પર્સનલ લોન તેમજ કન્ઝ્યુમર લોનના વ્યાજના દરમાં અડધા ટકા સુધીનો વધારો થઈ શકે છે. એટલે કે, બાઈક, સ્કૂટર, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને મોબાઈલ જેવી ચીજવસ્તુઓ લોન પર ખરીદવા માટે વધારે વ્યાજ ચૂકવવું પડશે. રિઝર્વ બેન્કે ગેરન્ટી વગર મળતી અસુરક્ષિત લોનના નિયમો કડક કર્યા હોવાથી બેન્કોનો ખર્ચ વધી જશે. બેન્કો આ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવા માટે વ્યાજ દર વધારશે અને 0.40 ટકા સુધીનો વધારો કરી શકે છે. RBIએ અનસિક્યોર્ડ લોનનું રિસ્ક વેઈટેજ 25 ટકા વધાર્યું છે, જેથી બેન્કોની કેપિટલ કૉસ્ટ વધી જશે.
રવિ વાવેતર ચાલી રહ્યું છે અને તેવા સમયે જ ખાતર મોંઘું થઈ ગયું છે. ખાતરની એક બોરી સવાસો રૂપિયા મોંઘી થઈ છે. NPK ખાતરની બોરીનો ભાવ ઓક્ટોબરમાં 1,175 રૂપિયા હતો, જે નવેમ્બરમાં દિવાળી પછી વધીને 1,300 રૂપિયા થઈ ગયો છે. એક તો ખાતર મળતું નથી અને મળે છે તો ભાવ વધારે ચૂકવવો પડે છે. અત્યારે ગામડાંમાં ખાતર લેવા માટે લાંબી લાઈનો નજરે પડી રહી છે. કેમિકલની સાથે સાથે છાણિયું ખાતર પણ મોંઘું થઈ ગયું છે. હવે ખેડૂતના આંગણે પશુઓ રહ્યાં નથી એટલે મફતમાં છાણિયું ખાતર મળતું નથી. ગૌશાળા અને તબેલામાંથી છાણિયું ખાતર મંગાવવું પડે છે. છાણિયા ખાતરની એક લારીનો ભાવ ચાર હજારે પહોંચી ગયો છે,સ જે ગયા વર્ષે બે હજારથી બાવીસ્સો રૂપિયા હતો. લારીમાં ખાતર ભરવાનો અને તેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ અલગથી થાય છે. આમ, ખેતીવાડીના ખર્ચનો બોજ સતત વધી રહ્યો છે.
દુનિયાભરનાં દેશોમાં માંગ ઘટવાથી ભારત નિકાસ પર અસર પડી છે. ખાસ તો, ડાયમંડ ઉદ્યોગને ફટકો પડ્યો છે. નિકાસના તાજા આંકડા પ્રમાણે, જેમ્સ અને જ્વેલરીની નિકાસ સાડા અગિયાર ટકા ઘટી છે. ઓક્ટોબરમાં ભારતમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 22,873 કરોડ રૂપિયા થઈ ગઈ હતી, જે 2022ના ઓક્ટોબરમાં 25,844 કરોડ રૂપિયા હતી. કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 32 ટકા ઘટીને 10,495 કરોડ રૂપિયા થઈ છે. પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમંડની નિકાસ 23 ટકા ઘટીને 1,135 કરોડ રૂપિયા થઈ છે. છેલ્લાં 8 મહિનાથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ સતત ઘટી છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નિકાસમાં 31 ટકાનું ગાબડું પડ઼્યું છે.
1 હજાર કરોડ રૂપિયાથી વધારે માર્કેટ કેપ ધરાવતી 77 કંપની પોતાના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર રાખવાનો નિયમ પાળતી નથી. આ 77 કંપનીમાંથી 50 કંપની તો સરકારની છે. આવી કંપનીઓને BSE અને NSEએ સાડા પાંચ લાખ રૂપિયાનો દંડ ભરવાની નોટિસો ફટકારી છે. ભેલના બોર્ડમાં 11 ડિરેક્ટર છે, જેમાં ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર માત્ર 3 છે. BPCL, HPCL અને ONGCના બોર્ડમાં 13-13 ડિરેક્ટર છે, જેમાં સ્વતંત્ર ડિરેક્ટરની સંખ્યા 6 છે. IOC અને GAILના 14 ડિરેક્ટરમાંથી 7 અને IRCTCના 9 ડિરેક્ટરમાંથી 3 ડિરેક્ટર ઈન્ડિપેન્ડન્ટ છે. કંપનીના બોર્ડની સ્વતંત્રતા જળવાઈ રહે તે માટે પૂરતા સ્વતંત્ર ડિરેક્ટર રાખવા જરૂરી છે. નિયમ પ્રમાણે, બોર્ડના કુલ ડિરેક્ટરની સંખ્યાના એક તૃતિયાંશ ડિરેક્ટર સ્વતંત્ર હોવા જરૂરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો