Money9 Gujarati: આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડનાં ભાવ 12 વર્ષની ટોચે પહોંચી ગયા છે ત્યારે ભારતમાં ખાંડની મોંઘવારીને કાબૂમાં રાખવા માટે સરકારે શુગર મિલ્સને તાત્કાલિક અસરથી ઓક્ટોબરનો 13 લાખ ટન ક્વોટા આપ્યો છે અને મિલ્સને આ ક્વોટા એડવાન્સમાં વેચવાની સૂચના આપી છે. એટલું જ નહીં, સરકારે શુગર મિલ્સ, ટ્રેડર્સ, હોલસેલર્સ, મોટી ચેઈન્સ ધરાવતા રિટેલર્સને તાત્કાલિક ધોરણે તેમની પાસે કેટલો જથ્થો છે તેની વિગતો જાહેર કરવાની અને દર સોમવારે માહિતી જાહેર કરતા રહેવાની પણ સૂચના આપી છે. તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ખાંડના ભાવ અંકુશમાં રાખવાનો પડકાર ઊભો થયો છે, કારણ કે ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરને પાર થયા ત્યારથી વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ વધવા લાગ્યા છે અને છેલ્લાં એક મહિનામાં તે 14 ટકા વધી ગયા છે.
ખાંડના ભાવમાં વધારો ગ્રાહક મંત્રાલયના આંકડા અનુસાર, 25 સપ્ટેમ્બરે દેશમાં એક ક્વિન્ટલ ખાંડનો સરેરાશ જથ્થાબંધ ભાવ 4,060.35 રૂપિયા હતો. છેલ્લાં એક મહિનામાં ખાંડનો જથ્થાબંધ ભાવ 1 ટકા જ્યારે છેલ્લાં એક વર્ષમાં 5 ટકા વધ્યો છે. છૂટક કિંમતની વાત કરીએ તો, 25 સપ્ટેમ્બરે 1 કિલો ખાંડની સરેરાશ કિંમત 43.79 રૂપિયા હતી, જે મહિના પહેલાં 43.33 રૂપિયા અને 2022ની 25 સપ્ટેમ્બરે 41.69 રૂપિયા હતી. ગ્લોબલ લેવલે સર્જાઈ રહેલી પરિસ્થિતિ અને ભારતમાં વધતી સંગ્રહખોરી તથા સટ્ટાખોરીને ડામવા માટે સરકારે તાત્કાલિક અસરથી જે પગલાં ભર્યાં છે, તેના લીધે ભાવ અંકુશમાં રહેશે. તહેવારો દરમિયાન ખાંડ કડવી ન થઈ જાય તે માટે સરકારના આ પગલાં ધારી અસર કરશે, કારણ કે મિલર્સ પાસે નવો માલ ખરીદવાનો કે સંગ્રહખોરી અથવા સટ્ટાખોરી કરવાનો અવકાશ નહીં રહે, એમ કોમોડિટી એક્સપર્ટ્સ જણાવે છે.
તહેવારોમાં માંગ વધશે સરકારે જણાવ્યું છે કે, ઓગસ્ટના અંત સુધીમાં આપણી પાસે 83 લાખ ટન જથ્થો પડ્યો છે અને સામાન્ય રીતે દિવાળી વખતે શરૂ થતી ક્રશિંગ સીઝન વહેલી શરૂ થવાની શક્યતા હોવાથી તહેવારો દરમિયાન ખાંડની વધતી જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારત પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો છે અને અછત ઊભી થવાની કોઈ શક્યતા નથી. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે, ઓક્ટોબરનો સ્થાનિક સેલ્સ ક્વોટા તાત્કાલિક અસરથી વેચી દેવાની છૂટ આપી છે અને વધુ ક્વોટા થોડાક દિવસમાં છૂટો કરવામાં આવશે.
કોમોડિટી એક્સપર્ટ્સનો મત
કોમોડિટી વિશ્લેષકો જણાવે છે કે, સરકાર સ્થાનિક સ્તરે અછત ઊભી ના થાય અને ભાવ અંકુશમાં રહે તેવા પ્રયાસ કરી રહી છે. ઈથેનોલની જરૂરિયાત પણ પૂરી કરવા માટે પ્રાથમિકતા આપી રહી છે. છેલ્લાં બે વર્ષમાં ભારતમાંથી થતી ખાંડની નિકાસ ઘટી છે, ચાલુ વર્ષે તો નિકાસ પર પ્રતિબંધ છે, આથી વૈશ્વિક સ્તરે ખાંડની અછત ઊભી થઈ છે અને ભાવ ઊંચકાયા છે. જોકે, સ્થાનિક સ્તરે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાથી ભાવ વધ્યા છે, પરંતુ હજુ આકરો વધારો થયો નથી. સરકારે ખેડૂતોના ખર્ચને ધ્યાનમાં રાખીને ખાંડનો લઘુત્તમ ટેકાનો ભાવ વધારવો જોઈએ એમ વિશ્લેષકો જણાવે છે.
2023-24માં ખાંડનું ઉત્પાદન 317 લાખ ટન રહેવાનો અંદાજ છે, જેમાં ઈથેનોલ માટેનો જથ્થો સામેલ નથી. 2023-24 સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન ઈથેનોલ માટે 45 લાખ ટન જથ્થો ફાળવવાનો છે. ચાલુ સીઝનમાં 328 લાખ ટનનો અંદાજ છે, જેમાં ઈથેનોલનો 42 લાખ ટન જથ્થો સામેલ નથી. તેની સામે વાર્ષિક માંગ 275થી 280 લાખ ટન રહેવાની શક્યતા છે. આમ, ઓક્ટોબરથી શરૂ થતી નવી સીઝનમાં લગભગ 50થી 55 લાખ ટન કેરી-ફૉરવર્ડ સ્ટોક મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો