Money9 Gujarati:
તુવેર અને ચણાના ભાવ 4 ટકા ઘટ્યા છે, પરંતુ દિવાળી વખતે ભાવ વધવાની શક્યતા છે. છેલ્લાં એક મહિનામાં તુવેર અને ચણાની કિંમતમાં નજીવો ઘટાડો થયો છે, કારણ કે આયાત વધી છે અને માંગ ઘટી છે. આફ્રિકાથી તુવેર અને કેનેડાથી મસૂરની આયાત વધી છે.
સરકારે તુવેરની દાળ માટે સ્ટોક લિમિટના કડક નિયમ લાગુ કર્યાં હોવાથી તેના ભાવ ઘટ્યા છે. ચણાનો સપ્લાય વધવાથી અને સ્પર્ધાત્મક ટેન્ડર દ્વારા સરકારના આક્રમક વેચાણથી ચણાના ભાવમાં ઘટાડો થયો છે. ભાવ ઊંચા હોવાથી ગ્રાહકો તરફથી માંગ પણ ઘટી છે, જેના લીધે છેલ્લાં એક મહિનામાં આ દાળના ભાવમાં 4 ટકા સુધીનો ઘટાડો થયો છે. વ્યાપારિક સંગઠન ઈન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેઈન્સ એસોસિયેશન (IPGA)ના જણાવ્યા પ્રમાણે, સરકારે વેપારીઓ અને પ્રોસેસર્સ પર સ્ટોક મર્યાદા લાગુ કર્યા બાદ તુવેરના જથ્થાબંધ ભાવમાં છેલ્લાં 1 મહિનામાં 4 ટકાનો ઘટાડો થયો છે.
સરકારના 10 ઓક્ટોબરના આંકડા પ્રમાણે, તુવેરનો સરેરાશ ભાવ પ્રતિ કિલો 118 રૂપિયા છે જ્યારે મોડલ પ્રાઈસ 110 રૂપિયા છે. પાટનગર દિલ્હીમાં એક કિલો તુવેર 177 રૂપિયામાં જ્યારે ગુજરાતમાં 143 રૂપિયામાં મળે છે. છ મહિના પહેલાં તુવેરનો સરેરાશ ભાવ 107 રૂપિયા જ્યારે મોડલ પ્રાઈસ 100 રૂપિયા હતી.
વર્તમાન સમયે બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તી ચણા દાળની કિંમત છેલ્લાં 1 મહિનામાં 4 ટકા ઘટી છે. આયાત વધવાથી અને માંગ નબળી પડવાથી મસૂરની કિંમતમાં પણ 2 ટકા જેટલો ઘટાડો થયો છે. IPGAના જણાવ્યા અનુસાર, માંગ ઘટવાથી અને આફ્રિકાથી સપ્લાયમાં વધારો થવાને લીધે ચાલુ સપ્તાહે તુવેરની કિંમત પર દબાણ રહેવાની શક્યતા છે. સરકારી એજન્સી નાફેડ દ્વારા ઓછા ભાવે વેચાણ થવાથી પણ ચણાની દાળની કિંમત ઘટવાની શક્યતા છે.
IPGAનું કહેવું છે કે, બજારમાં સસ્તી કિંમતના ચણાનો સપ્લાય વધવાથી ઓક્ટોબરમાં ચણાની કિંમતમાં ઘટાડો થયો છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, તહેવારોમાં માંગ વધવાથી દાળની કિંમતમાં થોડોક વધારો થઈ શકે છે. શાકભાજીની વાત કરીએ તો, તાજેતરમાં મોંઘાદાટ થયેલા ટામેટાં હવે સાવ સસ્તાં થઈ ગયા છે. જુલાઈ મહિનામાં એક કિલો ટામેટાનો ભાવ છૂટક બજારમાં 150 રૂપિયાને પાર થઈ ગયો હતો, પણ હવે 10થી 20 રૂપિયે કિલો ટામેટાં મળી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો