ઈઝરાયેલના યુદ્ધથી અદાણીનો શેર તૂટ્યો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને પગલે અદાણી પોર્ટ્સનો શેર 5 ટકા તૂટ્યો છે. ઈઝરાયેલના હાઈફા પોર્ટનું સંચાલન અદાણી પાસે હોવાથી તેના શેરમાં ગાબડાં પડ્યાં છે. અદાણીએ જાન્યુઆરી 2023માં હાઈફા પોર્ટ્સ માટે ઈઝરાયેલની કંપની સાથે કરાર કર્યાં હતા અને 8,000 કરોડ રૂપિયાથી પણ વધારે રોકાણ કર્યું હતું. હાઈફા પોર્ટ ઈઝરાયેલ માટે મહત્ત્વનું બંદર હોવાથી રોકાણકારોમાં ચિંતા વધી છે, અને અદાણી પોર્ટ્સના શેર પર દબાણ વધ્યું છે. જોકે, અદાણીએ જણાવ્યું છે કે, તેના કુલ કાર્ગો હેન્ડલિંગમાં હાઈફા પોર્ટનો હિસ્સો માત્ર 3 ટકા છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ઈઝરાયેલમાં ભારતની TCS, ઈન્ફોસિસ, વિપ્રો જેવી આઈટી કંપનીઓ પણ બિઝનેસ કરે છે. આ ઉપરાંત, SBI તથા L&T પણ ઈઝરાયેલમાં વ્યવસાય કરે છે.
અમદાવાદ-મુંબઈ Bullet Train પ્રોજેક્ટ
અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ દોડાવવાના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદન થઈ ગઈ છે. 2017માં શરૂ થયેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2022માં પૂરો કરવાનો હતો, પરંતુ જમીન ખરીદીના પ્રશ્નોને કારણે તેમાં વિલંબ થયો છે. હવે સરકાર 2026 સુધીમાં સુરતથી બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો ઈરાદો ધરાવે છે. ગુજરાતમાં સંપાદિત થયેલી જમીનમાં 133 હેક્ટર અમદાવાદ જિલ્લામાં, 119 હેક્ટર ખેડામાં, 52 હેક્ટર આણંદમાં, 142 હેક્ટર વડોદરામાં, 140 હેક્ટર ભરૂચમાં, 88 હેક્ટર વલસાડમાં અને સૌથી વધુ 160 હેક્ટર જમીન સુરતમાં ખરીદવામાં આવી છે.
દક્ષિણ ભારતના જળાશયોમાં પાણીનું સ્તર ઘટ્યું
ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ભારતનાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટીને 50 ટકાએ પહોંચી ગયું છે. ઓક્ટોબરમાં તામિલ નાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, પુચુચેરી અને તેલંગાણામાં ઓછો વરસાદ પડવાથી ત્યાંના જળાશયોમાં પાણીનું સ્તર ઘટ્યું છે. વોટર કમિશનના 5 ઓક્ટોબર સુધીના આંકડા પ્રમાણે, દેશનાં મુખ્ય 150 જળાશયોમાં પાણીનું સ્તર તેમની કુલ ક્ષમતાના 74 ટકાએ પહોંચ્યું છે. આ વખતે પાણીનું સ્તર ગયા વર્ષની તુલનાએ 17 ટકા ઓછું છે જ્યારે છેલ્લાં 10 વર્ષની સરેરાશ કરતાં 9 ટકા ઓછું છે. પંજાબના જળાશયોમાં પાણીનું સ્તર 13 ટકા જ્યારે ઉત્તર પ્રદેશમાં 33 ટકા ઓછું છે. જોકે, ગુજરાતમાં પાણીનું સ્તર નોર્મલ લેવલ કરતાં 33 ટકા વધારે છે.
ગુજરાતનાં જળાશયો પાણીથી છલોછલ ભરાયા
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની સાથે શરૂ થયેલા ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં 105 ટકા વરસાદ નોંધાયો છે. સારો વરસાદ થવાથી રાજ્યનાં 207 જળાશયોમાં પાણીનું સ્તર 95 ટકાને પાર થઈ ગયું છે. સેન્ટ્રલ વોટર કમિશનના 7 ઓક્ટોબર સુધીના આંકડા અનુસાર, દક્ષિણ ગુજરાતનાં જળાશયોમાં 99.67 ટકા પાણી ભર્યું છે જ્યારે સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં પાણીનું સ્તર 81.63 ટકા નોંધાયું છે. મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 98.40 ટકા પાણી ભરાયું છે. ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીના સરદાર સરોવરમાં 98.88 ટકા પાણી છે.
સોનું ખરીદવા માટે માસિક હપ્તાની સ્કીમનું આકર્ષણ
સોનું ભલે મોંઘું થાય ખરીદનારા ઘટવાના નથી. સોનું ખરીદવા માટે એકસાથે પૈસા કાઢવા ના પડે એટલે માસિક હપ્તા ભરીને લોકો પૈસા ભેગા કરે છે અને પછી ખરીદે છે. દેશભરની જ્વેલરી કંપનીઓને આવી સ્કીમ દ્વારા અઢળક પૈસા મળી રહ્યાં છે. ટાટા ગ્રૂપની કંપની તનિશ્કની ‘ગોલ્ડ હાર્વેસ્ટિંગ સ્કીમ’ ઘણી લોકપ્રિય થઈ છે. નાણાકીય વર્ષ 2022-23ના આંકડા અનુસાર, લોકોએ તનિશ્કમાં 3,890 કરોડ રૂપિયા જ્યારે રિલાયન્સ જ્વેલ્સમાં 282 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. પૂણેની PNG જ્વેલર્સમાં 700 કરોડ રૂપિયા જ્યારે કોલકાતાની સેન્કો ગોલ્ડમાં લોકોએ 192 કરોડની ડિપોઝિટ જમા કરાવી હતી. જ્વેલરી કંપનીઓ હપ્તા ભરનારને બોનસ તથા ડિસ્કાઉન્ટ સહિતનાં લાભ આપે છે, આથી સોનું સહિતનાં આભૂષણ ખરીદવા માંગતા લોકોમાં આવી સ્કીમનું આકર્ષણ વધ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં લૉન્ચ થઈ નવી સ્કીમ્સ
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં નવી સ્કીમ લૉન્ચ થઈ છે. બરોડા BNP પારિબા મ્યુચ્યુઅલ ફંડે સ્મોલ કેપ ફંડ લૉન્ચ કર્યું છે. આ ઓપન-એન્ડેડ સ્કીમનો NFO 20 ઓક્ટોબર સુધી ખુલ્લો છે. તમે 5,000 રૂપિયાનું લમ્પ-સમ રોકાણ કરી શકો છો અને 500 રૂપિયાની SIP પણ શરૂ કરાવી શકો છો. આ એક સ્મોલ કેપ સ્કીમ હોવાથી તેમાં જોખમ ઘણું વધારે છે. એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડે એક મલ્ટિ-કેપ સ્કીમ લૉન્ચ કરી છે. તેમાં સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર છે. આ સ્કીમમાં રોકેલા પૈસાને લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં રોકવામાં આવશે. આ સિવાય વ્હાઈટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે બેલેન્સ્ડ હાઈબ્રીડ સ્કીમ લૉન્ચ કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમનો NFO 19 ઓક્ટોબર સુધી ખુલ્લો છે. તમે જેટલા પૈસા રોકશો તેના 50 ટકા ઈક્વિટીમાં અને 50 ટકા ડેટમાં જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો