Money9 Gujarati:
અદાણી ગ્રૂપની કંપની અદાણી વિલમરનો નફો 60 ટકા ઘટીને રૂ.94 કરોડ થયો છે. અદાણી વિલમર ગયા વર્ષે શેરબજારમાં લિસ્ટ થઈ હતી. કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે, જેમાં તેની આવક 7 ટકા ઘટીને રૂ.13,873 કરોડ થઈ છે. નબળા પરિણામને પગલે, અદાણી વિલમરનો શેર ત્રીજી મે-બુધવારના રોજ પાંચ ટકા ઘટીને રૂ.396એ બંધ રહ્યો હતો. કંપનીએ જણાવ્યું છે કે, ખાદ્ય તેલના ભાવ ઘટવાથી તેની આવક અને નફો ઘટ્યા છે. ગ્રૂપની અન્ય કંપની અદાણી ટોટલ ગેસની આવક 10.2 ટકા વધીને રૂ. 1,114.8 કરોડ થઈ છે જ્યારે ચોખ્ખો નફો 21 ટકા વધીને રૂ.98 કરોડ થયો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના માર્જિન 13 ટકા વધ્યા છે. કંપનીના બોર્ડે શેર દીઠ 25 પૈસા ડિવિડન્ડ આપવાની પણ ભલામણ કરી છે.
અદાણી વિલમરનું પર્ફોર્મન્સઃ
અદાણી વિલમરે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 582 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે અગાઉ 2021-22માં રૂ. 804 કરોડ હતો. આમ, સમગ્ર નાણાકીય વર્ષમાં તેનો નફો 28 ટકા ઘટ્યો છે. જો કે, આવક 7 ટકા વધીને રૂ. 58,185 કરોડ થઈ છે. કુલ નફાના સ્તરે પેકેજિંગ ખર્ચ પર ફુગાવાની અસર અને EBITDA સ્તરે લોજિસ્ટિક્સ, રસાયણો અને પાવર અને ઇંધણના ખર્ચમાં ફુગાવો કારણભૂત રહ્યા હતા. જો કે, ફૂડ સેગમેન્ટમાં કંપનીએ બમણો ગ્રોથ નોંધાવ્યો છે. અદાણી વિલમરના MD અને CEO અંગ્શુ મલિકે જણાવ્યું હતું કે, ”TRQ અસમાનતાને કારણે અમારા સોયાબીન તેલના માર્જિન પર દબાણ આવ્યું છે. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો અને ઈન્વેન્ટરીના ઊંચા ખર્ચના કારણે માર્જિન ઘટ્યા હતા.”
સીએનજી વોલ્યૂમ વધ્યુંઃ
અદાણી ટોટલ ગેસે જણાવ્યું છે કે, CNG સ્ટેશનોના નેટવર્કના વિસ્તરણને કારણે CNG વોલ્યુમમાં 28 ટકાનો વધારો થયો છે. તેની સાથે સાથે પીએનજીના ભાવ વધવાથી ઔદ્યોગિક ગ્રાહકોની ગેસની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેથી પીએનજીનું વોલ્યૂમ 13 ટકા ઘટ્યું છે. કંપનીના CNG સ્ટેશનોની સંખ્યા નાણાકીય વર્ષ 2022-23ના અંત સુધીમાં વધીને 460 થઈ છે. કંપનીએ 126 નવા CNG સ્ટેશન ઉમેર્યા છે. અદાણી ટોટલની આવક 10.2 ટકા વધીને રૂ. 1,114.8 કરોડ થઈ છે. એક વર્ષ પહેલા તે રૂ. 1,012 કરોડ હતો. માર્ચ 2022ના ક્વાર્ટરમાં માર્જિન 13 ટકાથી વધીને 17.5 ટકા થયું છે. આ સિવાય અદાણી ટોટલ ગેસના બોર્ડે પણ ડિવિડન્ડની ભલામણ કરી છે. નાણાકીય વર્ષ 2022-23 માટે, રૂ 1 ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 0.25 ના ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે.
અદાણી ગ્રીન એનર્જીનો નફો વધ્યોઃ અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ ક્વાર્ટરમાં ચાર ગણો નફો કર્યો છે. કંપનીએ રૂ.507 કરોડનો નફો કર્યો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતી અનુસાર, 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 121 કરોડ રૂપિયા હતો. જો આવકની વાત કરીએ તો એક વર્ષ પહેલા માર્ચ ક્વાર્ટરમાં તે રૂ. 1,587 કરોડ હતો, જે વધીને રૂ. 2,988 કરોડ થયો છે, જે લગભગ બમણો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે ખબરમાં સામેલ કંપનીના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
અન્ય સમાચારઃ https://gujarati.money9.com/analysis/ambani-adani-in-race-for-gujarat-based-sick-company-12258.html
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો