Money9 Gujarati:
ભારતની મફત રાશન યોજના એટલે કે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) સામે વિશ્વ વેપાર સંગઠન (WTO)ના કેટલાક સભ્યોએ સવાલ ઉઠાવ્યા છે. PMGKAYની સમયમર્યાદા 5 વર્ષ લંબાવવાના અને નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે ભારત પાસે વધુ માહિતી માંગવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, WTOની કમિટી ઓન એગ્રીકલ્ચર (COA)ની ત્રણ દિવસીય બેઠક સોમવારથી શરૂ થઈ છે. આ બેઠકમાં અમેરિકા, યુરોપિયન યુનિયન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સહિતના WTOના સભ્યો ભારત સામે અનેક સવાલોનો મારો ચલાવવા માટે તૈયાર હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં નોંધવામાં આવ્યું છે. ભારત સામે જે સવાલો થશે તેમાં મહત્તમ સવાલ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને નિકાસ પર લાદવામાં આવેલા નિયંત્રણો અંગેના છે. ભારતે કિંમતને અંકુશમાં રાખવા માટે 2024 સુધી ચોખાની નિકાસ પર કેટલાક પ્રતિબંધ મૂક્યા છે.
કેનેડાએ ભારતને પૂછ્યું છે કે શું PMGKAY હેઠળ ખરીદી પ્રવર્તમાન બજાર કિંમતને બદલે પ્રશાસિત કિંમતે (એડમિનિસ્ટર્ડ પ્રાઈસ)ના આધારે કરવામાં આવશે અને શું તેણે આની અસરને ધ્યાનમાં લીધી છે. કેનેડાનું કહેવું છે કે, જો ભારત એડમિનિસ્ટર્ડ પ્રાઈસના આધારે ખાદ્ય અન્નની ખરીદી કરતું હોય તો, ભારતે આ પદ્ધતિ શ્રેષ્ઠ શા માટે છે તેનું કારણ સમજાવવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બરના પ્રારંભે છત્તીસગઢમાં એક ચૂંટણીની રેલીને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMGKAYની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ, દેશનાં લગભગ 81 કરોડથી પણ વધારે લોકોને મફત અનાજની સુવિધા મળે છે. જોકે, WTOમાં થયેલી સમજૂતી હેઠળ, વિકાસશીલ દેશ દ્વારા ઉગાડવામાં આવતા પાકના ઉત્પાદન ખર્ચ પર 10 ટકાથી વધારે કૃષિ સબસિડી આપી શકાય નહીં. જોકે, બાલીમાં ડિસેમ્બર 2013માં મળેલી મિનિસ્ટર લેવલની બેઠકમાં એક ‘પીસ ક્લોઝ’ બનાવવામાં આવ્યો હતો, જેમાં વિકાસશીલ દેશોને આ મર્યાદા કરતાં વધારે કૃષિ સબસિડી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સમસ્યા એ છે કે, આ ‘પીસ ક્લોઝ’માં નોટિફિકેશન અને ડેટા સબમિશનની સાથે સાથે અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા સંબંધિક કડક શરતો પણ સામેલ છે અને વિકાસશીલ દેશ માટે આ શરતોનું પાલન કરવું સૌથી અઘરું છે.
અમેરિકાએ ભારતને નોન-બાસમતી ચોખા પરનો નિકાસ પ્રતિબંધ હટાવવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે ચોખા પર 10 ટકા સબસિડી મર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ ભારત WTOમાં પહેલાથી જ ‘પીસ ક્લોઝ’ લાગુ કરી ચૂક્યું છે. ભારત યુરોપિયન યુનિયન અને અમેરિકા સહિત અન્ય ઘણા સભ્યોની માંગનો સતત સામનો કરી રહ્યું છે. આ સભ્યો માહિતી માગી રહ્યા હતા કે શું ભારત સબસિડીવાળા ચોખાને વૈશ્વિક બજારમાં ડમ્પ કરી રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો