MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
સોના-ચાંદીમાં તેજીઃ માંગ પર અસર પડી સોનાના ભાવમાં છેલ્લાં એક પખવાડિયામાં સાતેક ટકાનો વધારો થયો છે. 17 માર્ચ, શુક્રવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 60,150 રૂપિયા નોંધાયો હતો, જે ઓલ-ટાઈમ હાઈ સપાટીની ઘણી નજીક છે. ઝવેરીઓનું કહેવું છે કે, ઊંચા ભાવને કારણે સોનાની માંગ પર અસર પડી છે. છેલ્લાં 10 દિવસમાં સમગ્ર દેશમાં સોનાની માંગ 40 ટકા ઘટી ગઈ છે. ગોલ્ડના સૌથી મોટા માર્કેટ ગણાતા સાઉથ ઈન્ડિયાના બજારોમાં તો માંગ 60 ટકા ઘટી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ઊથલપાથલને કારણે ગોલ્ડને ટેકો મળ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિ ઔંશ કિંમત 1,900 ડૉલરના સાયકોલોજિકલ લેવલને ક્રોસ થઈ ગઈ છે. અત્યારે ગોલ્ડ 1,930 ડૉલરની આસપાસ ચાલી રહ્યું છે અને શક્યતા છે કે, કિંમત 2,000 ડૉલરે પહોંચી જશે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ તેજી છે અને એક કિલો ચાંદીનો ભાવ 68,700 રૂપિયાએ પહોંચી ગયો છે.
લીંબુંના ભાવમાં જબરજસ્ત તેજી લીંબું લાલચોળ તેજી જામી છે. ગરમીની સીઝન શરૂ થતાંની સાથે જ લીંબુંના ભાવ વધવાનું શરૂ થઈ ગયું છે. શુક્રવારે મધ્ય પ્રદેશનાં ધાર જિલ્લાનાં મનાવર શહેરના સાપ્તાહિક બજારમાં એક કિલો લીંબું 300 રૂપિયાના ભાવે વેચાયા હતા. એટલે કે, એક મોટી સાઈઝનું લીંબું 20 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. કાચા લીંબું અઢીસો રૂપિયાના ભાવે વેચાઈ રહ્યાં છે. થોડાંક દિવસ અગાઉ એક કિલો લીંબુનો ભાવ 80 રૂપિયા હતો, પરંતુ ચૈત્રી નવરાત્રિ અને રમઝાન મહિનો નજીક હોવાથી તેમજ ગરમી વધવાથી રસવાળા ફળના ભાવ વધી રહ્યાં છે અને તેમાં લીંબું સૌથી આગળ છે. ગુજરાતમાં માવઠાનો માહોલ હોવા છતાં સૌથી વધુ ભાવ દાહોદમાં એક ગુણીએ 2,800 રૂપિયા બોલાયો છે. અમદાવાદમાં હોલસેલ માર્કેટમાં ગુણીએ 2,200 રૂપિયા એટલે કે, કિલોએ 110 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે.
મરચાં અને મસાલાની મોંઘવારીઃ ભાવમાં ભડકો મરચાંની મોંઘવારી તીખાશ પકડી રહી છે. ઉનાળો એટસે મસાલા અને અથાણા તૈયાર કરવાની અને બારેમાસ માટે મરચાં અને મસાલા ભરવાની સીઝન. આ વખતે મરચાંનાં ભાવ સાંભળીને તમારી આંખોમાં પાણી આવી જશે. હાલમાં એક મણ મરચાંનો ભાવ 4,000થી 6,000ની વચ્ચે બોલાઈ રહ્યો છે. છૂટક બજારમાં કિલોએ ભાવ 100થી 300 રૂપિયા વધી ગયો છે અને શક્યતા છે કે, ભાવમાં હજુ વધારો થશે. આ વખતે ગોંડલિયા મરચાં સહિતના મરચાંની નિકાસ વધી છે. ઉપરાંત વાતાવરણ વારંવાર બદલાઈ રહ્યું છે. માવઠાને કારણે ઉનાળું ઉત્પાદન પર અસર પડી છે. મજૂરો મોંઘા થઈ ગયા છે. મરચાંનાં છોડમાં રોગચાળો નડી ગયો છે, એટલે આ તમામ પરિબળોને લીધે મરચાં મોંઘા થઈ રહ્યાં છે. મરચાંની સાથે સાથે મસાલામાં પણ તેજી છે. જીરું, વરિયાળી, ધાણા, હળદર જેવા મસાલાના ભાવ 30થી 35 ટકા વધ્યા છે. જીરુંમાં તો 50 ટકાનો વધારો થયો છે.
ઘઉંની કિંમતમાં કિલોએ થયો Rs 6-8નો ઘટાડો છેલ્લાં બે મહિનામાં ઘઉંના ભાવમાં કિલોએ 6થી 8 રૂપિયાનો ઘટાડો થયો છે. સરકારે ઓપન માર્કેટમાં ઘઉંનો મોટો જથ્થો વેચવાનું શરૂ કર્યું હોવાથી ઘઉંના ભાવ નીચે ઉતર્યાં છે. અત્યારે દેશનાં મોટા ભાગના રાજ્યોમાં 1 કિલો ઘઉંની સરેરાશ કિંમત 30 રૂપિયાની નીચે પહોંચી છે જ્યારે 1 કિલો ઘઉંના લોટનો ભાવ 35 રૂપિયાની નીચે આવી ગયો છે. ગયા વર્ષથી ઘઉંની મોંઘવારીએ માજા મૂકી હતી અને કિલોએ ભાવ 40થી 45 રૂપિયા પહોંચી ગયો હતો. પરંતુ ઘઉંનું ઉત્પાદન વધ્યું હોવાથી અને સરકારે નિકાસ પર પ્રતિબંધ સહિતનાં પગલાં ભર્યા બાદ ઓપન માર્કેટમાં માલ વેચવાનું શરૂ કર્યું હોવાથી ભાવને નીચે લઈ જવામાં મદદ મળી છે.
FY24માં છૂટક મોંઘવારીનો દર ઘટીને 5% થશેઃ ક્રિસિલ રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું છે કે, છૂટક મોંઘવારીનો દર ધીમે ધીમે ઘટશે. ચાલુ નાણાકીય વર્ષની તુલનાએ 2023-24માં રિટેલ ફુગાવો ઘટીને 5 ટકાએ પહોંચશે. ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો સરેરાશ દર 6.8 ટકા છે. ફુગાવો ઘટવા માટે એજન્સીએ ઊંચી બેઝ ઈફેક્ટ અને કોમોડિટી તથા ક્રૂડના ભાવમાં ઘટાડાને જવાબદાર ગણાવ્યા છે. ક્રિસિલે જણાવ્યું છે કે, જો રવિ પાક સારો થશે અને ચોમાસું સામાન્ય રહેશે તો, ખાદ્ય મોંઘવારી નીચે જઈ શકે છે. પરંતુ અત્યારે આકરી ગરમી પડશે તો, ખાદ્ય મોંઘવારી વકરી શકે છે. ફેબ્રુઆરી મહિના માટે સરકારે છૂટક મોંઘવારીનો દર 6.44 ટકા નોંધ્યો છે.
એરટેલના 5G ગ્રાહકોને મળશે અનલિમિટેડ ડેટા મુકેશ અંબાણીએ 399ના ફેમિલી પોસ્ટપેઈડ પ્લાન લૉન્ચ કરીને ભાવયુદ્ધનો પલીતો ચાંપ્યો છે ત્યારે, કટ્ટર હરીફ ભારતી એરટેલે 5G ગ્રાહકો માટે અનલિમિટેડ ડેટા ઑફરની જાહેરાત કરી છે. એરટેલે જણાવ્યું છે કે, તેણે તમામ પ્લાન્સ પર લાગેલી ડેટા વપરાશની મર્યાદા દૂર કરી છે. એટલે કે, હવેથી એરટેલના તમામ પોસ્ટપેઈડ ગ્રાહકો અને રૂ.239 કે તેનાથી વધુ કિંમતના ડેટા પ્લાન ખરીદનારા પ્રિપેઈડ ગ્રાહકોને આ ઓફરનો લાભ મળશે. છેલ્લાં દોઢેક વર્ષથી દેશમાં મોબાઈલ ટેરિફ અને ડેટાના ભાવમાં વધારો થયો છે ત્યારે જિયો અને એરટેલની નવી જાહેરાતથી ગ્રાહકોને થોડીક રાહત મળશે.
અદાણી ગ્રૂપને રાહતઃ 3 કંપની ASMમાંથી બહાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે અદાણી ગ્રૂપની ત્રણ કંપની – અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર અને અદાણી વિલ્મરને ટૂંકા ગાળાના એડિશનલ સર્વેલન્સમાંથી દૂર કરી છે. બંને સ્ટોક એક્સચેન્જે હજુ તો 9 દિવસ અગાઉ આ કંપનીઓને ASM હેઠળ મૂકી હતી અને હવે તેમાંથી દૂર કરી દીધી છે. જો કોઈ કંપનીને ASM હેઠળ મૂકવામાં આવે તો રોકાણકારોએ ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે 100 ટકા અપફ્રન્ટ માર્જિન મૂકવું પડે છે. પરંતુ હવે અદાણી જૂથની કંપનીઓ આ સર્વેલન્સમાંથી બહાર નીકળી જતાં રોકાણકારોએ ઈન્ટ્રા-ડે ટ્રેડિન્ગ માટે માત્ર 50 ટકા માર્જિન રાખવું પડશે. BSE અને NSEએ ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્રને પણ ASM માળખામાંથી દૂર કરી છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઇઝિસ અને અદાણી વિલ્મર 1.63 ટકા જ્યારે અદાણી પાવરના શેર 0.55 ટકા ટકા વધ્યા હતા. ટાટા ટેલિ.નો શેર અડધો ટકા ઘટ્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો