સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. 29 નવેમ્બરે મળેલી કેબિનેટ બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ 5 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને 5 કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના 1 જાન્યુઆરી 2024થી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. કેબિનેટે જણાવ્યું છે કે, આ યોજનાથી 81 કરોડ લોકોને ફાયદો થશે. આ યોજના પાછળ સરકાર આવતા પાંચ વર્ષમાં 11.80 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તાજેતરમાં એક ચૂંટણીની રેલીમાં વડાપ્રધાને ફ્રી રાશન યોજના પાંચ વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી હતી અને હવે કેબિનેટે તેને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કોરોના વખતે શરૂ થઈ હતી અને ચાલુ વર્ષના બજેટમાં આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
સરકારી કંપની ઈરેડાએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. ઈરેડાએ અપેક્ષાથી વિપરિત 56 ટકા ઊંચા ભાવે શેરબજારમાં પ્રવેશ કર્યો છે. લિસ્ટિંગ બાદ પણ તેનો શેર 20 ટકા વધીને 59.99 રૂપિયાના લેવલે પહોંચી ગયો છે. કંપનીએ IPOમાં 32 રૂપિયાના ભાવે શેર આપ્યા હતા, જેની સામે લિસ્ટિંગ 50ના ભાવે થયું છે. જેમણે IPO ભર્યો હશે, તેમને માત્ર નવ દિવસમાં 87 ટકા રિટર્ન મળ્યું છે. એટલે કે, પંદર હજાર રૂપિયાના એક લોટ પર 12,000થી પણ વધારે રૂપિયાનો નફો મળ્યો છે. એનાલિસ્ટ્સ આ શેર માટે બુલિશ છે અને બાય રેટિંગ આપી રહ્યાં છે, કારણ કે, ભારતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ડેવલપમેન્ટની અપાર તક છે અને તેનો ભરપૂર ફાયદો ઈરેડાને મળી શકે છે.
ભારતનાં શેરબજારનું બજાર મૂલ્ય પહેલીવાર 4 ટ્રિલિયન ડૉલર એટલે કે 333 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. શેરબજારનું માર્કેટ કેપિટલાઈઝેશન મે 2021માં 3 ટ્રિલિયન ડૉલરના લેવલને વટાવી ગયું હતું અને હવે 4 ટ્રિલિયન ડૉલરને પાર થઈ ગયું છે. ભારતીય શેરબજાર 2023માં 10 ટકા જેટલું વધ્યું છે અને માર્કેટ કેપમાં 51 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. માર્કેટ કેપિટલાઈઝેશનના મોરચે ભારત હવે પાંચમા ક્રમે પહોંચ્યું છે. ભારતની આગળ અમેરિકા, ચીન, જાપાન અને હોંગ કોંગ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓના શેર વધવાથી તેમજ નવી કંપનીઓના IPO આવવાથી માર્કેટ કેપમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુજરાતના હવાઈમથકોનો ટ્રાફિક ઓક્ટોબર મહિનામાં અનેક ગણો વધી ગયો હતો. ઓક્ટોબરમાં ગુજરાતના એરપોર્ટ્સ પરથી 11.17 લાખ લોકોએ ફ્લાઈટ્સ પકડી હતી. આમાંથી 10.20 લાખ પ્રવાસી ડોમેસ્ટિક ફ્લાઈટમાં બેઠા હતા જ્યારે 1.53 ટુરિસ્ટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પકડી હતી. અમદાવાદના એરપોર્ટ પર સૌથી વધુ 7.38 લાખ મુસાફરો નોંધાયા હતા. ત્યારબાદ સુરતમાં લગભગ 99 હજાર, રાજકોટમાં 83 હજાર, વડોદરામાં 67 હજાર અને જામનગરમાં 15 હજારથી વધારે પ્રવાસીઓ નોંધાયા હતા. નવેમ્બરમાં પણ દેશભરનાં એરપોર્ટ્સ પ્રવાસીઓથી ધમધમ્યા હતા અને 19 નવેમ્બરે તો, 4.56 લાખ હવાઈપ્રવાસીનો રેકોર્ડ બન્યો હતો.
ખાનગી ક્ષેત્રની yes Bankએ 2 કરોડ રૂપિયાથી ઓછું મૂલ્ય ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. વ્યાજ દર વધ્યા બાદ સામાન્ય રોકાણકારોને 3.25 ટકાથી લઇને 7.75 ટકા વ્યાજ મળશે. જો તમે સિનિયર સિટિઝન હશો તો બેન્ક તમને 3.75 ટકાથી લઇને 8.25 ટકા સુધીનું વ્યાજ આપશે. યસ બેન્ક 7 દિવસથી લઇને 10 વર્ષ સુધીની એફડી પર વ્યાજ આપે છે. ઈન્ડસઈન્ડ બેન્ક પણ સીનિયર સીટિઝનને 8.25 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપે છે. સૌથી વધુ સાડા આઠ ટકા ઈન્ટરેસ્ટ રેટ DCB બેન્ક આપે છે. DCB બેન્ક સામાન્ય નાગરિકને પણ 25 મહિનાની FD પર 7.90 ટકા રેટ ઑફર કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો