Vijay Parmar:
2023માં ટામેટાં અને ડુંગળીની મોંઘવારી ચર્ચામાં રહી… જીરું, હળદર જેવા મસાલાની મોંઘવારીના સમાચાર પણ ચમકતા રહ્યાં. વર્ષના અંતે લસણની મોંઘવારીના સમાચાર ચર્ચામાં છે. છેલ્લાં એક મહિનામાં છૂટક બજારમાં લસણની કિંમત પ્રતિ કિલો 300-400 રૂપિયાએ પહોંચી ગઈ છે. એકાદ મહિના અગાઉ ડુંગળીની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જોકે, આ બધાની વચ્ચે તુવેરની દાળની મોંઘવારીના સમાચાર દબાઈ ગયા છે. વાસ્તવમાં તુવેરની કિંમત પણ આભ આંબી રહી છે. કઠોળ, મસાલા અને અનાજના ભાવ છેલ્લાં 1 વર્ષથી ઊંચા સ્તરે છે.
નવેમ્બર 2023માં દાળની મોંઘવારીનો દર 20.23 ટકાના ઊંચા સ્તરે રહ્યો હતો. ગામડાંમાં દાળના ફુગાવાનો દર 19.21 ટકા જ્યારે શહેરોમાં દાળના ફુગાવાનો દર 22.34 ટકા રહ્યો હતો. મસાલાની વાત કરીએ તો, નવેમ્બરમાં મસાલાનો ફુગાવો 21.55 ટકાના ઊંચા સ્તરે રહ્યો હતો. ગામડાંમાં મસાલાની મોંઘવારીનો દર 21.97 ટકા જ્યારે શહેરોમાં આ દર 20.62 ટકા નોંધાયો હતો.
એક કિલો તુવેરની દાળમાં છેલ્લાં એક વર્ષમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. ભારતના ઘણા રાજ્યોમાં તુવેર દાળ એક મુખ્ય ખોરાક છે. ગ્રાહક બાબતોના વિભાગના આંકડા અનુસાર, ચણાની દાળની કિંમત પણ ભડકે બળી રહી છે. છેલ્લાં એક વર્ષમાં ચણાની દાળમાં કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે.
દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો ગંભીર ચિંતાનો વિષય છે. ખાદ્ય ફુગાવાને ડામવા માટે સરકાર વિવિધ પગલાં પણ ભરી રહી છે. ચોખા અને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આયાત પર ડ્યૂટી નાખવામાં આવી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંગ્રહખોરી ડામવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાંથી ખરીદી વધારવામાં આવી છે. ટામેટાં મોંઘા થયા ત્યારે સરકારે સસ્તામાં ટામેટાં વેચ્યા હતા. ઘઉંનો લોટ પણ સસ્તામાં વેચવા માટે ભારત આટા બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે. જોકે, આ તમામ પ્રયાસો બાદ પણ ખાદ્ય મોંઘવારી અંકુશમાં આવતી નથી.
મોંઘવારીના તાજા આંકડા દર્શાવે છે કે, નવેમ્બર 2023માં શાકભાજી, ફળો, કઠોળ અને ખાંડના ભાવ વધવાથી છૂટક ફુગાવાનો દર 5.55 ટકા વધ્યો હતો જ્યારે ઓક્ટોબર મહિનામાં આ ફુગાવાનો દર 4.87 ટકા હતો. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાનો દર નવેમ્બરમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. તેની અગાઉના ત્રણ મહિનામાં ફુગાવો ઘટ્યો હતો અને 5 ટકાની નીચે પહોંચ્યો હતો, પરંતુ નવેમ્બરમાં તે 6 ટકાની RBIની અપર લિમિટની નજીક પહોંચી ગયો હતો. આ સમયગાળા દરમિયાન ઈંધણના ભાવમાં કોઈ વધારો થયો ન હોવા છતાં, નવેમ્બરમાં ખાદ્યપદાર્થોની કિંમતનો ફુગાવો 8.7 ટકા રહ્યો હતો, જે ઓક્ટોબરમાં 6.61 ટકા હતો.
કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાની બાસ્કેટમાં ખાદ્ય ફુગાવાનો હિસ્સો લગભગ 50 ટકા છે. ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવો 6.6 ટકા હતો, પરંતુ નવેમ્બરમાં તે વધીને 8.7 ટકા રહ્યો છે. નવેમ્બરમાં શાકભાજીનો ફુગાવાનો દર 17.7 ટકા રહ્યો હતો. લસણ અને ડુંગળીના ભાવ વધવાથી નવેમ્બરમાં શાકભાજીની મોંઘવારી વધી હતી. દાળ અને કઠોળનો ફુગાવાનો દર પણ 20.23 ટકા જેટલા ઊંચા સ્તરે નોંધાયો છે. તુવેર, અડદ, મગ, ચણા સહિતના કઠોળના ભાવ અત્યારે ઊંચા છે. મસાલા પણ મોંઘાદાટ છે અને તેનો છૂટક મોંઘવારીનો દર 21.55 ટકા નોંધાયો છે. અનાજનો ફુગાવાનો દર 10.27 ટકા રહ્યો છે.
સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન (MOSPI) મંત્રાલયનો ડેટા દર્શાવે છે કે, ફેક્ટરી પ્રવૃત્તિ નવેમ્બરમાં ઝડપી બની હતી. પરંતુ સતત વધતી જતી મોંઘવારીને કારણે GDPમાં વધારો થવાનો ફાયદો દરેકને પહોંચતો નથી, કારણ કે મોંઘવારીને કારણે ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી રહી છે. નવેમ્બરમાં માત્ર CPI ફુગાવો ચિંતાજનક સ્તરે જ નહોતો, પરંતુ ગ્રામીણ બજારોમાં શહેરો કરતાં ફુગાવાનો દર ઊંચો રહ્યો હતો. નવેમ્બરમાં ગ્રામ્ય ફુગાવો 5.85 ટકા જ્યારે શહેરી ફુગાવો 5.26 ટકા રહ્યો છે. ઓક્ટોબરમાં ગ્રામ્ય ફુગાવાનો દર 5.12 ટકા જ્યારે શહેરી ફુગાવાનો દર 4.62 ટકા હતો.
રેટિંગ એજન્સી CARE રેટિંગ્સે ચેતવણી આપી છે કે અનાજ અને કઠોળ જેવા કેટલાક ખાદ્યપદાર્થોના ભાવમાં સતત વધારો થવાને કારણે ફુગાવો વધવાનું જોખમ છે. આ કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી લોનના દરમાં કોઈ ઘટાડો કર્યો નથી. સેન્ટ્રલ બેંક પહેલેથી જ કહી ચૂકી છે કે મોંઘવારી ઘટાડવી તેની પ્રાથમિકતા છે અને આ માટે હોમ લોન, કાર લોન અને એજ્યુકેશન લોનના EMIમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો અત્યારે દૂરનું સપનું લાગે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો