Money9 Gujarati:
દિવાળીના તહેવારોમાં સમગ્ર દેશમાં લોકોએ સારી એવી ખરીદી કરી છે. શહેરોમાં મોડી રાત સુધી બજારો ધમધમતા જોવા મળ્યાં હતા અને 3.75 લાખ કરોડ રૂપિયાનો વિક્રમજનક કારોબાર થયો હતો. વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જણાવ્યા પ્રમાણે, ધનતેરસથી દિવાળી સુધીમાં પોણા ચાર લાખ કરોડ રૂપિયાનો કારોબાર થયો છે અને હજુ ગોવર્ધન પૂજા, ગુજરાતી નૂતન વર્ષ, ભાઈ બીજ તથા છઠ્ઠ પૂજા જેવા તહેવારો બાકી છે. આ દિવસો દરમિયાન વધુ 50,000 કરોડ રૂપિયાનો કારોબાર થશે. આમ, ધનતેરસથી છઠ્ઠા પૂજા સુધીના એક સપ્તાહમાં 4.25 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થવાનો અંદાજ છે.
ભારતીય ઉત્પાદનોની માંગ
CAITના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં ભારતીય માલસામાનનું ખરીદ-વેચાણ નોંધાયું છે. મેઈડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોની માંગ જોવા મળી છે. ચાઈનીઝ ચીજવસ્તુઓની માંગ ઘટવાથી ચીની કંપનીઓએ લગભગ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે મૂલ્યનો ધંધો ગુમાવ્યો છે, એમ CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું.
છેલ્લાં કેટલાક વર્ષોથી દિવાળી દરમિયાન લગભગ 70 ટકા બજાર પર ચાઈનીઝ ઉત્પાદનોનો કબજો રહેતો હતો, પરંતુ આ વખતે સ્થાનિક ચીજવસ્તુઓની ડિમાન્ડ જોવા મળી છે. સરકારે ‘વોકલ ફૉર લોકલ’ માટે કરેલી હાકલને પગલે લોકોએ ભારતીય ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખ્યો છે. વેપારીઓએ પણ ચાઈનીઝ આઈટમના સ્થાને લોકલ આઈટમ વેચવાનો આગ્રહ રાખ્યો હોવાથી લોકલ મેન્યુફેક્ચરર્સને ફાયદો થયો છે.
કપડાંથી લઈને ઘરેણાં અને વાહનોથી લઈને ગેજેટ્સનું ધૂમ વેચાણ
વાહન બનાવતી કંપનીઓથી લઈને, FMCG, કેપિટલ ગૂડ્ઝ, ફાયનાન્સ, જ્વેલરી, ફર્નિચર, રિયલ એસ્ટેટ સહિતની કંપનીઓએ સારું એવું વેચાણ નોંધ્યું છે. લોકોએ વાહનો છોડાવ્યા છે, નવા ઘરેણાં ખરીદ્યા છે તેમજ ઘરનું વેચાણ પણ ચપોચપ થયું છે. મોંઘા મોબાઈલની માંગ પણ વધી છે. આ ઉપરાંત ઘરેલુ ઉપકરણ તેમજ ઘરવખરીનો માલસામાન પણ સારો એવો વેચાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો