Money9 Gujarati:
સૌરાષ્ટ્ર અને ખાસ તો ગીર સોમનાથ, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જામજોધપુર પટ્ટામાં અને જૂનાગઢમાં પડેલા મૂશળાધાર વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેતરો તળાવ બની ગયા છે. ઘણા ખેડૂતો એક મહિનાથી ખેતરમાં પગ મૂકી શક્યા નથી. કૂવામાંથી પાણી બહાર આવી રહ્યું છે. લીલો દુકાળ પડવાની સ્થિતિ સર્જાઈ છે. એક પણ દિવસ એવો જતો નથી કે વરસાદ વિહામો લે, હવે ખેડૂતો ઈચ્છે છે કે, દસેક દિવસ તડકો નીકળે તો કંઈક દિશા સૂઝે.
પાકને પહોંચ્યું નુકસાન
શેરડીના પાકને જાજુ નુકસાન પહોંચે તેવી શક્યતા નથી, પરંતુ મગફળી, કપાસ, સોયાબીનના વાવેતર પર અસર પડશે તે નક્કી છે. એરંડામાં બીજ ઊગતાની સાથે જ બળી જાય છે. મગફળીનો પાક પાણી લાગવાથી પીળો પડવા લાગ્યો છે. કપાસની પ્રગતિ રૂંધાઈ ગઈ છે. ખેતરનાં પછાટે ઢાળ તરફનો કપાસ બળવા લાગ્યો છે. મગફળીમાં વાનસ્પતિક વૃદ્ધિ છે અને કોહવારો તથા સફેદ ફૂગ દેખાવા લાગી છે.
મગફળીની ક્વૉલિટી બગડશે
મગફળી વાવેતરના સૌથી જૂના બેલ્ટ ગણાતા જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદે ખેતરોમાં પાકને વેરવિખેર કરી નાખ્યો છે. પાણી હજુ ઓસર્યા નથી, એટલે ખેડૂતોના હાથમાં શું આવશે તે તો પાણી ઊતર્યા પછી જ જાણી શકાશે. કેશોદ તાલુકાના પાડોદર ગામથી શરૂ થતાં ઘેડ પંથકના ગામડાંમાં મગફળીનું વાવેતર બરબાદ થયું છે. બામણાસા, અખોદર, મતિયાણા, સરોડ વગેરે ગામડાંના ખેતરોમાં હજુ પાણી ઓસર્યા નથી. જૂનાગઢની જળ હોનારતનો રેલો આ ખેતરો સુધી પહોંચ્યો હોવાથી મગફળીના પાકનો મૃત્યુ ઘંટ વાગી ગયો છે. કેટલો પાક બચશે તે તો પાણી ઊતર્યા પછી જ ખબર પડશે.
ખેડૂતો શું કહે છે વિસાવદરના ખેડૂતો જણાવે છે કે, વાવણીની મગફળી પાકને માંડ એકાદ મહિનો થયો છે, ત્યારે બાળ અવસ્થાએ જ પાણી લાગવાથી ક્વૉલિટી બગડી ગઈ છે. પાકમાં કોહવારો અને સફેદ ફૂગનાં ચિહ્નો દેખાવા લાગ્યા છે. કોરવાણ પિયતથી ઉગાડેલ મગફળીમાં ડોડવાની ઓછી બેઠક સામે વાનસ્પતિક વિકાસ વધુ જોવા મળે છે. ગીર સોમનાથનાં વેરાવળ તાલુકાનાં ઈણાજ ગામના ખેડૂતો જણાવે છે કે, “વાવણીને માંડ 35 દિવસ થયા છે. વરસાદે કોઈ કસર નથી છોડી. જમીનો રેસાઈ ગઈ છે. મગફળીની વૃદ્ધિ અટકી ગઈ છે. મગફળી ઊગી ત્યારથી અત્યાર સુધીમાં આંતરખેડ કે નિંદામણ થઇ શક્યું નથી. એક ધારી 15 દિવસની વરાંપ નીકળે તો કંઈક રાહત મળે.” જૂનાગઢનાં મેંદરડા તાલુકાની બાજુના માનપુર ગામનાં ખેડૂતભાઈ જણાવે છે કે, મગફળી ઉગ્યાથી આજે સવા મહિનામાં ક્યારેય લાંબી વરાંપ મળી નથી. નિંદામણ અને વખેડનાં કામ થઇ શક્યા નથી. વચ્ચે વચ્ચે તક મળે, ત્યારે ખેડૂતોએ નિંદામણનાશક દવાઓ છાંટી છે. હવે, જમીનો રેચક થઇ છે, ત્યારે લીલા દુકાળમાં કંઇ બાકી રહ્યું નથી.
મગફળીનું વાવેતર ઘટવાની બીક ગુજરાત સરકારનાં 24 જુલાઈ સુધીના આંકડા અનુસાર, રાજ્યમાં 16.08 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે, જે ગયા વર્ષ કરતાં 1 લાખ હેક્ટર ઓછું છે. ગયા વર્ષે અત્યાર સુધીમાં 17.09 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. આગામી દિવસોમાં વાવેતર વધે તેવી શક્યતા લાગતી નથી, કારણ કે વરસાદ વિહામો ખાવાનું નામ નથી લેતો.
મગફળી બજારની સ્થિતિ જીજી-20 દાણાબર મગફળી મળવી મુશ્કેલ બની છે. મગફળીની આવકો સામે સિંગદાણામાં સ્થાનિકે તહેવારોની માંગ નીકળી છે. સિંગતેલ ડબ્બો રૂ.3,100ની સપાટીએ પહોંચ્યો છે. તેથી પીલાણમાં પણ માંગ છે. આમ મર્યાદિત સ્ટોક સામે મગફળીની બજાર દરરોજ નવા મુકામે પહોંચીને થોડી પાછી પડે છે. રાજકોટ યાર્ડમાં અત્યારે 1,400થી 1,500 ગુણીની આવક છે, જેમાં 500 ગુણી સ્થાનિક ખેડૂતો પાસેથી જ્યારે બાકીની મેનપુરી પીલાણબર મગફળી બહારથી આવે છે. દાણાબરમાં થોડી માંગ ઠંડી પડતાં વધતાં ભાવ ઘટ્યા છે. દાણાબર મીડિયમ મગફળીમાં રૂ.1,650થી રૂ.1,725 ભાવ છે. મેનપુરીનો માલ ડેમેજવાળો છે અને હવાવાળો હોવાથી પ્રતિ 20 કિલો રૂ.850થી રૂ.1,200માં સોદા પડી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો