MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
FMCG કંપનીઓએ ભાવમાં કર્યો વધારો સરકારી ચોપડે તો મોંઘવારી ઘટી રહી છે, પરંતુ વાસ્તવિક ચિત્ર અલગ છે. દેશની ત્રણ મુખ્ય FMCG કંપની – HUL, કોલગેટ પામોલિવ અને મોન્ડેલીઝ ઈન્ડિયાએ ભાવમાં 2 ટકાથી લઈને 58 ટકા સુધીનો વધારો કર્યો છે. એટલે હવે, તમારું ગ્રોસરી બિલ વધી જશે. છેલ્લાં એક વર્ષમાં FMCG કંપનીઓ દ્વારા ત્રીજી વખત ભાવ વધારવામાં આવ્યા છે. વ્હીલ, વિમ, સર્ફ એક્સેલ અને રિન બાર્સ જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સ ધરાવતી HULએ ભાવમાં 1 રૂપિયાથી લઈને 22 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે અમુક આઈટમના ભાવ યથાવ્ત રાખ્યા છે, પરંતુ તેનું વજન ઘટાડી દીધું છે. બોર્નવિટા, ઓરિઓ અને ચોકોલેર્સ જેવી બ્રાન્ડ્સ ધરાવતી કંપની મોન્ડેલીઝ ઈન્ડિયાએ કિંમતમાં 3.5 ટકાથી 17 ટકાનો વધારો કર્યો છે, એટલે કે, તેની પ્રોડક્ટ્સ 4 રૂપિયાથી લઈને 10 રૂપિયા વધી ગઈ છે. જોકે, કંપનીએ પર્કની કિંમત યથાવત્ રાખી છે, પણ ગ્રામેજ ઘટાડી દીધું છે. કોલગેટ પામોલિવે ભાવમાં 5 ટકાથી 58 ટકાનો એટલે કે, 2 રૂપિયાથી 49 રૂપિયાનો વધારો કર્યો છે.
સોનામાં તેજીનો ચળકાટ સોનાના ભાવ નવા વિક્રમ બનાવી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે ગોલ્ડનો ભાવ 13 જાન્યુઆરીએ 1,900 ડૉલરને પાર થઈ ગયો છે. ગ્લોબલ લેવલે ગોલ્ડના ગોલ્ડન દિવસો શરૂ થયા હોવાથી ભારતમાં પણ સોનું સોનેરી સફરે નીકળ્યું છે. 13 જાન્યુઆરીએ વાયદા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 56,245ની નવી ટોચે પહોંચી ગયો હતો. અગાઉ ઓગસ્ટ 2020માં ફ્યુચર કોન્ટ્રાક્ટમાં ગોલ્ડનો ભાવ 56,191ને સ્પર્શ્યો હતો, પરંતુ શુક્રવારે આ લેવલ પણ તૂટી ગયું હતું. દુનિયાભરમાં મંદીની વાતો થઈ રહી છે એટલે રોકાણકારો સેફ ઈન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ પર પસંદગી ઉતારી રહ્યાં છે. ગોલ્ડ માર્કેટ પર નજર રાખતા એક્સપર્ટ્સનું કહેવું છે કે, 2023માં 10 ગ્રામ સોનાનો ભાવ 65,000 રૂપિયાને સ્પર્શી જશે. 2022ના નવેમ્બર મહિનાથી શરૂ થયેલી ગોલ્ડની તેજીને કારણે માંગ પર અસર પડી છે. પરિણામે, ભારતની ગોલ્ડની આયાત પણ ઘટી છે. 2022માં આપણે 706 ટન સોનું આયાત કર્યું હતું, જેનું પ્રમાણ 2021માં 1,068 ટન હતું. ડિસેમ્બરમાં તો સોનાની આયાત 79 ટકા ઘટી હતી.
સરકાર 10 લાખ ટન તુવેરની આયાત કરશે દાળના ભાવમાં ફરી વધારો ના થાય તે માટે સરકારે ખાનગી વેપાર દ્વારા 10 લાખ ટન તુવેરની દાળ આયાત કરવાની યોજના ઘડી છે. દાળની અછત સર્જાવાના સંકેત મળી રહ્યાં હોવાથી, સરકારે આયાત વધારવાની યોજના ઘડી છે. કૃષિ મંત્રાલયના પ્રારંભિક આંકડા અનુસાર, પાક વર્ષ 2022-23માં અડદનું ઉત્પાદન 43.5 લાખ ટન ઘટીને 38.9 લાખ ટન થવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2021-22માં ભારતે લગભગ 7.6 લાખ ટન અડદની આયાત કરી હતી. મોટાભાગની અડદની દાળ આફ્રિકા અને મ્યાનમારમાંથી આયાત થાય છે. આ દેશોમાં કઠોળની ઉપલબ્ધતા આશરે 11-12 લાખ ટન હોવાનો અંદાજ છે, એટલે, ભારત ત્યાંથી પૂરતી માત્રામાં આયાત કરી શકશે.
Yes Bank, J&K Bankએ વધાર્યાં FDના વ્યાજ દર વધતા વ્યાજ દરના માહોલમાં બેન્કો ડિપોઝિટના અને લોનના રેટમાં વધારો કરવા લાગી છે. જેમકે, યસ બેન્કે નવી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ લૉન્ચ કરી છે. યસ બેન્કની 25 મહિનાની મુદત ધરાવતી FD પર હવે સાડા સાત ટકા વ્યાજ મળશે. જો તમે સીનિયર સીટિઝન હશો, તો બેન્ક તમને 8 ટકા વ્યાજ આપશે. આ સિવાય, 35 મહિનાની મુદત ધરાવતી FD પર બેન્ક 8.25 ટકા વ્યાજ ઑફર કરી રહી છે. અન્ય એક ધિરાણકર્તા, જમ્મુ એન્ડ કશ્મીર બેન્કે પણ FDના ઈન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરી છે. નવા રેટનો લાભ લેવા માટે તમારે 2 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની FD કરાવવી પડશે. બેન્કે FDના વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. હવે, 18 મહિનાની FD કરાવશો, તો બેન્ક તમને 7.25 ટકા લેખે વ્યાજ ચૂકવશે. IDBI બેન્કે તમામ મુદતની લોનના ઈન્ટરેસ્ટ રેટમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. આ બેન્કનો વન-યર MCLR વધીને 8.40 ટકા થયો છે. એટલે હવે, આ બેન્કની તમામ પ્રકારની કન્ઝ્યુમર લોન મોંઘી થઈ જશે.
હિમાચલ પ્રદેશ સરકારે જૂની પેન્શન સ્કીમ શરૂ કરી કોંગ્રેસે ચૂંટણી વખતે આપેલું વચન પાળ્યું છે. હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે જૂની પેન્શન સ્કીમ ફરી શરૂ કરી છે. હિમાચલ પ્રદેશનાં સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે, OPS ફરી શરૂ કરવામાં આવી છે. અત્યારે જેટલા પણ સરકારી કર્મચારી NPS એટલે કે, ન્યૂ પેન્શન સ્કીમમાં છે, તેમને OPS હેઠળ સમાવવામાં આવશે. ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ જૂની પેન્શન સ્કીમ શરૂ કરવાનું વચન આપ્યું હતું અને ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સૌપ્રથમ રાજસ્થાન સરકારે જૂની પેન્શન સ્કીમ ફરી શરૂ કરી હતી, ત્યારબાદ છત્તીસગઢ, ઝારખંડ અને પંજાબમાં પણ જૂની પેન્શન સ્કીમ શરૂ થઈ હતી.
31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2023 રજૂ કરશે. બે તબક્કામાં યોજાનારા બજેટ સત્રમાં સામાન્ય રજા સહિત 66 દિવસમાં 27 બેઠકો યોજાશે. પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો 6 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. આ વખતના બજેટને લઈને લોકો આશાવાદી છે. નિષ્ણાતોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે, સરકાર નોકરીથી લઈને બાળકોના શિક્ષણ અને હોમ લોનથી લઈને હેલ્થ ઈન્સ્યોરન્સ સુધીના નિયમોમાં ફેરફાર કરશે. સરકાર નવા વિસ્તારો માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ એટલે કે PLI સ્કીમની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત, એક જિલ્લા એક ઉત્પાદન યોજનાને પ્રોત્સાહન આપવા માટે નવી જાહેરાત થઈ શકે છે.
એક્ટિવ ELSSને પેસિવમાં કન્વર્ટ કરી શકાશે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ કંપનીને તેની એક્ટિવ ELSSને પેસિવ સ્કીમમાં કન્વર્ટ કરવાની છૂટ આપી છે. ELSS એટલે ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ્સ. આ સ્કીમમાં રોકાણ કરવાથી સેક્શન એઈટી-સી હેઠળ ટેક્સ બચાવી શકો છો. કંપની આ કન્વર્ઝન કરે તે દરમિયાન, જો રોકાણકાર ઈચ્છે તો તેના યુનિટ રીડિમ કરી શકશે અને તેના માટે કોઈ એગ્ઝિટ લોડ પણ નહીં લાગે. રોકાણકારોને નિર્ણય લેવા માટે સમય આપવામાં આવશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ નિર્ણયથી રોકાણકારોની બચતમાં સારો એવો વધારો થશે, કારણ કે, પેસિવ સ્કીમ ચલાવવાનો ખર્ચો સાવ ઓછો હોય છે. પેસિવ ELSSમાં પણ ટેક્સ બેનિફિટ મળતો રહેશે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ એક્ટિવ સ્કીમને પેસિવ સ્કીમમાં કન્વર્ટ કરતાં પહેલાં રોકાણકારોને સંપૂર્ણ વિગતો આપવી પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો