Money9 Gujarati:
તહેવારોમાં તુવેર દાળની કિંમતે સરકારની ચિંતા વધારી દીધી છે. દિવાળી જેવા તહેવારોમાં ઘરાકીની વચ્ચે તુવેર દાળ 10 ટકાથી પણ વધુ મોંઘી થઈ છે. મોઝામ્બિકથી આવતો તુવેર દાળનો જથ્થો વિલંબમાં મૂકાયો હોવાથી તુવેર દાળની કિંમત વધી રહી છે અને દેશમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે બરાબર તેવા સમયે જ તુવેર દાળની મોંઘવારી સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે, કારણ કે, મોઝામ્બિકના વેપારીઓ અને નિકાસકારો માલ મોકલવામાં વિલંબ કરીને ભારતની જરૂરિયાતનો લાભ ઉઠાવીને તુવેર દાળની મોંઘવારીની આગમાં ઘી હોમી રહ્યાં છે અને તેમના પર મોઝામ્બિક સરકારનો પણ અંકુશ ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
તુવેર દાળની મોંઘવારી
તુવેર દાળની આયાતમાં વિલંબ થવાથી ભારતમાં બે મહિનામાં જથ્થાબંધ ભાવ લગભગ 10 ટકા વધી ગયા છે. ગઈ દિવાળીએ 1 કિલો તુવેરની સરેરાશ છૂટક કિંમત 113.06 રૂપિયા હતી, જે અત્યારે 157 રૂપિયા થઈ ગઈ છે. સરકારી આંકડા પ્રમાણે, 12 નવેમ્બરે એક કિલો તુવેરની દાળનો સરેરાશ છૂટક ભાવ 157.36 રૂપિયા હતો. નાગરિક પુરવઠા વિભાગના આંકડા પ્રમાણે, તુવેરની દાળની મોડલ પ્રાઈસ 160 રૂપિયા છે. બે મહિના પહેલાં 12 સપ્ટેમ્બરે સરેરાશ કિંમત 145.53 રૂપિયા હતી. એટલે કે, છેલ્લાં બે મહિનામાં તુવેરની દાળની કિંમતમાં કિલોએ 12 રૂપિયા જેટલો વધારો થયો છે. 2023ની શરૂઆત થઈ ત્યારે કિંમત 110.45 રૂપિયા હતી. વૈશ્વિક સ્તરે તુવેર દાળની કિંમત પ્રતિ ટન 100 ડૉલર વધી છે.
તુવેર દાળની આયાત
આપણે તુવેરની દાળની મોટા ભાગની આયાત આફ્રિકાના દેશોમાંથી કરીએ છીએ. ભારતમાં મહત્તમ તુવેર દાળ મોઝામ્બિક, માલાવી અને મ્યાંમારથી થાય છે. વિશ્વમાં અમેરિકા અને કેનેડા બાદ ભારત તુવેરની સૌથી વધુ આયાત કરે છે. અન્ય દેશોમાંથી થતી આયાતમાં મોઝામ્બિકનો હિસ્સો 50 ટકા હોય છે.
ભાવ અંકુશમાં રહે અને પૂરતો પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 12 લાખ ટન તુવેર દાળની આયાત કરવા માંગે છે, જે ગયા વર્ષ કરતાં 35 ટકા વધારે હશે. માર્કેટિંગ સીઝન 2023-24માં ભારત અંદાજે 10 લાખ ટન તુવેર દાળની આયાત કરવા માંગે છે. સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે આટલી આયાત કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે.
ઉત્પાદન પર અસર
ભારતમાં તુવેર દાળનું સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં થાય છે. આ ત્રણ રાજ્યોમાં ખરાબ વરસાદને કારણે તુવેરના વાવેતર પર અસર પડી છે. સરકારે જાહેર કરેલા અંદાજ પ્રમાણે, તુવેરનું ઉત્પાદન 19 ટકા ઓછું થઈ શકે છે. ભારતમાં લગભગ 34 લાખ ટન તુવેર દાળનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
કેમ અટકી નિકાસ
મોઝામ્બિકના કસ્ટમ્સ વિભાગે તુવેર દાળની નિકાસની મંજૂરી આપી ન હોવાથી સપ્લાય પર બ્રેક વાગી ગઈ છે. તુવેર દાળથી ભરેલો જથ્થો જહાજોમાં પડ્યો છે પરંતુ પરવાનગીના અભાવે બંદરો પર લાંગરેલા જહાજો ભારત તરફ નીકળી શકતા નથી. વાસ્તવમાં કસ્ટમ્સ વિભાગે મંજૂરી અટકાવી છે કે પછી નિકાસકારો જાણીજોઈને નિકાસ અટકાવીને બેઠાં છે તેને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. અંદાજ છે કે, મોઝામ્બિકના બંદરો પર ભારતનો 1.50 લાખ ટન તુવેર દાળનો જથ્થો પડ્યો છે. એક કંપનીના 200 જેટલા કન્ટેનર મંજૂરીના અભાવે ભારત માટે રવાના થઈ શકતા નથી.
મોઝામ્બિક સરકારનું નિવેદન
મોઝામ્બિકના કૃષિ મંત્રાલયે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘણા વેપારીઓએ ખોટી પરવાનગી લીધી હોવાનું સામે આવ્યું છે. ઘણો માલ શંકાસ્પદ મળી આવ્યો છે. આથી, કસ્ટમ પ્રક્રિયામાં માલ માટે ફાયટોસેનિટરી પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે અને નવેસરથી લાયસન્સ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મોઝામ્બિકથી આયાતમાં વિલંબની સાથે સાથે ભારતમાં પણ ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ભારત સરકારે આયાતનો વિલંબ દૂર કરવા માટે મોઝામ્બિક સરકાર સાથે વાટાઘાટ કરવી જરૂરી છે. અત્યાર સુધીની ગતિવિધિ જોતા લાગે છે કે, મોઝામ્બિકના વેપારીઓ અને નિકાસકારો પર ત્યાંની સરકારનો અંકુશ નથી. ભારતની મુત્સદ્દીગીરીની પણ કોઈ અસર મોઝામ્બિકની સરકાર પર પડી નથી. જો ભારતમાં તુવેર દાળ સસ્તી કરવી હશે તો ભારતે આયાત પર નિર્ભરતા ઘટાડવી પડશે અને લોકલ ઉત્પાદન વધારવું પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો