ગુજરાતમાં કાર, બાઈકના વેચાણમાં ઉછાળો
ગુજરાતમાં કાર અને બાઈકની ખરીદીમાં જબરજસ્ત વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતીઓએ 1.29 લાખ બાઈક અને સ્કૂટર છોડાવ્યા છે. 2022ના સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 77 હજાર ટુ-વ્હીલર વેચાયા હતા, એટલે કે ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં ટુ-વ્હીલરનું વેચાણ 66 ટકા વધ્યું છે. કારની વાત કરીએ તો, સપ્ટેમ્બર મહિનામાં કારનું વેચાણ 46 ટકા વધ્યું છે. ગુજરાતીઓએ 37 હજારથી પણ વધારે ગાડીઓ સપ્ટેમ્બર મહિનામાં ખરીદી છે. ઓટોમોબાઈલના ડીલર્સને આશા છે કે, નવરાત્રિ અને પછી દિવાળીના મહિનામાં પણ રેકોર્ડ બ્રેક વાહનો વેચાશે, કારણ કે ગુજરાતમાં આ વખતે સારો વરસાદ થવાથી ગામડાંમાં પણ માંગ વધી છે.
ઈઝરાયેલ યુદ્ધથી હીરા ઉદ્યોગની નિકાસ ઘટશે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને કારણે ભારતનાં ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર અસર પડશે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે થતા ડાયમંડ અને જ્વેલરીના વેપારનું મૂલ્ય 16,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. ભારત ઈઝરાયેલમાંથી કાચા હીરાની આયાત કરે છે અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ કરે છે. અમેરિકા અને ચીનમાં માંગ ન હોવાથી ભારતમાંથી ડાયમંડની નિકાસ 30 ટકા ઘટી છે અને હવે ઈઝરાયેલ વિવાદને કારણે તેમાં વધુ ઘટાડો થશે. માંગ ન હોવાથી અને ભાવ ઘટ્યા હોવાથી ડાયમંડ ઉદ્યોગના સંગઠનોએ રફ ડાયમંડની આયાત પણ બે મહિના માટે બંધ રાખી છે. વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી ડાયમંડ ઉદ્યોગની હાલત ખરાબ રહેશે.
તુવેર, ચણાના ભાવમાં નજીવો ઘટાડો
તુવેર અને ચણાના ભાવ 4 ટકા ઘટ્યા છે, પરંતુ દિવાળી વખતે ભાવ વધવાની શક્યતા છે. છેલ્લાં એક મહિનામાં તુવેર અને ચણાની કિંમતમાં નજીવો ઘટાડો થયો છે, કારણ કે આયાત વધી છે અને માંગ ઘટી છે. સરકારે તુવેરની દાળ માટે સ્ટોક લિમિટના કડક નિયમ લાગુ કર્યાં હોવાથી તેના ભાવ ઘટ્યા છે. ચણાનો સપ્લાય વધવાથી અને સ્પર્ધાત્મક ટેન્ડર દ્વારા સરકારના આક્રમક વેચાણથી ચણાના ભાવમાં ઘટાડો થયો છે. સરકારના 10 ઓક્ટોબરના આંકડા પ્રમાણે, તુવેરનો સરેરાશ ભાવ પ્રતિ કિલો 118 રૂપિયા છે જ્યારે મોડલ પ્રાઈસ 110 રૂપિયા છે. પાટનગર દિલ્હીમાં એક કિલો તુવેર 177 રૂપિયામાં જ્યારે ગુજરાતમાં 143 રૂપિયામાં મળે છે. છ મહિના પહેલાં તુવેરનો સરેરાશ ભાવ 107 રૂપિયા જ્યારે મોડલ પ્રાઈસ 100 રૂપિયા હતી.
35 લાખ IT રિફન્ડ અટકવાનું કારણ શું?
નાણાકીય વર્ષ 2022-23નું ITR ફાઈલ કરી દીધું..? તો રિફન્ડ પણ આવી ગયું હશે… જો ના આવ્યું હોય તો તમારું ITR વેરિફાઈ કરી લેજો… કારણ કે 35 લાખ કેસના રિફન્ડ હજુ પણ અટકેલા છે. ટેક્સ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે, એસેસમેન્ટ યર 2023-24 માટે 7.27 કરોડ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ થયા છે, જેમાંથી 7.15 કરોડ કરદાતાએ તેમના ITR વેરિફાઈ કરી લીધા છે, અને આ વેરિફાઈ થયેલા ITRમાંથી 6.80 કરોડને રિફન્ડ મળી ગયું છે. એટલે કે, હજુ પણ 35 લાખ કેસમાં રિફન્ડ અટકેલા છે. ઘણા ટેક્સપેયર્સે તેમના ITR વેરિફાઈ કર્યા ના હોવાથી તેમના રિફન્ડ અટક્યા છે. કેટલાક કેસમાં પાંચ-સાત વર્ષ અગાઉની ક્વેરી કાઢવામાં આવી છે, એટલે રિફન્ડ અટક્યા છે.
SIP ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ સ્તરે પહોંચ્યું
SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં થતું રોકાણ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. સપ્ટેમ્બર 2023માં SIPમાં 16,402 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે અને ઓગસ્ટમાં થયેલા 15,814 કરોડના રોકાણનો રેકોર્ડ તૂટ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સના સંગઠન એમ્ફીના આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં સતત એકત્રીસમા મહિને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 13,857 કરોડ રૂપિયાનું નેટ ઈન્વેસ્ટમેન્ટ નોંધાયું છે. સ્મોલ કેપ ફંડ્સમાં 2,678 કરોડ રૂપિયા જ્યારે મિડકેપ ફંડ્સમાં 2,001 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. રોકાણકારોમાં SIP દ્વારા ઈન્વેસ્ટમેન્ટ કરવાનું આકર્ષણ વધ્યું છે, કારણ કે, SIP દ્વારા એકસાથે રોકાણ કરવાની જગ્યાએ હપ્તામાં રોકાણ કરવા મળે છે. તમે 500 રૂપિયા જેટલું નજીવું રોકાણ પણ કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો