MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
કર્મચારીઓ, પેન્શનરનું DA 4% વધી 38% થયું વધતી મોંઘવારી વચ્ચે 1 કરોડથી પણ વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શરને રાહત મળી છે. સરકારે મોંઘવારી ભથ્થું વધારવાની મંજૂરી આપીને કર્મચારીઓને દિવાળી પહેલાં ગિફ્ટ આપી છે. સરકારે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનર્સના ડીએ એટલે કે ડીઅરનેસ અલાઉન્સમાં 4 ટકાનો વધારો મંજૂર કર્યો છે. બુધવારે મળેલી કેબિનેટ મીટિંગમાં મોંઘવારી ભથ્થું વધારવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. ડીએમાં થયેલો વધારો જુલાઈ-2022થી લાગુ થશે. આમ, કર્મચારીઓને મળતું 34 ટકા ડીએ હવે 38 ટકા લેખે ગણવામાં આવશે અને સપ્ટેમ્બર મહિનાના પગારમાં એરિયર સાથે રકમ જમા થશે.
11 લાખ કર્મચારીને મળશે 78 દિવસનું બોનસ દશેરા પહેલાં રેલવેના 11 લાખ કર્મચારીઓ રાજીનાં રેડ થઈ જાય તેવા સમાચાર મળ્યાં છે. સામાન્ય રીતે, દશેરા પહેલાં રેલવે કર્મચારીઓના બોનસની જાહેરાત થતી હોય છે. ગયા વર્ષે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળ્યું હતું અને આ વખતે પણ 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવશે. રેલવે કર્મચારીને 30 દિવસ માટે 7,000 રૂપિયાનું બોનસ મળે છે, જે મુજબ 78 દિવસ માટે મહત્તમ 17,951 રૂપિયાનું બોનસ મળશે. રેલવેમાં કુલ 11 લાખ કર્મચારી છે અને તેમને બોનસ ચૂકવવા માટે સરકારે અંદાજે 200 કરોડ રૂપિયાનો બોજ વેઠવો પડશે. રેલવે કર્મચારીઓને બોનસના પૈસા મળશે તો, તેમની ખર્ચશક્તિ વધશે અને મોંઘવારી સામે રાહત મળશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ 30 દિવસ સુધી ઘટવાની શક્યતા નથી મોંઘવારીમાં આગ ચાંપવાનું કામ કરનારા પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ થોડાક દિવસ સુધી નીચે જવાની શક્યતા નથી. પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થવાની શક્યતા નથી. ઓછામાં 20થી 30 દિવસ પછી જ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા છે. ઈંધણના ભાવમાં ફેરફાર કરવા માટે સરકાર આવતા મહિને નિર્ણય લેશે તેવી ધારણા છે. ભારતમાં છેલ્લાં ઘણા મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ મોંઘું થવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા, પરંતુ ક્રૂડનો ભાવ હવે 90 ડૉલરની નીચે પહોંચી ગયો હોવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ઈંધણ મોંઘું થવાથી તમામ ચીજવસ્તુઓના ભાવ પર અસર પડી છે. જો સરકાર વહેલી તકે ભાવમાં ઘટાડો કરશે, તો મોંઘવારીનો દર નીચે લઈ જવામાં પણ મદદ મળશે અને લોકોને મોટી રાહત મળશે.
ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાનો IPO 4 ઓક્ટોબરે ખુલશે કન્ઝ્યુમર ડ્યુરેબલની રિટેલ ચેઈન ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા 500 કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે. આ IPO 4 ઓક્ટોબરે ખુલશે અને 7 ઓક્ટોબરે બંધ થશે. કંપની 100 ટકા ફ્રેશ શેર્સ ઈશ્યૂ કરી રહી છે, એટલે કે, પ્રમોટર્સ દ્વારા એક પણ શેર વેચવામાં નહીં આવે. કંપનીએ 56થી 59 રૂપિયા પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે, એટલે કે, એક લોટમાં 254 શેર મળશે. રિટેલ ક્વોટા 35 ટકા છે. શેરનું અલોટમેન્ટ 13 ઓક્ટોબરે થશે અને લિસ્ટિંગ 17 ઓક્ટોબરે થશે. આ કંપની બજાજ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ હેઠળ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે અને સાઉથ ઈન્ડિયાનું માર્કેટ તેના કબજામાં છે.
એશ્યૉર્ડ રિટર્ન સ્કીમ માટે 10 વર્ષ રોકાણ જાળવવું પડશે NPSમાં મિનિમમ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ શરૂ થાય તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યારે પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન સુપ્રતીમ બંદોપાધ્યાયે જણાવ્યું છે કે, મિનિમમ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ ટૂંક સમયમાં લોન્ચ થશે અને રોકાણકારે ઓછામાં ઓછા 10 વર્ષ સુધીમાં તેમાં રોકાણ જાળવી રાખવું પડશે, તો જ એશ્યોર્ડ રિટર્નનો લાભ મળશે. તેમણે જણાવ્યું છે કે, રોકાણકાર માટે 10 વર્ષનો ગાળો મિનિમમ તેમજ મેક્સિમમ રહેશે. મિનિમમ એશ્યોર્ડ રિટર્ન સ્કીમને માર્સ તરીકે ઓળખવામાં આવશે અને તે જૂની પેન્શન સ્કીમની જેમ કામ કરશે. અત્યારે NPSના સબ્સક્રાઈબર્સને તેમના રોકાણ પર રિટર્નની કોઈ ગેરન્ટી મળતી નથી. પરંતુ માર્સ લૉન્ચ થશે તો તેમને જૂની પેન્શનની જેમ રિટર્ન મળવાની ગેરન્ટી મળશે.
S&Pએ ખાદ્ય મોંઘવારી વકરવાની ચેતવણી ઉચ્ચારી અમેરિકન ક્રેડિટ રેટિંગ એજન્સી S એન્ડ P ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું છે કે, ડિસેમ્બર 2022 સુધી તો ભારતીયોને મોંઘવારીમાંથી રાહત મળવાની શક્યતા દેખાતી નથી. રિટેલ ફુગાવાનો દર 6 ટકાની ઉપર જ રહેશે, જે રિઝર્વ બેન્કે નક્કી કરેલી સુરક્ષિત રેન્જ કરતાં ઘણો વધારે છે. એજન્સીએ જણાવ્યું છે કે, સંપૂર્ણ નાણાકીય વર્ષ 2022-23માં ફુગાવાનો સરેરાશ દર 6.8 ટકા રહેશે, જે ગયા નાણાકીય વર્ષમાં 5.5 ટકા હતો. ઘઉં અને ચોખાના ભાવમાં વધારો થવાથી રિટેલ ફુગાવો ઊંચો રહેશે. એજન્સીએ ચેતવણી ઉચ્ચારી છે કે, ભારતમાં ખાદ્ય મોંઘવારી ફરી વધવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના અંતે રૂપિયાની સ્થિતિ સુધરે તેવી ધારણા છે, પરંતુ ત્યાં સુધી રૂપિયાનું ધોવાણ ચાલુ રહેશે અને એક ડૉલર 82 રૂપિયાને ક્રોસ થવાની પણ શક્યતા છે.
જિયોના 5G સ્માર્ટફોન Rs 8,000-12,000માં મળશે: રિપોર્ટ ટેલિકોમ માર્કેટમાં એવી ચર્ચા છે કે, 4G ફોન કરતાં 5G ફોન મોંઘા હશે, પરંતુ રિલાયન્સ ઓછી કિંમતના 5G ફોન લૉન્ચ કરીને હેન્ડસેટ માર્કેટમાં ખળભળાટ મચાવી શકે છે. કાઉન્ટરપૉઈન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિયોના 5G સ્માર્ટફોન 8 હજારથી 12 હજાર રૂપિયાની રેન્જમાં મળે તેવી શક્યતા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની છેલ્લી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, કંપની યોગ્ય સમયે ભારતમાં અલ્ટ્રા-એફોર્ડેબલ 5G સ્માર્ટફોન લૉન્ચ કરશે. એજન્સીના રિપોર્ટ પ્રમાણે, રિલાયન્સ આ ફોન 2024માં લૉન્ચ કરે તેવી ધારણા છે. જોકે, બ્રોકરેજ કંપની સ્પાર્ક કેપિટલના જણાવ્યા પ્રમાણે, 5G પ્લાનના ટેરિફ 4G પ્લાનની સરખામણીએ 20 ટકા વધારે રહેવાની ધારણા છે.
RBIએ મહારાષ્ટ્રની સહકારી બેન્કને જંગી દંડ ફટકાર્યો રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રની કો-ઓપરેટિવ બેન્કને 50 લાખ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો છે. જલગાંવ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કે મૃત્યુ પામેલા ગ્રાહકોની ડિપોઝિટ પર વ્યાજ ચૂકવ્યું ન હોવાથી રિઝર્વ બેન્કે દંડ ફટકાર્યો છે. મૃત ગ્રાહકોના ખાતામાં પડેલી બેલેન્સની રકમ પર વ્યાજ ન ચૂકવવા બદલ તેમજ જે સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સે મિનિમમ બેલેન્સ મેઈન્ટેન નહોતું કર્યું તેમની પાસેથી પેનલ્ટી વસૂલવા બદલ બેન્ક સામે આકરાં પગલાં ભરવામાં આવ્યા છે. જલગાંવ સહકારી બેન્કે ગ્રાહકોને મિનિમમ બેલેન્સ મેઈન્ટેન કરવા માટે એક મહિનાનો સમય પણ નહોતો આપ્યો. આમ, બેન્કિંગ નિયમોનું પાલન ન કરવા બદલ બેન્કને જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કે અન્ય 10 સહકારી બેન્કો સામે પણ આકરાં પગલાં ભર્યાં છે.
ફેડરલ બેન્કે FDના વ્યાજ દરમાં વધારો કર્યો ખાનગી સેક્ટરની ધિરાણકર્તા ફેડરલ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. હવે, આ બેન્કમાં 700 દિવસની FD પર 7 ટકા જેટલું ઊંચું વ્યાજ મળશે. જો તમે સીનિયર સીટિઝન હશો અને આ બેન્કમાં પાંચ વર્ષ કરતાં ઓછી મુદતની FD કરાવશો તો બેન્ક તમને અડધો ટકો વધુ વ્યાજ આપશે. જો તમે પાંચ વર્ષ કે તેનાથી વધુ મુદતની FD કરાવશો, તો તમને રેગ્યુલર સીટિઝન કરતાં 0.65 ટકા વધુ વ્યાજ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો