Money9 Gujarati:
જાણીજોઈને લોન ડિફોલ્ટ કરનારા લોકો (Wilful Defaulters) અને કૌભાંડમાં સામેલ હોય તેવી કંપનીઓ સાથે સેટલમેન્ટ કરવાના RBIના નિર્ણયનો વિરોધ બેન્કોના કર્મચારીઓએ કર્યો છે. બેન્કોના બે કર્મચારી સંગઠનો, ઑલ ઈન્ડિયા બેન્ક ઑફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) અને ઑલ ઈન્ડિયા બેન્ક કર્મચારી સંગઠન (AIBEA)એ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના નિર્ણયની ટીકા કરી છે અને તેને નુકસાનકર્તા ગણાવ્યો છે. બંને સંગઠને જણાવ્યું છે કે, આ નિર્ણયથી દેશની બેન્કિંગ વ્યવસ્થાની શાખ ખરાબ થશે. આ બંને સંગઠન સાથે લગભગ 6 લાખ બેન્ક કર્મચારી જોડાયેલા છે.
RBIનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, RBIએ 8 જૂનના રોજ એક સર્ક્યુલર બહાર પાડીને વિલફુલ ડિફૉલ્ટરની લોનને સેટલમેન્ટ કરવાનો આદેશ આપ્યો હતો. સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, જાણીજોઈને બેન્ક લોનમાં ડિફોલ્ટ થયેલા લોકો સાથે બેન્કો કોમ્પ્રોમાઈઝ સેટલમેન્ટ કરી શકશે. તેમની લોનને બેન્કની બેલેન્સ શીટમાંથી ટેકનીકલી રાઈટ-ઓફ કરી શકશે અને ઓછામાં ઓછા 12 મહિનાના કૂલિંગ પીરિયડ બાદ ફરીથી લોન પણ આપી શકશે.
સંબંધિત ખબરઃ માલ્યા, ચોક્સી જેવા વિલફુલ ડિફોલ્ટર માટે બેન્કોના દરવાજા ફરી ખુલશે?
બેન્ક કર્મચારી સંગઠનોનો વિરોધ
AIBOC & AIBEA strongly oppose @RBI's decision to allow Compromise Settlement for Wilful Defaulters pic.twitter.com/kyZoC8oth8
— All India Bank Officers' Confederation (AIBOC) (@aiboc_in) June 13, 2023
RBIના આ નિર્ણયની ટીકા કરીને બેન્ક કર્મચારીઓના સંગઠનોએ જણાવ્યું છે કે, જે લોકો લોન લઈને ઈરાદાપૂર્વક કૌભાંડ આચરવાનું ગુનાઈત કૃત્ય કરે છે, તેમને આ નિર્ણયથી વધુ મોકળાશ મળશે. તેમને બેન્ક પાસેથી લોન લેવાનું અને ફરી કૌભાંડ કરવાનું પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં, જે ગ્રાહકો પોતાની વાસ્તવિક જરૂરિયાત પૂરી કરવા માટે બેન્કમાંથી લોન લે છે અને સમયસર હપ્તા ભરીને લોનની ચૂકવણી કરે છે, તેમની સાથે RBIનો આ નિર્ણય અન્યાયભર્યો ગણાશે. સાચા ગ્રાહક સાથે દગો થયો ગણાશે. બેન્ક કર્મચારીઓના સંગઠને જણાવ્યું છે કે, RBIના નિર્ણયથી દેશમાં બેન્કિંગ સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને બેન્કમાં પૈસા જમા કરાવતા થાપણદારો પણ ભરોસો નહીં કરે.
RBI પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરે બેન્ક કર્મચારીઓના સંગઠનોની માંગણી છે કે, RBI તેના નિર્ણય પર ફેરવિચારણા કરે. સંગઠનો જણાવે છે કે, વિલફુલ ડિફૉલ્ટર્સ સાથે લોન માફ કરવાની સમજૂતી એક રીતે તેમના ગુનાઈત કામને નજરઅંદાજ કરશે અને તેમણે કરેલા કૌભાંડનો બોજ સામાન્ય જનતા તથા બેન્કના કર્મચારીએ વેઠવો પડશે. બેન્ક કર્મચારીઓએ RBIના આ નિર્ણય પર ફરીથી વિચારણા કરવાની માંગણી કરી છે અને જણાવ્યું છે કે, વિલફુલ ડિફૉલ્ટર્સને રાહત આપવાની જગ્યાએ તેમની સામે કડક પગલાં ભરવા જોઈએ. કર્મચારીઓએ એવી પણ માંગણી કરી છે કે, વિલફુલ ડિફૉલ્ટર્સની યાદી જાહેર કરવી જોઈએ અને ઈમાનદાર લોનધારકો તથા થાપણદારોના હિતનું રક્ષણ કરવું જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો