Money9 Gujarati:
દાળની વધતી મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સરકાર સપ્લાયમાં વધારો થાય તેવા પગલાં ભરી શકે છે. સરકારે અગાઉ ઘણી દાળ પર સ્ટોક લિમિટ લાગુ કરી હતી અને અમુક દાળની આયાત કરવાની છૂટ પણ આપેલી છે. હવે, તહેવારોની સીઝનમાં માંગને પહોંચી વળવા માટે અને ભાવ અંકુશમાં રહે તે માટે સરકાર દાળનો સપ્લાય વધારી શકે છે. ગ્રાહક બાબતોના વિભાગના સચિવ રોહિત કુમાર સિંહે પણ દાળનો સપ્લાય વધારવાની ટિપ્પણી કરી છે. છેલ્લાં એક મહિનાથી તુવેર, અડદ, મગ અને ચણાના માર્કેટમાં તેજી જામી હોવાથી સરકાર આ પગલું ભરે તેવી શક્યતા છે.
વેપારીઓની હેરાફેરી
રોહિત કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે, તહેવારોની સીઝનમાં લોકલ સપ્લાય વધારવાના પ્રયાસ કરવામાં આવશે. કેનેડાથી મસૂરની દાળ અને આફ્રિકાથી તુવેરની દાળની આયાતમાં વધારો થયો છે. આ પરિસ્થિતિની વચ્ચે કેટલાક વેપારીઓ બજારમાં હેરાફેરી કરીને ગ્રાહકોના હિતની વિરુદ્ધમાં કામ કરી રહ્યાં છે. આથી, સરકાર સ્ટૉક લિમિટ તેમજ આયાત દ્વારા ગ્રાહકોને સસ્તામાં દાળ ઉપલબ્ધ કરાવશે.
ફરજિયાત સૂચના
ઉલ્લેખનીય છે કે, ગ્રાહક બાબતોના વિભાગે ગયા સપ્તાહે વેપારીઓ અને મસૂરની દાળની આયાત કરનારાને તેમની પાસે કેટલો સ્ટોક પડ્યો છે તેની માહિતી ફરજિયાતપણે જાહેર કરવાની સૂચના આપી હતી. આ આદેશનું પાલન ના કરે તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.
મોંઘવારીનો દર
જુલાઈ મહિનાના સરકારી આંકડા પ્રમાણે, અનાજની મોંઘવારીનો દર 13.27 ટકા હતા. જુલાઈમાં સૌથી વધુ મોંઘવારી તુવેર (34.05 ટકા), મગ (9.07 ટકા) અને અડદ (7.85 ટકા)માં હતી. જૂનમાં દાળની મોંઘવારીનો દર 10.53 ટકા રહ્યો હતો.
આફ્રિકન દેશ સાથે કરાર
ઉલ્લેખનીય છે કે, દાળની વધતી માંગને પહોંચી વળવા માટે ભારતમાં પૂરતું ઉત્પાદન થતું નથી. આથી, ભારતે કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી જંગી માત્રામાં દાળની આયાત કરવી પડે છે. 2016માં જ્યારે તુવેરની છૂટક કિંમત પ્રતિ કિલો 200 રૂપિયાએ પહોંચી હતી ત્યારે ભારતે મોઝામ્બિક સાથે 5 વર્ષ માટે વાર્ષિક 2 લાખ ટન તુવેરની આયાત કરવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાં હતા. પછી સપ્ટેમ્બર-2021માં આ સમજૂતી કરારને વધુ 5 વર્ષ માટે વધારવામાં આવ્યો હતો. 2021માં ભારતે આ કરાર અંતર્ગત 2025 સુધી દર વર્ષે વધારે આયાત માટે કરાર કર્યા છે. સરકારે મ્યાંમાર સાથે પણ કરાર કરીને સપ્લાય વધારવાના પ્રયાસ હાથ ધર્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો