MONEY9: ગરીબોને મફતમાં આપવા માટે સરકાર પાસે અનાજનો બહુ ઓછો જથ્થો બચ્યો છે…, એટલે લાગે છે કે, ડિસેમ્બરમાં ફ્રી રાશન સ્કીમના પાટિયા પડી જશે. મફતમાં અનાજ આપવું પડે તેવું કોઈ કારણ પણ નજીકના ભવિષ્યમાં દેખાતું નથી… ઓછામાં પૂરું, ઓપન માર્કેટમાં ઘઉંની મોંઘવારી ફુલીફાલી છે, આથી, ઘઉંના ભાવને અંકુશમાં રાખવા અને માર્કેટમાં સપ્લાયને સામાન્ય રાખવા માટે સરકાર પોતાનો ગોદામોમાં પડેલા અનાજનો જથ્થો બચાવીને રાખશે અને પછી બજારમાં વેચે તેવી શક્યતા છે.
છેલ્લાં બે મહિના દરમિયાન, ઓપન માર્કેટમાં ઘઉંનો ભાવ 13 ટકાથી પણ વધુ ઉંચકાયો છે. બે મહિના અગાઉ દિલ્હીમાં એક ક્વિન્ટલ ઘઉં 2,560 રૂપિયામાં વેચાતા હતા અને અત્યારે કિંમત 2,900 રૂપિયાને પાર થઈ ગઈ છે. ઘઉંના ભાવ વધ્યા હોવાથી ઘઉંનો લોટ પણ મોંઘો થઈ ગયો છે. આમ, ઘઉંની સાથે સાથે લોટની મોંઘવારી સરકાર પર દબાણ વધારી શકે છે અને સરકારને ગોદામોમાં પડેલું અનાજ ઓપન માર્કેટમાં વેચવા મજબૂર કરી શકે છે.
બજારમાં તો અટકળો વહેતી થઈ છે કે, આગામી દિવસોમાં સરકાર પોતાના ગોદામોમાંથી 20થી 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં વેચી શકે છે. પરંતુ, સરકારી વખારોમાં તો ઘઉંનો જથ્થો પહેલેથી જ ઓછો છે અને ઓપન માર્કેટમાં ઘઉં વેચશે તો, સરકાર પાસે પડેલો જથ્થો ઘણો બધો ઓછો થઈ જશે.
સરકારી જથ્થાની વાત કરીએ તો, પહેલી નવેમ્બર સુધીમાં સેન્ટ્રલ પુલમાં કુલ 210 લાખ ટન ઘઉંનો જથ્થો નોંધાયો હતો, જે 2021ની તુલનાએ 50 ટકા ઓછો છે. એટલું જ નહીં, નવેમ્બરના પ્રારંભિક દિવસોમાં જેટલો જથ્થો નોંધાયો છે, તે છેલ્લાં 14 વર્ષનું તળિયું દર્શાવે છે…
આમ, ઘઉંની મોંઘવારીના અને સપ્લાયના આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, ફ્રી રાશન સ્કીમમાં ઘઉંનું વિતરણ થઈ શકે તેવો અવકાશ જ નથી. હવે ધારો કે, ફ્રી રાશન સ્કીમ ચાલુ રાખે અને તેમાં ચોખાનું વિતરણ કરવું હોય તો, સરકારી ગોદામોમાં ચોખાનો જથ્થો પણ 4 વર્ષના તળિયે પહોંચી ગયો છે. સરકારે આ જથ્થો વધારવા માટે તાજેતરમાં ખરીદી વધારી છે…, પરંતુ, સરકાર ફ્રી રાશન સ્કીમ માટે ચોખાનો સપ્લાય વધારે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
સરકારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર સુધી ફ્રી રાશન સ્કીમ લંબાવી હતી. જોકે, આ બંને રાજ્યોમાં ચૂંટણી પતી ગઈ છે અને ડિસેમ્બર પણ પતી ગયો છે. આવતા સાતથી આઠ મહિના સુધી અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની નથી. એટલે એક વાત સ્પષ્ટ છે કે, અત્યારે ફ્રી રાશન સ્કીમ ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી, કારણ કે ચૂંટણીમાં ફાયદો લેવા આડે હજુ ઘણા મહિના બાકી છે.
આમ, તમામ આંકડા અને પરિસ્થિતિ, સરકારને ફ્રી રાશન સ્કીમ બંધ કરવા તરફ ધકેલી રહી છે અને એક વખત આ સ્કીમ બંધ થશે એટલે ફરી શરૂ થવાની શક્યતા પણ નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો