Money9 Gujarati:
ખાંડનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)એ જણાવ્યું છે કે, ઓક્ટોબરથી શરૂ થયેલી શુગર સીઝન 2023-24માં ખાંડનું ઉત્પાદન ઘટશે. ISMAના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન 337 લાખ ટન થઈ શકે છે, જે ગયા વર્ષની તુલનાએ લગભગ 9 ટકા ઓછું છે. ગયા વર્ષે ભારતમાં ખાંડનું ઉત્પાદન 369 લાખ ટન હતું. શુગર યરની માર્કેટિંગ સીઝનની શરૂઆત ઓક્ટોબરથી થાય છે અને સપ્ટેમ્બરમાં પૂરી થાય છે.
ઈથેનોલ માટે ખાંડ
ભારતમાં ગયા વર્ષે 369 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 41 લાખ ટન ખાંડનો જથ્થો ઈથેનોલ ઉત્પાદન માટે ડાઈવર્ટ થયો હતો અને વાસ્તવિક ઉત્પાદન 328 લાખ ટન રહ્યું હતું. ISMAએ ચાલુ વર્ષે ઈથેનોલ ઉત્પાદન માટે કેટલી ખાંડનો જથ્થો ડાઈવર્ટ થશે તેનો આંકડા આપ્યો નથી. જોકે, ઓગસ્ટમાં ISMA તરફથી જે પ્રારંભિક અંદાજ આપવામાં આવ્યો હતો, તે મુજબ લગભગ 45 લાખ ટન ખાંડનો જથ્થો ઈથેનોલ ઉત્પાદન માટે ડાઈવર્ટ થઈ શકે છે. પરંતુ ત્યારબાદ ઓગસ્ટમાં વરસાદમાં તીવ્ર ઘટાડો થયો હતો, આથી હવે શક્યતા છે કે, ચાલુ વર્ષે ઈથેનોલ માટે ખાંડના ઓછા જથ્થાની ફાળવણી થશે.
ISMAએ ઓઘસ્ટમાં ગ્રોસ શુગર પ્રોડક્શન 369 લાખ ટન રહેવાનો અંદાજ આપ્યો હતો અને ઈથેનોલ માટે 41 લાખ ટન જથ્થો ડાઈવર્ટ કર્યા બાદ નેટ શુગર પ્રોડક્શન 328 લાખ ટન રહેવાનો અંદાજ આપ્યો હતો. સંગઠને જણાવ્યું હતું કે, ભારતની સ્થાનિક જરૂરિયાત સરેરાશ 278.5 લાખ ટન રહેવાની શક્યતા છે, એટલે કે ખપતને પહોંચી વળવા માટે ભારત પૂરતી માત્રામાં ઉત્પાદન કરવા સક્ષમ છે. આમ, માંગ અને પુરવઠા વચ્ચે સમતોલન સધાઈ રહેશે, જેના કારણે કિંમત પર નેગેટિવ ઈમ્પેક્ટ પડવાની સંભાવના નથી.
ખાંડની નિકાસ
ભારતે માર્કેટિંગ વર્ષ 2022-23માં 61 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી અને તેની અગાઉના વર્ષે તો 112 લાખ ટન ખાંડની વિક્રમ નિકાસ નોંધાવી હતી. જોકે, સરકારે ચાલુ માર્કેટિંગ સીઝનમાં નિકાસ માટે હજુ સુધી કોઈ મંજૂરી આપી નથી.
વાવેતર
ISMA જણાવે છે કે, વર્ષ 2023-24માં લગભગ 57 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું હોવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં શેરડીનો વાવેતર વિસ્તાર અગાઉના વર્ષની તુલનાએ 6 ટકા ઘટ્યો છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે શેરડીનો કુલ વાવેતર વિસ્તાર 14.07 લાખ હેક્ટર નોંધાયો છે અને ખાંડનું ઉત્પાદન 88.58 લાખ ટન રહેવાનો અંદાજ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો