MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
કંપનીઓ અનેક કર્મચારીઓને છૂટા કરશે એક પછી એક કંપનીઓ છટણી પ્રક્રિયા હાથ ધરી રહી છે. ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપની ક્રેડિટ સૂઝે ઓક્ટોબરથી નવેમ્બરના બે મહિનામાં 2,700 કર્મચારીને છૂટા કરી દીધા છે. કંપની 2025 સુધીમાં કુલ 9,000 કર્મચારીને છૂટા કરવાની યોજના પર કામ કરી રહી છે. ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અગ્ર સ્થાન ધરાવતી કંપની HPએ પણ આવતા 3 વર્ષમાં 6,000 જેટલાં કર્મચારી ઓછા કરવાની હિલચાલ હાથ ધરી છે. HPએ જણાવ્યું છે કે, પર્સનલ કમ્પ્યૂટરની ડિમાન્ડ ઘટી રહી છે એટલે ખર્ચકાપ માટે કર્મચારીઓ ઓછા કરવામાં આવશે. ગૂગલે પણ 10,000 કર્મચારીને છૂટા કરવાની યોજના હાથ ધરી છે. છેલ્લાં થોડાક દિવસોમાં ફેસબૂક, ટ્વિટર, એમેઝોન જેવી કંપનીઓએ પણ કર્મચારીઓ ઓછા કરવાની કવાયત હાથ ધરી હોવાના અહેવાલ મળ્યાં છે.
આઈનોક્સ ગ્રીન એનર્જીએ નિરાશ કર્યાં આઈનોક્સ ગ્રીન એનર્જીએ લિસ્ટિંગના દિવસે શેરધારકોને નિરાશ કર્યાં છે. બુધવારે ઓપનિંગ સેશનમાં જ તેનો શેર 8 ટકા તૂટ્યો હતો. કંપનીએ 65 રૂપિયાના ભાવે શેર ઈશ્યૂ કર્યાં હતા. બુધવારે તેનો શેર 59.10 રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો, જે ઈશ્યૂ પ્રાઈસ કરતાં 9 ટકા ઘટાડો દર્શાવે છે. કંપની વિન્ડ-એનર્જી સેક્ટરની કંપનીઓને મેઈન્ટેનન્સ સર્વિસિસ પૂરી પાડે છે. કંપનીની આવક તો વધી રહી છે, પરંતુ નફો ઘટી રહ્યો છે. કદાચ, આ કારણસર જ IPOમાં રોકાણકારોએ ઉત્સાહ નહોતો દર્શાવ્યો. એનાલિસ્ટ્સે પણ આઈનોક્સ ગ્રીન એનર્જીના શેર ખોટ ખાઈને વેચી દેવાની સલાહ આપી છે અને આ પૈસા સારી સ્ક્રિપમાં રોકવાની ભલામણ કરી છે.
PSU બેન્કોમાં બમણો ફાયદો પબ્લિક સેક્ટરની બેન્કોએ રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. છેલ્લાં 6 મહિનામાં સરકારી બેન્કોના શેર બમણા થઈ ગયા છે. યુનિયન બેન્કનો શેર બાવન-સપ્તાહના બોટમથી 127 ટકા વધી ચૂક્યો છે જ્યારે બેન્ક ઓફ બરોડા 110 ટકા અને ઈન્ડિયન બેન્ક 106 ટકા વધી ગયો છે. આમ, છ મહિના પહેલાં સરકારી બેન્કોમાં કરેલું રોકાણ બમણું થઈ ગયું છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રનો શેર 3 મહિનામાં 55 ટકા જ્યારે છ મહિનામાં 79 ટકા વધ્યો છે. બેન્ક ઓફ ઈન્ડિયાનો શેર છ મહિનામાં 71 ટકા, કેનેરા બેન્ક 62 ટકા, યુકો બેન્ક 63 ટકા, પીએનબી 60 ટકા, સેન્ટ્રલ બેન્ક 45 ટકા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક 36 ટકા જ્યારે SBIનો શેર 30 ટકા વધ્યો છે. સરકારી બેન્કોની ક્રેડિટમાં વધારો થઈ રહ્યો હોવાથી અને ભાવિ વૃદ્ધિનું ચિત્ર ઊજળું હોવાથી શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, વર્તમાન પરિસ્થિતિને જોતાં ખાનગી સેક્ટરની બેન્કો કરતાં સરકારી બેન્કોમાં વધુ ડિપોઝિટ જમા થશે અને તેમની NPA પણ ઘટી રહી છે, એટલે આગામી બે વર્ષ સુધી સરકારી બેન્કો મજબૂત પર્ફોર્મન્સ કરી શકે છે.
PSU ઈક્વિટી ફંડ્સમાં સારું વળતર જો તમે સરકારી કંપનીઓ પર ભરોસો મૂકીને પૈસા લગાવ્યા હશે, તો તમે ફાયદામાં છો. કારણ કે, PSU ઈક્વિટી ફંડ્સે છેલ્લાં 1 વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યું છે. PSU ઈક્વિટી ફંડ્સ એટલે એવા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જે પબ્લિક-સેક્ટરની કંપનીઓનાં શેરમાં રોકાણ કરતા હોય. આ ફંડ્સે 15 નવેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા 1 વર્ષમાં સૌથી વધુ 18.16 ટકા વળતર આપ્યું છે જ્યારે લાર્જ કેપ ઈક્વિટી ફંડ્સમાં માત્ર 1.16 ટકા વળતર મળ્યું છે. મલ્ટિ-કેપ ઈક્વિટી ફંડ્સમાં તો 1 ટકા વળતર પણ મળ્યું નથી જ્યારે ફ્લેક્સિ-કેપ ઈક્વિટી ફંડ્સે તો 0.30 ટકા નેગેટિવ વળતર આપ્યું છે. એક્સપર્ટનું કહેવું છે કે, અર્થતંત્રની રિકવરીની સાથે સાથે સરકારી કંપનીઓનું પ્રદર્શન પણ સુધરી રહ્યું છે. આ સેક્ટરની કંપનીઓના શેરનું વેલ્યુએશન આકર્ષક છે, એટલે મધ્યમ ગાળા માટે તેમાં રોકાણથી ફાયદો થઈ શકે છે.
ડીઝલની ગંભીર કટોકટી સર્જાશે સમગ્ર દુનિયામાં ડીઝલની કટોકટી ઊભી થઈ છે. અમેરિકામાં તો ડીઝલનો સ્ટોક 40 વર્ષના તળિયે પહોંચી ગયો છે. ડીઝલની માંગ કરતાં ઉત્પાદન ઓછું છે અને રશિયન સપ્લાય ઘટવાથી અનેક દેશો ડીઝલની અછતનો સામનો કરી રહ્યાં છે. ડીઝલનો ઉપયોગ માત્ર બસ, ટ્રક, જહાજ અને ટ્રેન દોડાવવા માટે જ નથી થતો, પરંતુ બાંધકામ ઉદ્યોગમાં, ખેતીવાડીમાં તેમજ ઔદ્યોગિક એકમોમાં મશીનો ચલાવવા માટે પણ ડીઝલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આથી, જો ડીઝલનો સપ્લાય ઘટશે, તો ભાવ ભડકે બળશે અને મોંઘવારીની આગમાં ઘી હોમાશે. ડીઝલ માર્કેટનાં એક્ઝિક્યુટિવ્સ કહે છે કે, ડીઝલની કટોકટી હમણાં જ શરૂ થઈ હોવાથી તેની અસર દેખાતી નથી, પરંતુ આવતા વર્ષે એપ્રિલથી પરિસ્થિતિ વણસી શકે છે. આગામી સમયમાં ડીઝલની તીવ્ર અછત સર્જાશે તેવી આગાહી પણ તેમણે વ્યક્ત કરી છે. ઇટલી સ્થિત એક ઓઇલ રિફાઇનિંગ કંપનીના અધિકારીએ તો એમ પણ કહ્યું છે કે, તેમણે તેમના 40 વર્ષના અનુભવમાં આટલું મોટું ડીઝલ સંકટ ક્યારેય જોયું નથી.
સ્ટેમ્પ ડ્યુટી, દસ્તાવેજ કલેક્શન વધ્યું છેલ્લાં કેટલાક મહિનામાં સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનથી થતી આવક અનેક ગણી વધી ગઈ છે, જે દર્શાવે છે કે, લોકોએ કોવિડ-19 મહામારી પછી જમીન અને મકાનોની ધૂમ ખરીદી કરી છે. 2022ના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજના ચાર્જ હેઠળ થયેલી આવકનો આંકડો 95,000 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલી આવક કરતાં 35 ટકા વધુ છે. મહારાષ્ટ્ર દેશની અર્થવ્યવસ્થાનું સૌથી મોટું રિયલ એસ્ટેટ બજાર હોવાથી આ રાજ્યને સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજ હેઠળ સૌથી વધુ આવક થઈ છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોની તિજોરીમાં પણ સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજ ફીના ખાસ્સા રૂપિયા જમા થયા છે. દેશનાં રેસિડેન્શિયલ રિયલ્ટી સેક્ટરે છેલ્લાં દોઢથી બે વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ તેજી જળવાઈ રહેવાની ધારણા છે.
એર ઈન્ડિયા નવી ફ્લાઈટ શરૂ કરશે જો તમારે અમેરિકા, ફ્રાન્સ કે જર્મની જવાનું હોય તો હવે નોન-સ્ટોપ ફ્લાઈટનો વધુ એક વિકલ્પ મળશે. ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયાએ મુંબઈથી ન્યૂ યોર્ક, પેરિસ અને ફ્રેન્કફર્ટની નવી નોન-સ્ટોપ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ્સ 2023ના ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે. અત્યારે એર ઈન્ડિયા દિલ્હીથી ન્યૂ યોર્કની ડેઈલી ફ્લાઈટ ઉડાડે છે. એર ઈન્ડિયાએ દિલ્હીથી કોપનહેગન, મિલાન અને વિએનાની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આ તમામ ફ્લાઈટ શરૂ થઈ જશે એટલે એર ઇન્ડિયાની યુરોપની સાપ્તાહિક ફ્લાઈટની સંખ્યા 79 થઈ જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો