Money9 Gujarati:
સેન્ટ્રલ પુલમાં અનાજનો જથ્થો 6 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેથી આગામી દિવસોમાં સરકાર સામે રાશનના પુરવઠાનો પડકાર ઊભો થઈ શકે છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI)ના 1 ઑગસ્ટ સુધીના આંકડા અનુસાર, સેન્ટ્રલ પુલમાં ઘઉં અને ચોખાનો કુલ 523.35 લાખ ટન જથ્થો નોંધાયો છે, જે 2017 પછી ઓગસ્ટના પ્રારંભિક દિવસ સુધીનું સૌથી નીચલું સ્તર દર્શાવે છે. 2017ની પહેલી ઑગસ્ટે સેન્ટ્રલ પુલમાં ઘઉં-ચોખાનો 499.77 લાખ ટન જથ્થો નોંધાયો હતો. ગયા વર્ષની તુલનાએ પણ ચાલુ વર્ષની પહેલી ઑગસ્ટે સરકારી વખારોમાં 22 લાખ ટન ઓછો જથ્થો છે, કારણ કે 2022ની પહેલી ઑગસ્ટે સરકારી ગોદામોમાં 545.97 લાખ ટન જથ્થો નોંધાયો હતો.
છેલ્લાં છ વર્ષની સ્થિતિ
FCIના 1 ઑગસ્ટ સુધીનાં આંકડા અનુસાર, સરકારી ગોડાઉનમાં 242.96 લાખ ટન ચોખા અને 280.39 લાખ ટન ઘઉંનો જથ્થો પડ્યો છે. તેની સરખામણીએ 1 ઑગસ્ટ 2017એ ચોખાનો 198.58 લાખ ટન જ્યારે ઘઉંનો 300.59 લાખ ટન જથ્થો પડ્યો હતો. છેલ્લાં 6 વર્ષમાં 2021માં અનાજનો સૌથી વધુ 855.8 લાખ ટન જથ્થો નોંધાયો હતો, જેમાં 291.08 લાખ ટન ચોખા અને 564.80 લાખ ટન ઘઉં હતા.
1 ઑગસ્ટ, 2017 – 499.77 લાખ ટન
1 ઑગસ્ટ, 2021 – 855.80 લાખ ટન
1 ઑગસ્ટ, 2022 – 545.97 લાખ ટન
1 ઑગસ્ટ, 2023 – 523.35 લાખ ટન
અનાજનો ઓછો જથ્થો ચિંતાજનક
CRISILના ચીફ ઈકૉનોમિસ્ટ દીપ્તિ દેશપાંડે કહે છે કે, અનાજના જથ્થો ઓછો હોવાથી ચિંતા વધી છે. ખાદ્ય સુરક્ષા (Food Security)ના મોરચે ઓછો જથ્થો પડકારનજક સ્થિતિ ઊભી કરે છે. ઓછામાં પૂરું આ વર્ષે ઉત્પાદન પર અસર પડવાની શક્યતા છે, જેથી મોંઘવારી ભડકશે. જોકે, સ્થાનિક સ્તરે પુરવઠો પૂરતા પ્રમાણમાં રહે તે માટે સરકાર દરમિયાનગીરી કરીને ભાવને અંકુશમાં રાખી શકે છે. દેશપાંડે કહે છે કે, ભારત પાસે ઐતિહાસિક દૃષ્ટિએ આવશ્યક માનદંડ કરતાં અનાજનો વધારે જથ્થો છે, એટલે વધારે ચિંતાજનક સ્થિતિ નથી.
સરકારના ટાર્ગેટ અને વાસ્તવિકતા
ખરીફ માર્કેટિંગ સીઝન 2023-24 માટે સરકારે 521 લાખ ટન ચોખા ખરીદવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગયા વર્ષે સરકારે 495 લાખ ટન ચોખા ખરીદવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. સરકારે લઘુતમ ટેકાના ભાવે (MSP) માત્ર 262 લાખ ટન ઘઉં ખરીદ્યા છે, જેની સામે લક્ષ્ય 340 લાખ ટનનું હતું. ઉલ્લેખનીય છે કે, 2008 બાદ પહેલીવાર સરકારે જૂન 2023માં ઘઉં પર સ્ટૉક લિમિટ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો તેમજ મે-2022માં ઘઉંની નિકાસ પણ પ્રતિબંધિત કરી હતી.
અનાજનું વાવેતર
કૃષિ મંત્રાલયના 18 ઑગસ્ટ સુધીનાં આંકડા અનુસાર, દેશભરમાં આ વખતની ખરીફ સીઝનમાં 360.79 લાખ હેક્ટર વિસ્તારમાં અનાજનું વાવેતર થયું છે. ગયા વર્ષે 18 ઓગસ્ટ સુધીમાં 345.79 લાખ હેક્ટરમાં અનાજનું વાવેતર થયું હતું, એટલે કે આ વખતે વાવેતર 4 ટકા વધ્યું છે. વાવવામાં આવેલા અનાજના પાકની લણણી ઓક્ટોબર પછી શરૂ થવાની સંભાવના છે. છેલ્લે જુલાઈ મહિનામાં ખાદ્ય મોંઘવારીનો દર 11.51 ટકા નોંધાયો હતો, જે મહિના અગાઉ જૂનમાં 4.49 ટકા હતો. ખાદ્ય મોંઘવારી વધી હોવાથી જુલાઈમાં દેશમાં છૂટક મોંઘવારીનો દર પણ 7.44 ટકાના 15 મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો