MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
રિટેલ રોકાણકારો પણ હાઈવે InvITમાં રોકાણ કરી શકશે સરકાર લાવી રહી છે ગૅરન્ટીડ રિટર્ન મળે તેવી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ. હાઈવે પ્રોજેક્ટ માટે ભંડોળની વ્યવસ્થા કરવા માટે સરકાર ચાર હાઈવે પ્રોજેક્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનું શેરબજાર પર લિસ્ટિંગ કરાવશે અને રિટેલ ઈન્વેસ્ટર્સ એટલે કે નાના રોકાણકારોને પણ ભાગ લેવાનો મોકો આપશે. રિટેલ ઈન્વેસ્ટર્સ 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, રોકાણકારોને 7થી 8 ટકા રિટર્નની ગૅરન્ટી આપવાની યોજના છે. અત્યારે પેન્શન ફંડ, સંસ્થાગત રોકાણકારો, ઈન્શ્યોરન્સ કંપનીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ રોકાણ કરે છે, પરંતુ અમે રિટેલ રોકાણકારોને પણ તક આપવા માંગીએ છીએ.
કેન્દ્ર DA વધારીને 38% કરી શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી ભેટ મળવાની છે. કેન્દ્ર સરકાર, મોંઘવારી ભથ્થું વધારીને 38 ટકા કરે તેવી શક્યતા છે અને આ જાહેરાત 28 સપ્ટેમ્બર, 2022ના રોજ થવાની સંભાવના છે. કર્મચારીઓને તેમના સપ્ટેમ્બરના પગારમાં એક સાથે ત્રણ મહિનાનું DA મળી શકે છે. કેન્દ્ર સરકારે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના DA હજુ ચૂકવ્યા નથી. હાલમાં, DAનો દર 34 ટકા છે અને મોંઘવારીને સરભર કરવા માટે ડીએમાં સુધારો કરવામાં આવ્યો છે. જુલાઈ મહિનામાં છૂટક ફુગાવો 6.71 ટકા રહ્યો હતો.
અડદની દાળના ભાવ 113 રૂપિયા પ્રતિ કિલો થયા અડદની દાળના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં, દેશના કેટલાક ભાગોમાં, અડદની દાળનો ભાવ 13 રૂપિયા પ્રતિ કિલો વધીને, 110 થી 113 રૂપિયા થઈ ગયો છે. દેશભરમાં અડદની દાળના ભાવમાં પ્રતિ કિલો સરેરાશ 3 થી 5 રૂપિયાનો વધારો થયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, હાલમાં અડદની દાળની સરેરાશ કિંમત 108 રૂપિયા પ્રતિ કિલો છે. ત્રણ મહિના પહેલા તેનો ભાવ 102 રૂપિયા પ્રતિ કિલો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, મધ્યપ્રદેશમાં ઓછા વાવેતર વિસ્તાર અને વધુ વરસાદને કારણે પાકને નુકસાન થયું છે તેના કારણે અડદની દાળના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
ઘણા શેર બુધવારે થયા એક્સ-ડિવિડન્ડ જો તમે શેરમાં રોકાણ કરતા હશો, તો તમારા ડિમેટ ખાતામાં કોઈ ને કોઈ શેરનું ડિવિડન્ડ જમા થતું જ હશે. ઓગસ્ટ મહિનામાં ઘણા સ્ટોક્સ એક્સ-ડિવિડન્ડ થયા છે, એટલે ડિમેટ ખાતુ ચકાસતા રહેજો. 22 ઓગસ્ટે ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટરલાઈટ ટેકનોલોજિસ જેવા સ્ટૉક્સ એક્સ-ડિવિડન્ડ થયા. તેમના માટે 24 ઓગસ્ટની તારીખ રેકોર્ડ-ડેટ નક્કી કરવામાં આવી હતી. આ સિવાય 24 ઓગસ્ટ, 2022 બુધવારના રોજ પણ ઘણા સ્ટૉક્સ એક્સ-ડિવિડન્ડ થયા, જેમાં હિન્દુજા ગ્લોબલ, જ્યોતિ રેઝિન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્ટૉક્સ માટે 25 ઓગસ્ટ, 2022ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. જો તમારે ડિવિડન્ડ મેળવવું હોય તો, તો રેકોર્ડ ડેટના ઓછામાં ઓછા બે દિવસ અગાઉ તમારા ડિમેટ ખાતામાં જે-તે કંપનીના શેર હોવા જરૂરી છે. એટલે કે, તમારા ડિમેટ એકાઉન્ટમાં 23 ઓગસ્ટ, 2022 સુધી આમાંથી કોઈ સ્ટૉક્સ પડ્યા હશે, તો તમે ડિવિડન્ડ મેળવવાને લાયક છો.
મારુતિ ખામીયુક્ત એરબેગ ધરાવતી ડિઝાયર રિકૉલ કરશે મારુતિ સુઝુકીએ તેની ‘166 ડિઝાયર Tour-S’ કાર રિકૉલ કરવાની યોજના જાહેર કરી છે. આ કારના એરબેગ કન્ટ્રોલ યુનિટમાં ખામી હોવાની શક્યતાને કારણે મારુતિએ આ નિર્ણય લીધો છે. જો તમારી પાસે આ કાર હોય અને તેનું ઉત્પાદન 6 ઓગસ્ટ 2022થી 16 ઓગસ્ટ 2022ની વચ્ચે થયું હોય તો તમે મફતમાં એરબેગ કન્ટ્રોલ યુનિટ રિપ્લેસ કરાવી શકશો. કંપની તેના માટે કોઈ ચાર્જ નહીં વસૂલે. મારુતિએ જણાવ્યું છે કે, જ્યાં સુધી આ કારનું એરબેગ કન્ટ્રોલ યુનિટ રિપ્લેસ ન થઈ જાય ત્યાં સુધી ગ્રાહકોએ તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કંપની દ્વારા ગ્રાહકોને મેસેજ કે કોલ કરવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકે કંપનીની વેબસાઈટ પર ‘ઈમ્પ. કસ્ટમર ઈન્ફો’ સેક્શન પર ક્લિક કરવું પડશે અને કારનો ચેસિસ નંબર નાખવાનો રહેશે.
ઈન્ડિયન બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર ઈન્ડિયન બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં 0.15 ટકા સુધીનો વધારો કર્યો છે. નવા રેટ 24 ઓગસ્ટથી અમલી કરવામાં આવ્યા છે. ઈન્ડિયન બેન્કની FDમાં હવે 2.80 ટકાથી લઈને 5.75 ટકાની રેન્જમાં વ્યાજ મળશે. જો તમે 1 વર્ષની FD કરાવશો, તો 5.30 ટકાની જગ્યાએ 5.45 ટકા વ્યાજ મળશે. જો 1 વર્ષથી 2 વર્ષ માટેની FD કરાવશો તો બેન્ક 5.40 ટકાની જગ્યાએ 5.50 ટકા વ્યાજ આપશે. 3 વર્ષથી 5 વર્ષની FD પર બેન્ક સૌથી વધુ 5.75 ટકા વ્યાજ આપશે. બેન્ક સીનિયર સીટિઝનને 0.25 ટકા વધુ વ્યાજ દર આપે છે.
DCB બેન્કે સેવિંગ એકાઉન્ટનો વ્યાજ દર વધાર્યો પ્રાઈવેટ સેક્ટરની DCB બેન્કમાં બચત ખાતુ હશે તો તમને તગડું વ્યાજ મળશે. આ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર મેક્સિમમ 7 ટકા વ્યાજ આપવાની ઑફર લાવી છે. અન્ય બેન્કો FD પર જેટલું વ્યાજ નથી આપતી તેટલું વ્યાજ આ બેન્કે સેવિંગ એકાઉન્ટમાં પડેલા પૈસા પર આપવાની સ્કીમ લૉન્ચ કરી છે. જો આ બેન્કના બચત ખાતામાં 1 લાખ રૂપિયાથી ઓછી રકમ પડી હશે, તો બેન્ક 2.25 ટકા અને 1 લાખથી 2 લાખ રૂપિયા પર 4 ટકા ઈન્ટરેસ્ટ રેટ ચૂકવશે. 2 લાખથી 5 લાખ રૂપિયા પડ્યા હશે, તો તમે 5 ટકા વ્યાજ કમાઈ શકશો અને 5 લાખથી 10 લાખના બેલેન્સ પર બેન્ક તમને 6 ટકા વ્યાજ આપશે. જો તમારા બચત ખાતામાં 10 લાખથી 25 લાખ રૂપિયા પડ્યા હશે, તો DCB બેન્ક 6.75 ટકા ઈન્ટરેસ્ટ ચૂકવશે. જો તમે 25 લાખથી 2 કરોડ રૂપિયા આ બેન્કના બચત ખાતામાં મૂકશો તો બેન્ક તમને મેક્સિમમ 7 ટકા વ્યાજ આપશે.
IDBI બેન્કે લૉન્ચ કરી 500 દિવસની સ્પેશિયલ FD સ્કીમ ઓછા સમયગાળાની ડિપોઝિટ પર હવે થશે વધુ કમાણી. IDBI બેન્કે મર્યાદિત સમયગાળા માટે એક સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમનું નામ છે ‘અમૃત મહોત્સવ FD સ્કીમ’. આ સ્કીમની મુદત 500 દિવસની છે, જેના પર બેન્ક 6.70 ટકા સુધી વ્યાજ આપે છે. IDBI બેન્કની આ ઓફર માત્ર 30 સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે.
વિસ્તારાએ અબુ ધાબી માટે દૈનિક નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ કરી જે લોકો કામ માટે નિયમિત રીતે મીડલ-ઈસ્ટની મુસાફરી કરે છે, તેમને ગમશે આ ખબર. વિસ્તારાએ મુંબઈથી અબુ ધાબી માટે નવી લોન્ચ કરેલી ડેઇલી નોન-સ્ટોપ ફ્લાઇટ માટે બુકિંગ શરૂ કર્યું છે. આ ફ્લાઇટ 1 ઓક્ટોબરથી શરૂ થશે. ટાટા ગ્રૂપની કંપની વિસ્તારા પાસે પહેલેથી જ 11 ઓવરસીઝ ડેસ્ટિનેશન છે અને અબુ ધાબી તેનું 12મું ડેસ્ટિનેશન છે. વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ કન્નને કહ્યું છે કે ભારત અને એમીરાટ વચ્ચેનો વેપાર અને પર્યટન આવનારા સમયમાં વધુ ખીલશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો