MONEY9 GUJARATI:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાની દિશામાં કામ કરવાનું આહ્વાન કર્યું છે. આ અંગે ડેલોઈટ દક્ષિણ એશિયાના સીઈઓ રોમલ શેટ્ટી કહે છે કે, જો ભારતે 2047 સુધીમાં વિકસિત દેશોની યાદીમાં સ્થાન મેળવવું હોય તો આવતા 24 વર્ષ સુધી 8થી 9 ટકા વૃદ્ધિદર હાંસલ કરવો જરૂરી છે. ભારતનો વર્તમાન આર્થિક વૃદ્ધિદર 6થી 7 ટકાની વચ્ચે છે.
ભારત પાસે સાનુકૂળ તક
શેટ્ટી કહે છે કે, પશ્ચિમના દેશો અત્યારે ‘ચીન પ્લસ વન’ રણનીતિ પર આગળ વધી રહ્યાં છે અને તેનો ફાયદો ભારતને મળી શકે છે. ભારત પાસે વિશાળ જનસમુદાય છે, અન્ય દેશોની તુલનાએ સારો એવો વિસ્તાર છે તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પણ સારી છે. આથી અન્ય દેશોની તુલનાએ ભારત પાસે તક છે. શેટ્ટીએ અંતરિક્ષ ક્ષેત્ર (space sector)નો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ભારતમાં પહેલેથી જ 200 સ્ટાર્ટઅપ છે અને 2040 સુધીમાં આ સેક્ટરમાં 100 અબજ ડૉલરનું રોકાણ થવાની શક્યતા છે.
ભારતે શું કરવું પડશે?
શેટ્ટીએ જણાવ્યું હતું કે, ભારતે વિકાસશીલમાંથી વિકસિત દેશ બનવા માટે ઓછામાં ઓછા 2047 સુધી 8-9 ટકા વાર્ષિક વૃદ્ધિદર હાંસલ કરવો પડશે. મધ્યમ આવક સ્તરથી આગળ વધવું પડશે. અત્યારે જેટલી ગતિ છે તે પૂરતી નથી. દુનિયામાં બહુ ઓછા દેશ છે જે વર્ષે 8-9 ટકાની ઝડપે વૃદ્ધિ કરવા માટે સક્ષમ છે.
તાજેતરમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત થોડાંક વર્ષોમાં જ વિશ્વની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થઈ જશે. ભારતનું અર્થતંત્ર હજુ વધારે વ્યાપક અને સમાવેશક હશે. અત્યારે અમેરિકા, ચીન, જાપાન અને જર્મની બાદ ભારત પાંચમા નંબરનો સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ છે. ગયા મહિને S&P ગ્લોબલે એક રિપોર્ટમાં અંદાજ બાંધ્યો હતો કે, ભારતીય અર્થતંત્રનું કદ 2031 સુધીમાં બમણું થઈને 6.7 ટ્રિલિયન ડૉલર થઈ જશે, જે અત્યારે 3.4 ટ્રિલિયન ડૉલર છે.
શેટ્ટી કહે છે કે, ભારત પાસે કૃષિ, અંતરિક્ષ, સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રિક વ્હિકલ જેવા ઊભરતા ક્ષેત્રોમાં મળી રહેલી તક ઝડપવાની ક્ષમતા છે. ભારતમાં દર વર્ષે 16 હજારથી 18 હજાર કિલોમીટર રોડનું નિર્માણ થઈ રહ્યું છે, જેના લીધે વિકાસ અને વેપારને પ્રોત્સાહન મળશે.
શેટ્ટી કહે છે કે, મલ્ટિનેશનલ કંપનીઓ ‘ચીન પ્લસ વન’ નીતિ પર વિચારી રહી છે. તેનો અર્થ એ થયો કે, આ કંપનીઓ હવે ચીનની બહાર પણ અન્ય દેશમાં પોતાનો આધાર સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપનીઓ પોતાની ફેક્ટરીઓ ચીન સિવાયના અન્ય દેશમાં સ્થાપશે તો તેનો ફાયદો અન્ય દેશોને મળશે. પરંતુ સૌથી વધુ લાભ ભારતને થશે કારણ કે ભારતમાં શ્રમ શક્તિનું પ્રમાણ ઘણું વિશાળ છે. રોજગારી ઝંખતા યુવાનોની ભરમાર છે. આ મોરચે અન્ય દેશોની સ્થિતિ નબળી છે.
શેટ્ટીના મતે, ભારત માટે સૌથી મોટો પડકાર છે ક્રૂડ ઓઈલની આયાત. મોંઘા ભાવે ક્રૂડની આયાત કરવાથી ભારતે અઢળક ડૉલર ચૂકવવા પડે છે. ટેકનોલોજીને કારણે દેશમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લઈને ખતરાની ઘંટડી વાગી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો