Money9 Gujarati:
કાર્બન ઉત્સર્જન ઘટાડવાના મોરચે ભારત સરકારની નીતિ અને નિર્ણયમાં ભારોભાર વિસંગતતા જોવા મળી છે. સરકારે એક તરફ સમગ્ર વિશ્વને આશ્વાસન આપ્યું છે કે, તે 2070 સુધીમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે કોલસાનો ઉપયોગ નાબૂદ કરી દેશે પરંતુ, બીજી તરફ સરકાર પોતે જ દેશમાં કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારી રહી છે.
એક બાજુ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવતી કંપનીઓને અને વાહનો ખરીદનારને સબસિડી આપવામાં આવે છે, પરંતુ આ વાહનો જે વીજળી પર ચાલે છે તે વીજળી કોલસો બાળીને ઉત્પન્ન કરવામાં આવે છે. વળી, કોલસો બાળીને પર્યાવરણને નુકસાન પહોંચાડતી કંપનીઓને આવું કરવા માટે સસ્તામાં લોન આપવાની પણ યોજના છે. આમ, પર્યાવરણના મોરચે દુનિયાભરની બેઠકોમાં હાજરી આપતું અને ક્લાયમેન્ટ ચેન્જની ગંભીર અસરને ખાળવાના નિયમોમાં આગળ વધવાની પહેલ કરતું ભારત તેનાથી વિપરિત નીતિ-નિયમો પર આગળ વધી રહ્યું છે.
ક્લાયમેન્ટ ચેન્જને કારણે દુનિયામાં સૌથી વધુ નુકસાન પહોંચતું હોય તેવા ટોપ-5 દેશોમાં ભારત સામેલ હોવા છતાં ભારત સરકાર પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવી યોજનાઓને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર કોલસા-આધારિત નવા થર્મલ પાવર પ્લાન્ટને લોન આપવાના નિયમોમાં રાહત આપવાની યોજના અંગે પણ વિચારી રહી છે.
કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે 22 નવેમ્બર, બુધવારે જણાવ્યું હતું કે, વીજળીની વધતી માંગને ધ્યાનમાં રાખીને સરકારે કોલસા આધારિત 60,000 મેગાવોટ સુધીની વીજ ઉત્પાદન ક્ષમતા ઉમેરવાનો નિર્ણય લીધો છે. આ ક્ષમતા અત્યારે બાંધકામ હેઠળની 27,000 મેગાવોટ ક્ષમતા ઉપરાંત છે.
પાવર અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રધાન સિંહે પાવર સેક્ટરના વિવિધ હિસ્સેદારો સાથે થર્મલ પાવર ઉત્પાદન ક્ષમતામાં વધારાની સમીક્ષા કરવા અને ઉદ્યોગને કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે સુવિધા આપવા માટે બેઠક યોજી હતી.
તેમણે બેઠકમાં કહ્યું, “અમારી પાસે 27,000 મેગાવોટની ક્ષમતા નિર્માણાધીન છે. અમે વિચાર્યું છે કે અમે 25,000 મેગાવોટ વધુ ઉમેરીશું. પરંતુ અમે નક્કી કર્યું છે કે અમે ઓછામાં ઓછી 55,000થી 60,000 મેગાવોટની કોલસા આધારિત ક્ષમતા પર કામ શરૂ કરીશું. અમે આ ક્ષમતા ઉમેરવાનું ચાલુ રાખીશું કારણ કે માંગ સતત વધી રહી છે.”
આ બેઠકમાં પાવર મંત્રાલય, રાજ્ય સરકારો, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, NTPC, REC, PFC, BHEL અને અન્ય જાહેર ક્ષેત્રના સાહસોના અધિકારીઓએ હાજરી આપી હતી. સ્વતંત્ર વીજ ઉત્પાદકો સહિત ઉદ્યોગના હિતધારકોએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
ઉર્જા મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2022-32 માટે નેશનલ પાવર પ્લાનના અંદાજ મુજબ 2031-32 સુધીમાં 2,83,000 મેગાવોટ ક્ષમતાની જરૂર પડશે. હાલમાં કોલસા અને લિગ્નાઈટ આધારિત ક્ષમતા 2,14,000 મેગાવોટ છે.
સિંહે કહ્યું કે રાજ્યોએ તેમની કોલસા આધારિત વીજ ઉત્પાદન ક્ષમતાની ઉપલબ્ધતા જાળવી રાખવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે થર્મલ પાવર પ્લાન્ટનું કોઈપણ નવીનીકરણ, આધુનિકીકરણ અથવા વિસ્તરણ સમયસર કરવામાં આવશે.
તેમણે કહ્યું, “જો તમે થર્મલ પાવર જનરેશન ક્ષમતા નહીં જાળવી રાખો અને તેના બદલે કેન્દ્ર પાસેથી પાવર મેળવવાની અપેક્ષા રાખશો, તો તમારી ઈચ્છા પૂરી થવાની નથી. અમે એવા રાજ્યોને વધારાની શક્તિ ફાળવીશું જે તેમની ક્ષમતા જાળવી રહ્યા છે. જેઓ ક્ષમતા વધારવા માંગે છે તેઓ આમ કરી શકે છે.
સિંહે કહ્યું, “અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને કારણે દેશની વીજળીની માંગ ઝડપથી વધી છે. દેશમાં 24 કલાક વીજળીની ઉપલબ્ધતા જરૂરી છે અને અમે વીજળીની ઉપલબ્ધતા સાથે કોઈ બાંધછોડ કરવાના નથી. આ શક્તિ એકલા રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી મેળવી શકાતી નથી.” દરમિયાન, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) વિક્રેતાઓ જેમ કે GE અને L&Tએ બિડિંગ પ્રક્રિયા અંગે તેમની ચિંતા વ્યક્ત કરી હતી.
નિવેદન અનુસાર, તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવશે. અન્ય સાધનોના સપ્લાયર્સે બજારમાં ધિરાણનો અભાવ, બેંક ગેરંટી, પાત્રતાની જરૂરિયાતો વગેરે જેવા મુદ્દા ઉઠાવ્યા હતા.
પાવર સેક્રેટરી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, “આપણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે દેશને 2031-32 સુધીમાં ઓછામાં ઓછા 80,000 મેગાવોટની ક્ષમતા વધારાની જરૂર છે. “વધતી જતી વીજ માંગ અને હવામાનની ઘટનાઓને જોતાં, બિન-સૌર કલાકો (સૌર ઊર્જા ઉત્પન્ન ન થાય તે સમયગાળો) એક ગંભીર પડકાર બની શકે છે.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો