MONEY9 GUJARATI: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
અદાણી ગ્રૂપ લેશે રોકાણકારોની પરીક્ષા
રોકાણકારોને અદાણી ગ્રૂપમાં કેટલો ભરોસો છે, તેની ખબર ટૂંક સમયમાં પડી જશે. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ તેના ઈક્વિટી શેર્સ વેચીને ફંડ એકત્ર કરવા માંગે છે. આ કવાયતના ભાગરૂપે, કંપનીએ 13મી મે, શનિવારના રોજ, અમદાવાદ ખાતે બોર્ડની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઈક્વિટી શેર્સ ઇશ્યૂ કરીને ફંડ એકત્ર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવશે અને જો બૉર્ડ મંજૂરી આપશે તો, શેરહૉલ્ડર્સ પાસે મંજૂરી માંગવામાં આવશે. હવે, જોવાનું રહેશે કે, કંપની કયા ભાવે ઈક્વિટી શેર્સ વેચશે અને કેટલા રોકાણકારો તેમાં ભાગ લેશે. 24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ તેના રોકાણકારો ખોવાઈ ગયા હતા, પરંતુ માર્ચમાં અમેરિકાની GQG પાર્ટનર્સે હિસ્સો ખરીદ્યા બાદ શેરને ટેકો મળ્યો છે. આ સમાચારને પગલે, 11 મેના રોજ તેનો શેર 5 ટકા વધીને રૂ.1,988એ બંધ રહ્યો હતો. 12મી મેના રોજ, સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિન્ડનબર્ગ કેસની સુનાવણી પણ છે.
પાકિસ્તાન ડિફૉલ્ટ થવાની નજીક પહોંચી રહ્યો છે. તેનો રૂપિયો ડૉલર સામે તૂટીને 290ને પાર થઈ ગયો છે. પાકિસ્તાનને અત્યારે તાત્કાલિક ધોરણે 1.1 અબજ ડૉલરની જરૂર છે, પરંતુ વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ ફંડ આપવા તૈયાર નથી. આવતા વર્ષે 31 અબજ ડૉલરનું દેવું ચૂકવવાનું છે. પણ સરકારી તિજોરીમાં માત્ર 4.5 અબજ ડૉલરની ફોરેન રિઝર્વ પડી છે, અને તેનાથી એક મહિનાની આયાત પણ કવર થાય એમ નથી. નિકાસના ઠેકાણા નથી અને ફોરેનમાંથી કોઈ રોકાણ કરવા તૈયાર નથી. પાકિસ્તાન સરકાર ડિફોલ્ટથી બચવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી 6.5 અબજ ડૉલરનું રાહત પેકેજ મેળવવા માટે ઘણા સમયથી વાટાઘાટ કરી રહ્યું છે, પરંતુ ઈમરાન ખાનની ધરપકડ બાદ, હવે આ દિશામાં આગેકૂચ થાય તેવું લાગતું નથી. તાજેતરમાં મદદનો હાથ લંબાવનારા મિત્ર-દેશો પણ ઠેંગો બતાવી રહ્યાં છે.
લસણ, હળદર, ધાણા, વરિયાળીના ભાવમાં તેજીનો કરંટ
ગરમાગરમ વૈશાખી વાયરા વચ્ચે મસાલા માર્કેટમાં તેજીવાળા સક્રિય થઈ ગયા છે. જીરુંના ભાવમાં જામેલી તેજીને જોઈને અન્ય મરી-મસાલા પણ તેજીના રંગે રંગાઈ રહ્યાં છે. હળદર પકવતા પ્રદેશોમાં માવઠાને કારણે માલ બગડ્યો છે. બજારમાં પલળેલો માલ આવી રહ્યો છે, આથી સારો માલ કિલોએ 2 રૂપિયાથી 3 રૂપિયા ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે. ગયા ઉનાળે સારી ક્વોલિટીના લસણનો જે ભાવ બોલાતો હતો, તે અત્યારે મુંડા અને મીલબર ક્વોલિટીનો બોલાઈ રહ્યો છે. મીલબર-મુંડા ક્વોલિટીનું લસણ રૂ.700ના ભાવે જ્યારે સુપર લાડવા લસણ રૂ.1,300ના ભાવે વેચાઈ રહ્યું છે. ઊંટીના બોક્સ માટે તો રૂ.2,500ના ભાવે સોદા થઈ રહ્યાં છે. આવી જ રીતે, એક મણ વરિયાળીના ભાવ ગયા વર્ષે રૂ.1,450થી રૂ.1,750ની વચ્ચે હતા, જે હવે રૂ.2,600થી રૂ.4,200ની વચ્ચે છે. સૂકા મરચાંની કિંમત મણ દીઠ 500 રૂપિયા વધી ગઈ છે અને ભાવ રૂ.4,300ને પાર થઈ ગયા છે.
મુકેશ અંબાણીએ હવે કાર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વાત એમ છે કે, ચાઈનીઝ ઓટોમોબાઈલ કંપની SAIC ભારતમાં તેના કાર બિઝનેસનો હિસ્સો વેચવા માંગે છે. આ કંપની ભારતમાં MG મોટરમાં મેજોરિટી હિસ્સો ધરાવે છે અને તે આ હિસ્સો વેચવા માંગે છે. તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હીરો ગ્રૂપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને JSW ગ્રૂપ સાથે વાટાઘાટ પણ શરૂ કરી છે. શક્યતા છે કે, ચાલુ વર્ષના અંત સુધીમાં સોદો થઈ જશે. MG મોટર ગુજરાતમાં હાલોલ ખાતે પ્લાન્ટ ધરાવે છે અને વધુ એક પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.5,000 કરોડનું રોકાણ કરવા માંગે છે. આ રોકાણ માટે તે હિસ્સો વેચીને એક સ્ટ્રેટેજિક પાર્ટનરને સામેલ કરવા માંગે છે.
અદાણી ગ્રૂપને મોરેશિયસ સરકારે આપી રાહત
મોરેશિયસના મંત્રીએ જણાવ્યું છે કે, તેમના દેશમાં અદાણી જૂથની શેલ કંપનીઓ હોવાનો આક્ષેપ ખોટો અને પાયાવિહોણો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન ફાયનાન્શિયલ ફોરેન્સિક કંપની હિન્ડબર્ગે 24 જાન્યુઆરીએ જાહેર કરેલા રિપોર્ટમાં અદાણી ગ્રૂપની અનેક શેલ કંપનીઓ હોવાનો આરોપ કર્યો હતો. અદાણી ગ્રૂપ દ્વારા શેરમાં ચેડાં કરવામાં આવતા હોવાના આરોપ પણ થયા હતા. જોકે, મોરેશિયસ સરકારે સ્પષ્ટતા કરીને ગૌતમ અદાણી જૂથને મોટી રાહત આપી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, અમારા દેશનો કાયદો ખોટી કંપનીઓના અસ્તિત્વને મંજૂરી આપતો નથી. અદાણી દ્વારા મોરેશિયસમાં થયેલા રોકાણમાં કોઈ ગેરરીતિ જાણવા મળી નથી કે, અદાણી જૂથ સાથે જોડાયેલી કંપનીઓના મૂલ્યાંકનમાં કોઈ છટકબારી મળી નથી. મોરેશિયસમાં ફાઇનાન્શિયલ સર્વિસ કમિશન છે, અને તમામ વૈશ્વિક કંપનીએ આ કમિશનની મંજૂરી મેળવવી પડે છે અને આકરા નિયમોનું પાલન કરવું પડે છે. કમિશન કંપનીઓ પર ઝીણવટભરી નજર રાખે છે. મોરેશિયસ સરકારે કરેલી આ જાહેરાતથી અદાણી ગ્રૂપને મોટી રાહત મળી છે.
ગુજરાતની કંપની આપશે જંગી ડિવિડન્ડ
ગુજરાત સરકારની શહેરી-ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો નફો 16 ટકા ઘટ્યો છે, છતાં બ્રોકર્સે આ કંપનીમાં કોન્ફિડન્સ દર્શાવ્યો છે. કંપનીનું વોલ્યુમ વધવાની આશાને પગલે બ્રોકર્સે બુલિશ મત વ્યક્ત કર્યો છે. મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ જાળવીને રૂ.610નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. ICICI સિક્યોરિટીઝે પણ બાય રેટિંગ યથાવત્ રાખીને રૂ.585નો ટાર્ગેટ આપ્યો છે. JM ફાયનાન્શિયલે પણ બાય રેટિંગ જાળવી રાખ્યું છે. યસ સિક્યોરિટીઝે રૂ.565નો ટાર્ગેટ નક્કી કર્યો છે. 11 મેના રોજ, તેનો શેર સાડા પાંચ ટકા વધીને રૂ.489એ બંધ રહ્યો હતો. ગુજરાત ગેસે શેર દીઠ 6.65 રૂપિયા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ માટે કંપની તરફથી જાહેર થયેલું આ બીજું અને છેલ્લું ડિવિડન્ડ છે. બે રૂપિયાની ફેસ વેલ્યુના આધારે કંપનીએ જાહેર કરેલું ડિવિડન્ડ 333 ટકા છે. અગાઉ ઓગસ્ટ 2022માં પણ કંપનીએ 100 ટકા ડિવિડન્ડ આપ્યું હતું.
Published - May 11, 2023, 08:28 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો