સરકાર ઘઉંનો લોટ સસ્તામાં વેચશે?
સરકાર ઘઉંનો લોટ સસ્તો કરવાની તૈયારીમાં છે. તહેવારોમાં રાહત આપવા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર લોટની કિંમત બે રૂપિયા ઘટાડી શકે છે. સરકારી બ્રાન્ડ ‘ભારત આટા’ની કિંમત 29.50 રૂપિયા છે, જે ઘટીને 27.50 રૂપિયા કરવાની વિચારણા ચાલી રહી છે. સરકાર પોતાના જથ્થામાંથી અઢી લાખ ટન ઘઉં તેની એજન્સીઓ, સહકારી મંડળીઓ અને અર્ધ-સહકારી એજન્સીઓને આપશે અને તેમાંથી લોટ બનાવીને ભારત આટા બ્રાન્ડ હેઠળ વેચાણ કરવામાં આવશે. ઘઉંનો લોટ સતત મોંઘો થયો છે. અનબ્રાન્ડેડ ઘઉંનો લોટ 30 રૂપિયે કિલો મળતો હતો, પરંતુ 2023માં તેની સરેરાશ કિંમત 4.1 ટકા વધીને 35.84 રૂપિયા થઈ ગઈ છે. બજારમાં બ્રાન્ડેડ લોટનો ભાવ 40થી 45 રૂપિયા ચાલે છે.
ગામડાંમાં મનરેગા હેઠળ કામની માંગ વધી
ગામડાંમાં મનરેગા હેઠળ કામ માંગનારાની સંખ્યા વધી રહી છે. ચોમાસાની સીઝનમાં વરસાદની પેટર્ન બદલાઈ હોવાથી ગામડાંમાં ખેતીવાડીનું કામ ઘટી ગયું હતું, જેના લીધે મોટો વર્ગ મનરેગા તરફ વળ્યો હતો. આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકોડ રહ્યો હતો, એટલે આ મહિનામાં મનરેગા હેઠળ કામ માગવાનું પ્રમાણ 20 ટકા વધ્યું હતું. પછી ઓક્ટોબરમાં પણ મનરેગા હેઠળ 2.19 કરોડ લોકોએ કામ માંગ્યું હતું, જેનો આંકડો ગયા વર્ષના ઓક્ટોબરમાં 1.84 કરોડ જ હતો. ઓક્ટોબરમાં પણ મનરેગા હેઠળ કામ માંગનારા 17 ટકા વધ્યા હતા. શહેરોમાં ગાડીઓનું વેચાણ ધડાધડ થઈ રહ્યં છે પરંતુ ગામડાંમાં ટ્રેક્ટરનું વેચાણ 5 ટકા ઘટ્યું છે. આમ, ગ્રામ્ય અર્થતંત્ર હજુ પણ મોંઘવારી સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.
તમે કઈ ઉંમરે પહેલી લોન લીધી હતી?
જુવાનિયાઓ લોનના ચક્કરમાં ફસાઈ રહ્યાં છે. જીવનમાં પહેલીવાર લોન લેવાની ઉંમર પહેલાના જમાનામાં 30 વર્ષ કે 35 વર્ષની હતી. 60ના અને 70ના દાયકામાં જન્મેલા લોકો જરૂર પડે તો જ લોન લેતા હતા. પણ હવે તો પચ્ચીસની ઉંમર પહેલાં જ એકાદી લોનના હપ્તા ભરનારા વધી રહ્યાં છે. હજુ તો માંડ કમાતા થયા હોય ત્યાં લોન લેવાનું પ્રમાણ વધી ગયું છે. હવે પહેલી લોન લેનારાની સરેરાશ ઉંમર 23 વર્ષ થઈ ગઈ છે. નાની ઉંમરે સૌથી વધુ લોન બાઈક કે સ્કૂટર માટે તથા મોબાઈલ સહિતની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે લેવામાં આવે છે. 25થી 30 વર્ષની ઉંમરમાં જ ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન, ગોલ્ડ લોન અને હોમ લોનના હપ્તા ભરતા હોય તેવા લોનધારકોની સંખ્યા વધી રહી છે અને બેન્કોની કુલ લોનનમાં વ્યક્તિગત લોનધારકોનો હિસ્સો વધીને 32 ટકાએ પહોંચી ગયો છે.
નાના શહેરોમાં લોનની ડિમાન્ડ વધી
નાના શહેરોમાંથી લોન માટે ઈન્ક્વાયરી કરનારા અને લોન લેનારા વધી રહ્યાં છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓમાં લોન માટે અરજી કરનારા લોકોની કુલ સંખ્યામાં નાના શહેરોનો હિસ્સો વધીને 75 ટકા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018-19માં નાના શહેરોમાંથી લોન લેનારાનો હિસ્સો 28 ટકા હતો, જે હવે વધીને 45 ટકા થઈ ગયો છે. પ્રથમ શ્રેણીનાં અને બીજી શ્રેણીનાં શહેરોમાં લોનની ડિમાન્ડ વધવાથી બેન્કો પણ આ શહેરોમાં વિસ્તરણ કરી રહી છે અને ઑફિસો ખોલી રહી છે. નાના શહેરોમાંથી ક્રેડિટ સ્કોરની ઈન્ક્વાયરી પણ વધી છે. ક્રેડિટ સ્કોરની સૌથી વધુ ઈન્ક્વાયરી ધંધો કરનારા લોકો કરે છે.
અંબાણીએ ખરીદી લાલભાઈની કંપની
અરવિંદ મિલ્સવાળા સંજય લાલભાઈએ મુકેશ અંબાણી સાથે ડીલ કરી છે. લાલભાઈએ તેમની કંપનીનો હિસ્સો અંબાણીને વેચવાના કરાર કર્યાં છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને અરવિંદ ફેશન્સ વચ્ચે થયેલા સોદા હેઠળ, રિલાયન્સ બ્યુટી એન્ડ પર્સનલ કેર દ્વારા અરવિંદ બ્યુટી બ્રાન્ડ્સ નામની કંપનીનો હિસ્સો 99 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે. રિલાયન્સ રિટેલનું સુકાન ઈશા અંબાણી પાસે છે અને રિટેલ કારોબારમાં રિલાયન્સનું વર્ચસ્વ વધારવા માટે તેઓ નાની-નાની બ્રાન્ડ્સ અને કંપનીઓ ખરીદી રહ્યાં છે. તાજેતરમાં તેણે બ્યુટી રિટેલ પ્લેટફોર્મ તિરા પણ લૉન્ચ કર્યું હતું. સુરતની સોસ્યો હજૂરીને પણ રિલાયન્સે ખરીદી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો