Money9 Gujarati:
Dal Import Duty: ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારે દાળની મોંઘવારીને અંકુશમાં રાખવા માટે આયાત આડેના પ્રતિબંધોમાં આપેલી રાહત છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. સરકારે તુવેર દાળ અને અડદની દાળની આયાત પર છેક 31 માર્ચ 2025 સુધી કોઈ પ્રતિબંધ ન હોવાની જાહેરાત કરી છે. આયાતની યાદીમાં દાળને ફ્રી કેટેગરી હેઠળ જાળવી રાખવામાં આવશે, જેથી તેની આયાત આડે કોઈ અડચણ નહીં રહે. આથી, આયાતકારોએ દાળની આયાત પર કોઈ વેરો નહીં ભરવો પડે, પરિણામે દાળની કિંમત નીચી રાખવામાં મદદ મળશે.
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (DGFT)એ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, “અડદ અને તુવેરની ફ્રી ઈમ્પોર્ટ નીતિને છેક 31 માર્ચ, 2025 સુધી લંબાવવામાં આવી છે.” દાળની આયાત જકાતમાં રાહતનો નિર્ણય ઓક્ટોબર 2021થી લાગુ થયો હતો જે હવે 31 માર્ચ 2025 સુધી ચાલશે. દાળ પર ફ્રી ઈમ્પોર્ટ ડ્યૂટીનો નિયમ માર્ચ 2024 સુધી હતો, જેને 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ગયા સપ્તાહે 23 ડિસેમ્બરે સરકારે મસૂર દાળની આયાત જકાતની રાહત પણ 1 વર્ષ વધારીને માર્ચ 2025 સુધી લંબાવી હતી.
દાળની આયાત ફ્રી આયાત થવાથી દાળની કિંમતમાં વધારો થવાનો અવકાશ નહીં તેમજ સ્થાનિક સ્તરે સપ્લાય પણ વધશે. ઉલ્લેખનીય છે કે, મસૂરની દાળ પર લાગતી આયાત જકાતમાં પણ 2025 સુધી છૂટ લંબાવવામાં આવી છે.
ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોને કારણે નવેમ્બરમાં ખાદ્ય ફુગાવો 8.70 ટકા પર પહોંચી ગયો હતો. ખાદ્ય મોંઘવારીમાં સતત 3 મહિનાથી વધારો થઈ રહ્યો છે. એકલા કઠોળનો મોંઘવારી દર 20 ટકાને વટાવી ગયો છે. ઓક્ટોબરમાં કઠોળનો ફુગાવો 18 ટકા નોંધાયો હતો. કઠોળ અને અન્ય ખાદ્યાન્નની વધતી જતી મોંઘવારીને કારણે છૂટક ફુગાવાનો દર પણ વધી રહ્યો છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોંઘવારી દરને નીચો રાખવો એ સરકાર માટે એક પડકાર છે.
કઠોળના ફુગાવાના દરને ઘટાડવા માટે, સરકારે તુવેર અને અડદની દાળની આયાત પરની આયાત ડ્યુટી મુક્તિ માર્ચ 2025 સુધી લંબાવી છે. આ મુક્તિ વધારવાનો હેતુ આયાતકારો પરનો નાણાકીય બોજ ઘટાડવાનો છે અને તેનાથી કઠોળની આયાતને પ્રોત્સાહન મળશે. આયાત દ્વારા બજારમાં કઠોળનો પૂરતો માલ ઠલવાશે એટલે તેની છૂટક કિંમતને નીચે રાખવામાં પણ મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવી છે. આથી, સરકારને કઠોળની જરૂર પડશે અને તેના માટે બજારમાં પૂરતો સપ્લાય જરૂરી છે.
સ્થાનિક સ્તરે ઉત્પાદન ઘટવાથી તાજેતરમાં તુવેરના ભાવમાં વધારો થયો હતો. ખરીફ સીઝનમાં તુવેર અને અડદનું ઉત્પાદન છેલ્લાં 3 વર્ષમાં સૌથી નીચા સ્તરે જવાની શક્યતા છે. 2023ની ખરીફ સીઝનમાં તુવેરનું ઉત્પાદન અંદાજ 32.2 કરોડ ટન થઈ શકે છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 2.7 ટકા ઓછું છે. અડદનું ઉત્પાદન આશરે 16 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષે 17.7 લાખ ટન હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો