Money9 Gujarati:
ગયા મહિને નેશનલ મેડિકલ કાઉન્સિલે (NMC) ડૉક્ટરોને જેનેરિક દવા લખી આપવાનો આદેશ કર્યો હતો, પરંતુ સરકારે આ આદેશને બદલવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રાલયે NMCને આદેશ બદલવાની સૂચના આપી છે. NMCએ ગયા મહિને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર રેગ્યુલેશન એક્ટ 2023 હેઠળ તમામ ડૉક્ટર્સને સારવાર માટે જેનેરિક દવા લખી આપવાનો આદેશ કર્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે, જો ડૉક્ટર દર્દીઓને જેનેરિક દવા નહીં લખી આપે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશ સામે દેશભરનાં ડૉક્ટર્સ અને ડૉક્ટર્સના જૂથે સરકારને રજૂઆત કરી હતી, જેને પગલે સરકારે NMCને આદેશ પાછો ખેંચવાની સૂચના આપી દીધી છે અને હવે ડૉક્ટર્સે જેનેરિક દવા લખી આપવાની જરૂર નથી.
NMCના આદેશ બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને ફાર્મા કંપનીઓના સંગઠને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત લીધી હતી. બેઠક બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, આદેશ લાગુ કરતાં પહેલાં તમામ હિતધારકો સાથે વાતચીત કરવામાં આવશે. બેઠકનાં થોડાક દિવસો બાદ હવે સરકારે NMCને પોતાનો આદેશ બદલી નાખવાની સૂચના આપી છે.
NMCના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે જો ડૉક્ટર્સ જેનેરિક દવા નહીં લખી આપે તો અને નિયમનું પાલન નહીં કરે તો સજા ભોગવવી પડશે. આ આદેશની સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો. NMCના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, જો કોઈ ડૉક્ટર જેનેરિક દવા ન લખી આપે તો 30 દિવસ સુધી તેનું લાયસન્સ રદ થઈ શકે છે. આ આદેશને કારણે જ ડૉક્ટર્સે તેનો વિરોધ કર્યો હતો.
NMCના નિયમમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, દર્દીની સારવાર માટે કોઈ એક કંપનીની દવાને પ્રાથમિકતા આપી શકાશે નહીં, પરંતુ દર્દીને જન ઔષધિ કેન્દ્રમાંથી દવા ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો રહેશે. પરંતુ હવે સરકારની દરમિયાનગીરી બાદ આ તમામ નિયમો હાલ પૂરતા તો મોકૂફ રાખવામાં આવ્યા છે અને ડૉક્ટર્સ જે રીતે કામકાજ કરતા હતા તે યથાવત્ ધોરણે ચાલુ રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો