દિવાળીએ શેરબજારમાં થશે મુરતનાં સોદા
12 નવેમ્બરે રવિવારના દિવસે દિવાળી છે. દર વર્ષે દિવાળીના દિવસે શેરબજારમાં મુરતનાં સોદા થાય છે. આ વખતે પણ BSE અને NSE પર ખાસ 1 કલાક માટે ટ્રેડિંગ સેશન ગોઠવવામાં આવ્યું છે. રોકાણકારો દિવાળીના દિવસે શેરની ખરીદીને શુભ માને છે. આથી, 12 નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી સવા સાત વાગ્યા સુધી મુહૂર્ત ટ્રેડિંગ માટે શેરબજાર ખુલશે. તેમાં 15 મિનિટનું પ્રિ-માર્કેટ સેશન પણ સામેલ છે. BSE અને NSEએ જણાવ્યું છે કે, એક કલાકના સ્પેશિયલ સેશનમાં રોકાણકારો શેરની ખરીદી કે વેચાણ કરી શકશે અને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં પણ ટ્રેડિંગ કરી શકશે. આ દિવસે જેટલા પણ સોદા થશે તેનું સેટલમેન્ટ પણ તે જ દિવસે કરવામાં આવશે.
નવેમ્બરથી થશે કેટલાક મહત્વનાં ફેરફાર
નવેમ્બર મહિનામાં કેટલાક મહત્ત્વનાં ફેરફાર થવાના છે. પહેલી નવેમ્બરે રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. ચૂંટણી આવી રહી છે ત્યારે ગેસનો સિલિન્ડર સસ્તો થઈ શકે છે. 100 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા પ્રોફેશનલ્સ માટે GST ચલણ અપલોડ કરવાનો નિયમ લાગુ થશે. તેમણે પહેલીથી 30 તારીખની વચ્ચે GST ચલણ અપલોડ કરવું પડશે. સરકારે HSN 8741 કેટેગરીમાં આવતા લેપટોપ, ટેબલેટ, પર્સનલ કોમ્પ્યુટર અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત પર ઓક્ટોબર સુધી છૂટ આપી હતી. હવે પહેલી નવેમ્બરથી આ છૂટ ચાલુ રહે છે કે, નહીં તેના પર સૌની નજર છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEએ નવેમ્બરથી ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ફી વધારવાની જાહેરાત કરી હતી. આ ફેરફાર સેન્સેક્સ પર લાગુ થશે. ટ્રાન્ઝેક્શન ખર્ચ વધશે તો ટ્રેડર્સ અને ખાસ તો રિટેલ ઈન્વેસ્ટર્સ પર નેગેટિવ ઈમ્પેક્ટ પડશે.
બેન્કો નવેમ્બરમાં 15 દિવસ બંધ રહેશે
નવેમ્બરમાં બેન્કો અડધો મહિનો બંધ રહેશે. દિવાળી સહિતના તહેવારો હોવાથી વિવિધ રાજ્યોની બેન્કો અલગ-અલગ દિવસે બંધ રહેશે. ચાર રવિવાર અને બે શનિવાર ઉપરાંત, કુલ 9 તહેવારોને કારણે બેન્કોમાં રજા રહેશે. પહેલી નવેમ્બરે કર્ણાટક, મણીપુર અને હિમાચલ પ્રદેશમાં કર્વા ચોથની રજા છે. 10મીએ વાંગલા ફેસ્ટિવલને લીધે મેઘાલયની બેન્કો બંધ રહેશે. 13મીએ ઉત્તરાખંડ, સિક્કિમ, મણીપુર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને યુપીમાં ગોવર્ધન પૂજાની રજા છે. 14મીએ વિક્રમ સંવત ન્યુ યરને કારણે ગુજરાતની બેન્કો બંધ રહેશે. 15મીએ ભાઈબીજની રજા છે. 20મીએ છઠ્ઠ હોવાથી બિહાર અને રાજસ્થાનમાં જ્યારે 23મીએ ઉત્તરાખંડ અને સિક્કિમમાં રજા છે. 27મીએ ગુરુ નાનક જયંતી નિમિત્તે મોટા ભાગના રાજ્યોમાં રજા છે જ્યારે 30મીએ કર્ણાટકમાં ત્યાંના તહેવારની રજા છે.
7 કૃષિ વાયદા પર પ્રતિબંધ વધુ લંબાયો
7 કૃષિ વાયદા પર લાગેલો પ્રતિબંધ વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. સેબીએ ડાંગર, ઘઉં, ચણા, રાયડો, સોયાબીન, ક્રૂડ પામઓઈલ અને મગના વાયદા પર મૂકેલો પ્રતિબંધ ડિસેમ્બર 2024 સુધી લંબાવ્યો છે. દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી તેમજ આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી મોંઘવારીને અંકુશમાં રાખવાના ઈરાદા સાથે કૃષિ વાયદા પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જે શેરબજારો પાસે કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટ છે, તેમને આ સાત એગ્રી કોમોડિટીના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ સ્થગિત કરવાની સૂચના આપવામાં આવી છે. જોકે, કૃષિ નિષ્ણાતો જણાવે છે કે, વાયદા બજાર પર પ્રતિબંધ મૂકવાથી ભાવ અંકુશમાં રહેતો હોવાની વાત ગળે ઉતરે એમ નથી, કારણ કે ભાવનો સંબંધ માંગ અને પુરવઠા સાથે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો