ 604 ડૉલરમાં મળે છે જ્યારે ભારતની કંપનીઓનો ભાવ 659 ડૉલર છે. યુરોપ સહિતના દેશોમાં માંગ તૂટવાથી ચીનની કંપનીઓ ભારતને સસ્તામાં માલ ઑફર કરી રહી છે.
ભારતના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ પર ભરોસો હોય તો આ ખબર તમારા માટે છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નવી સ્કીમ લૉન્ચ કરી છે, જેનું નામ છે એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ. તેનો NFO પહેલી ડિસેમ્બરે ખુલી ગયો છે અને 15 ડિસેમ્બર સુધી ખુલ્લો છે. આ સ્કીમમાં તમે જેટલું રોકાણ કરશો તેને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કંપનીઓમાં રોકવામાં આવશે. આ એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. આ સ્કીમ મેન્યુફેક્ચરિંગ થીમ આધારિત છે, એટલે તેમાં જોખમ ઘણું વધારે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલાં તમારે પોતાની જોખમ લેવાની ક્ષમતા, રોકાણ કરવા પાછળનો ઈરાદો અને સમયગાળો જેવી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. જો તમે પહેલીવાર રોકાણ કરી રહ્યાં હોવ તો થીમ આધારિત સ્કીમમાં રોકાણ ન કરવું જોઈએ. જો તમે પરિપક્વ રોકાણકાર હોવ અને જોખમ લઈ શકતા હોવ તો થીમ આધારિત સ્કીમ પસંદ કરી શકો છો.
મુકેશ અંબાણીના વેવાઈ અજય પિરામલ સરકારી બેન્ક ખરીદવાની ફિરાકમાં છે. પિરામલ ગ્રૂપના ચેરમેન અજય પિરામલે સંકેત આપ્યા છે કે, તેઓ બેન્ક ખરીદવાની તક ઝડપવા માટે સક્રિય છે. શક્યતા છે કે, તેઓ IDBI બેન્ક અથવા અન્ય કોઈ સરકારી બેન્કમાં બહુમતિ હિસ્સો ખરીદી શકે છે. IDBI બેન્કમાં સરકારનો હિસ્સો 49.24 ટકા છે જ્યારે LIC પાસે 49.23 ટકા હિસ્સો છે. સરકાર અને LIC બંને સાથે મળીને 60.7 ટકા હિસ્સો વેચવા માંગે છે. આ ઉપરાંત સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાંથી પણ સરકાર હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. આથી, પિરામલ ગ્રૂપ આ તક ઝડપવા માંગે છે. પિરામલ ગ્રૂપ ફાયનાન્સ સેક્ટરમાં સક્રિય છે. પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાયનાન્સ પાસે 64,000 કરોડ રૂપિયાનો કારોબાર કરે છે અને પિરામલ ગ્રૂપ બેન્કિંગ લાયસન્સ લેવા માંગે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો