Money9 Gujarati:
Wheat sowing: ચાલુ રવિ સીઝનમાં ડાંગર, દાળ અને તેલીબિયાનું વાવેતર ઘટ્યા બાદ હવે ઘઉંનું વાવેતર પણ ઘટ્યું છે. કૃષિ મંત્રાલયના 17 નવેમ્બર સુધીના આંકડા પ્રમાણે, ચાલુ રવિ સીઝનમાં ઘઉંનું વાવેતર 5 ટકા ઘટ્યું છે. અત્યાર સુધીમાં 86.02 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. તેની સામે, ગયા વર્ષના સમાન સમયગાળામાં 91.02 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હતું.
કયા રાજ્યમાં કેટલું વાવેતર?
સરકારી આંકડા અનુસાર, અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના 3.87 લાખ હેક્ટર વિસ્તારમાં, પંજાબના 2.28 લાખ હેક્ટરમાં, હરિયાણાના 2.14 લાખ હેક્ટરમાં અને ગુજરાતના 0.71 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. મધ્ય પ્રદેશમાં ઘઉંનો વાવેતર વિસ્તાર 3.44 લાખ હેક્ટર જ્યારે રાજસ્થાનમાં 0.68 લાખ હેક્ટર નોંધાયો છે.
ઉત્તર પ્રદેશ – 3.87 લાખ હેક્ટર
મધ્ય પ્રદેશ – 3.44 લાખ હેક્ટર
પંજાબ – 2.28 લાખ હેક્ટર
હરિયાણા – 2.14 લાખ હેક્ટર
ગુજરાત – 0.71 લાખ હેક્ટર
રાજસ્થાન – 0.68 લાખ હેક્ટર
ડાંગર, દાળનું વાવેતર પણ ઘટ્યું
17 નવેમ્બર, 2023 સુધીમાં ડાંગરનો વાવેતર વિસ્તાર 7.65 લાખ હેક્ટર રહ્યો છે, જે ગયા વર્ષની 17 નવેમ્બર સુધીમાં 8.05 લાખ હેક્ટર હતો. દાળનો વાવેતર વિસ્તાર પણ 69.37 લાખ હેક્ટરથી ઘટીને 65.16 લાખ હેક્ટર રહ્યો છે. રવિ દાળનો મુખ્ય પાક ગણાતા ચણાની વાત કરીએ તો, અત્યાર સુધીમાં તેનો વાવેતર વિસ્તાર લગભગ 5 લાખ હેક્ટર ઘટ્યો છે. 17 નવેમ્બર સુધીમાં દેશભરનાં 44.66 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે જ્યારે ગયા વર્ષે 17 નવેમ્બર સુધીમાં 49.64 લાખ હેક્ટરમાં ચણાની ખેતી થઈ હતી.
તેલીબિયાંનું વાવેતર પણ ઘટ્યું
સરસવનું વાવેતર પણ ઘટ્યું છે. 17 નવેમ્બર સુધીમાં રવિ તેલીબિયાંનો વાવેતર વિસ્તાર 1.5 લાખ હેક્ટર ઘટ્યો છે. 17 નવેમ્બર સુધીમાં રવિ તેલીબિયાંનો વાવેતર વિસ્તાર 71.74 લાખ હેક્ટર નોંધાયો છે, જે ગયા વર્ષે 73.17 લાખ હેક્ટર હતો. સરસવનું વાવેતર પણ 0.75 લાખ હેક્ટર ઘટીને 68.55 લાખ હેક્ટર નોંધાયું છે, જે ગયા વર્ષે 17 નવેમ્બર સુધીમાં 69.31 લાખ હેક્ટરમાં હતું.
26% વિસ્તારમાં દુકાળ અને પાણીની તંગી
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન દેશનાં મોટા ભાગનાં જિલ્લામાં વરસાદની તંગીને કારણે ઘણા વિસ્તારોમાં દુકાળની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકન હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે, ભારતનો લગભગ 26 ટકાથી પણ વધારે વિસ્તાર દુકાળનો સામનો કરી રહ્યો છે. રાજસ્થાન અને પંજાબને બાદ કરતાં બાકીના મોટા ભાગનાં રાજ્યોમાંથી દુકાળના વાવડ મળી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધીમાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં 27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 94 મિલિમીટર વરસાદ પડતો હોય છે, પરંતુ આ વખતે 68.5 મિલિમીટર વરસાદ પડ્યો છે. ઓછા વરસાદને કારણે દેશનાં મુખ્ય 150 જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટીને ક્ષમતા કરતાં 70 ટકા નીચે પહોંચી ગયું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો